Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સંક્રમણથી બચાવ માટે પ્રિકોશન ડોઝ આવશ્યક : વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં પ્રિકોશન ડોઝની શરૂઆત કરાઇ

હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ, અન્ય ગંભીર બીમારી ધરાવતા ૬૦ વર્ષથી વધુની ઉંમરના વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ કરાયો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ૧૦ જાન્યુઆરી ૨૦૨૨ના રોજથી અર્બન હેલ્થ સેન્ટર વિરમગામના કોરોના રસીકરણ કેન્દ્ર ખાતે  તાલુકા હેલ્થ ઓફિસર, અર્બન હેલ્થ ઓફિસરની ઉપસ્થિતિમાં હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને કોમોર્બિડ કે ગંભીર બીમારી ધરાવતા ૬૦ થી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને  કોરોના વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સંક્રમણથી બચવા માટે પ્રિકોશન ડોઝને આવશ્યક માનવામાં આવી રહ્યો છે ત્યારે વિરમગામ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત અમદાવાદ જીલ્લામાં હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને કોમોર્બિડ કે ગંભીર બીમારી ધરાવતા ૬૦ થી વધુ ઉંમરના વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ કરાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોમોર્બિડ કે ગંભીર બીમારી ધરાવતા ૬૦ થી વધુ ઉંમરના વયસ્કો અને હેલ્થકેર વર્કર્સ તથા ફ્રન્ટલાઈન જેઓએ કોરોના રસીકરણના બંને ડોઝ લઇ લીધા છે અને આપવામાં આવેલ બીજા ડોઝની તારીખથી ૦૯ મહિના (૩૯ અઠવાડિયા પૂર્ણ)  થયા હોય તેમણે આ પ્રિકોશન ડોઝ લેવાનો રહેશે. જેથી કોરોના સામેની મહામારીમાં આપણે સંક્રમણથી બચાવ થઈ શકે. કોમોર્બિડ કે ગંભીર બીમારી ધરાવતા ૬૦ થી વધુ ઉંમરના વયસ્કો અને જેઓએ અગાઉ બંને ડોઝ લીધા હોઈ તેમને ડૉક્ટરની સલાહ મુજબ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. પ્રિકોશન ડોઝ લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી છે. જેમ કે, માસ્કનો ઉપયોગ કરવો, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરવુ, વ્યક્તિઓ વચ્ચે  સોશિયલ ડિસ્ટન્સ  રાખવું. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે.

(8:26 pm IST)