Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સુરતમાં ગુન્‍હો કરવા નહીં પરંતુ પોતાના સાળાની સતત મારી નાખવાની ધમકીથી કંટાળીને હત્‍યા કેસમાં નિર્દોષ છૂટેલ શખ્‍સ પિસ્‍તોલ લઇને ફરતા ઝડપાયો

સુરત: સુરત શહેરમાં ગુનોખોરીનો આલમ એટલી હદે વધી ગયો છે કે સામાન્ય વ્યક્તિ પણ છરો અને પિસ્ટલ જેવા હથિયારો સાથે ઝડપાતો હોય તેવી ઘટના ઘટે છે. ત્યારે આજે સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને બાતમી મળી હતી ડીંડોલી વિસ્તારનો એક શખ્સ દેશી બનાવટની પિસ્ટલ સાથે ફરી રહ્યો છે. ત્યારે પોલીસે આ શખ્સને ઝડપી અને તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી પિસ્ટલ મળી આવી હતી. આ શખ્સે કબૂલ્યું હતું કે તે હત્યા કેસમાં નિર્દોષ છૂટ્યો હતો. ત્યારબાદ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. જેના કારણે પોતાની હત્યા ન થઈ જાય તેની બીકે પિસ્ટલ લઈને ફરતો હતો.

સુરતમાં ગુનાખોરી વધી રહી છે, ત્યારે ભૂતકાળમાં ગુનામાં સંડોવાયેલા આરોપીને ચેક કરવાના આદેશ વચ્ચે સુરત SOG ટીમ પ્રેટ્રોલિગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે ડીંડોલીના ભેસ્તાન આવાસ ખાતે રહેતો મોહસીન ઉર્ફે રધુ યુસુફ સૈયદ નામનો શખ્સ વરીયાવી બજારના મુલ્લા પ્લાઝા બિલ્ડિંગમાં આવેલ ફેશન સ્ટ્રીટ મોડેલ્સ -02 બ્યુટીક નામની રેડીમેઈડ કાપડની દુકાન કામ કરે છે, અને તે પોતાની પાસે દેશી હાથ બનાવટની પિસ્ટલ લઇને ફરી રહ્યો છે.

જોકે પોલીસને બાતમી મળતા પોલીસે આ યુવાનની તપાસ કરી તે બૂટિક ખાતે જઈને અંગઝડતી લેતા તેની પાસેથી દેશ હાથ બનાવટની પિસ્ટલ મળી આવી હતી. પોલીસે આ યુવાનની ધરપકડ કરી તેની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં આ ઈસમ કેટરીંગના વેપાર સાથે જોડાયેલો હતો અને તેની હરીફાઈમાં વેપાર કરતા ઈમ્તીયાઝે તેની પાસેથી રૂપિયાની માંગણી કરી તેને હેરાન કરતો હતો.

એક દિવસ ઇમ્તિયાઝ તેને મારવા આવ્યો હતો ત્યારે પોતાનો જીવ બચવા માટે તેણે લાકડાનો ફટકો મારતા ઈમ્તિયાઝનું વર્ષ 2017માં મોત થયું હતું. જોકે આ હત્યા બાદ વર્ષ 2019માં આ કેસમાં કોર્ટે તેને નિર્દોષ છોડી મૂક્યો હતો. જોકે જેલમાંથી બહાર આવ્યા બાદ જેની હત્યા કરી હતી તે ઈમ્તિયાઝના સાળા સતત મોહસીનને મારી નાંખવાની ધમકી આપતા હતા.

(4:38 pm IST)