Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કોરોનાના કારણે ભાજપની ચિંતન બેઠક રદ

કમલમ બહાર બેરીગેટ લગાવાયાઃ ઓફીસ સ્ટાફ સિવાય પ્રવેશ બંધ

ગાંધીનગર,તા.૯: કોરોના મહામારી વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે નવ નિયુકત સી.આર પાટીલ કાર્યાલય કમલમ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્ત્।ર ગુજરાતમાં પ્રવાસો કરીને કોરોનાની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. જેના પગલે ખુદ પાટીલ સહિત ભાજપના ધારાસભ્યો, આગેવાનો ઉપરાંત કમલમમાં કામ કરતા કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવતા છેલ્લા દ્યણા દિવસથી સી.આરના સંપર્કમાં આવેલા કાર્યકરો અને નેતાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. સોમવારે અને મંગળવારે તો કમલમ ખાતે કાર્યકરોનો જાણે મેળો ભરાયો હતો. જો કે હવે એક સાથે ૭ લોકો કોરોના પોઝિટિવ આવતા અંતે કમલમ કાર્યકરો માટે બંધ કરી દેવાયું છે.

કોરોનાના કેસ વધતા ભાજપનું કાર્યાલય કમલમ બંધ કરાયું છે. ઓફિસ સ્ટાફ સિવાય કોઈને અંદર એન્ટ્રી આપવામાં આવી નથી રહી. મુખ્ય ગેટ પર પણ પોલીસ કર્મી તૈનાત કરાયા છે. તો બીજી તરફ, ભાજપ પ્રમુખ સીઆર પાટીલ એપોલો હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે. ભાજપ પ્રમુખે કોરોના ટેસ્ટ કરાવ્યો છે. તેમનો એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, ય્વ્ભ્ઘ્ય્ ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે. સંસદ સત્ર પહેલા ટેસ્ટ કરાવવો જરૂરી હોવાથી તેઓએ ટેસ્ટ કરાવ્યા હતો. તો ઉલ્લેખનીય છે કે, ભાજપનાં પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત પ્રદેશ કાર્યાલય કમલમનાં કાર્યાલય મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઇ કર્મચારીઓને લાવનાર ડ્રાઇવર, ૨ સફાઇ કર્મચારી સહિત કોરોના પોઝિટિવ આવ્યા છે. આટલા કોરોના પોઝિટિવ આવતા કાર્યાલયની ઓફીસ બહાર રિબિન લગાવીને બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત બીજા મોટા સમાચાર એ છે કે, કોરોનાને પગલે ગુજરાત ભાજપની ચિંતન બેઠક રદ કરાઈ છે. ૧૧-૧૨ સપ્ટેમ્બરના રોજ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ચિંતન બેઠક યોજાનાર હતી. કેન્સવિલા ખાતે ૨ દિવસીય ચિંતન બેઠકનું આયોજન કરાયું હતું. જોકે ભાજપમાં નેતાઓને કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં સરકાર, સંગઠન અને સંદ્યમાંથી ૨૫ હોદ્દેદારો હાજરી આપવાના હતા.

(3:13 pm IST)