Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

કોંગ્રેસ હવે પહેલા જેવી નથી રહી:પાટીલની પેજ પ્રમુખ નીતિને કારણે ભાજપનો ભવ્ય વિજય :વજુભાઇ વાળા

કર્ણાટકના પૂર્વ રાજયપાલ અને ભાજપનાં દિગ્ગજ નેતા વજુભાઇ વાળાએ કહ્યું કે, મહાત્મા ગાંધી વખતે પણ કોંગ્રેસનું વિસર્જન કરવા માટેની વાત થઈ હતી

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીનો 156 બેઠકો સાથે અતિ ભવ્ય અને ઐતિહાસિક કહી શકાય તેવો વિજય થયો છે. આ અંગે દિગ્ગજ નેતાઓ તેની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે કર્ણાટકના પૂર્વ રાજયપાલ અને ભાજપનાં દિગ્ગજ નેતા વજુભાઇ વાળાએ મોટું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી વખતે પણ કોંગ્રેસનું વિસર્જન કરવા માટેની વાત થઈ હતી. કોંગ્રેસ હવે પહેલા જેવી નથી રહી. તો સાથે જ પાટીલની પેજ પ્રમુખ નીતિને કારણે ભાજપની ભવ્ય જીત થઈ હોવાનો દાવો તેમણે કર્યો હતો.

 

વજુભાઇ વાળાનાં જણાવ્યા મુજબ, મહાત્મા ગાંધીજી વખતની કોંગ્રેસ હવે એ કોંગ્રેસ રહી જ નથી. ગાંધીજી વખતે પણ કોંગ્રેસ વીંખી નાખવી જોઈએ તેવું કહ્યું હતું. તો સાથે ભાજપને મળેલી ભવ્ય જીત માટે ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલના કર્યા વખાણ કરતા કહ્યું હતું કે, સી. આર. પાટીલે પેજ કમિટી અને પ્રમુખો સુધીનું માળખું કર્યું હતું. અને પાટીલ સતત ફોલોઅપ લેતા રહ્યા હોવાને કારણે આ સફળતા મળી છે. સી. આર. પાટીલના સતત પ્રયાસોને કારણે જ ભાજપને ગુજરાતમાં ઐતિહાસિક વિજય મળ્યો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

શપથ વિધિ કાર્યક્રમને લઈ વજુભાઇ વાળાએ કહ્યું કે, પ્રધાનમંત્રી  મોદીની હાજરીમાં જ ભવ્ય શપથ સમારોહ યોજાનાર છે.આ માટે હજુ તો લિસ્ટ બનશે અને આમંત્રણ આપવામાં આવશે. આ પાર્ટીનો કાર્યક્રમ હોવાથી હું પણ ત્યાં પહોંચી જઈશ. અને ધારાસભ્યોને અભિનંદન આપીશ.અત્રે ઉલ્લેખનીય છે કે રાપર (કચ્છ) ના ભાજપના ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજા વજુભાઇ વાળાના આશીર્વાદ લેવા આવનાર છે. વજુભાઇ વાળા ભાજપના દિગજ્જ નેતા હોવાથી તેઓ આશીર્વાદ લેવા આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે

(12:15 am IST)