Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

તસ્કરો હાથ જોડી મંદિરમાં પગે લાગ્યા અને મૂર્તિ ચોરી

ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ : મસાણીયા વીર મહારાજના મંદિરમાંથી એક જ મહિનામાં બીજીવાર મૂર્તિની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે

બનાસકાંઠા,તા.૯ : કોરોના મહામારીના સમયમાં બનાસકાંઠામાં દાંતીવાડા પાસે આવેલા મસાણીયા વીર મહારાજના મંદિરમાંથી એક જ મહિનામાં બીજીવાર ચોરી થઈ છે. રાત્રિના સમયે મંદિરમાંથી મૂર્તિની ચોરી કરી જતા બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. આ મામલે પોલીસે હવે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે દાંતીવાડા પાસે આવેલા મસાણીયા વીર મહારાજના મંદિરમાંથી એક જ મહિનામાં બીજીવાર મૂર્તિની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે. આ પહેલા મંદિરમાંથી મૂર્તિની ચોરી થયા બાદ તસ્કરો મૂર્તિને મંદિરમાં પરત મૂકી ગયા હતા. જે બાદ ગત મોડી રાત્રે ફરીથી મંદિરમાંથી અજાણ્યા બે શખ્સો મસાણીયા વીર મહારાજની મૂર્તિની ચોરી કરી ગયા છે.

          ચોરી કરવા આવેલા બંને શખ્સો સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયા છે. આ મામલે દાંતીવાડા પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં સોના જેવી દેખાતી પંચધાતુની મસાણીયા વીર મહારાજની મૂર્તિ મૂકવામાં આવી છે. આ કારણે વારંવાર સોનાની મૂર્તિની અજાણ્યા તસ્કરોની ઉઠાંતરી કરી જતા હોવાનો સ્થાનિક લોકોનું માનવું છે. આ અંગે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે તસ્કરો પહેલા હે બાથ જોડીને મંદિરમાં પગે લાગે છે. જે બાદમાં થોડીવાર પછી મૂર્તિ ચોરીને ફરાર થઈ જાય છે. આ અંગે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ચોરીની ઘટના વહેલી સવારે સાડા પાંચ વાગ્યે બની હોવાનું દેખાઈ રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં ત્રણ જેટલા શખ્સો જોવ મળી રહ્યા છે. જેમાંથી એક વ્યક્તિના હાથમાં પાણીનો બોટલ પણ જોવા મળી રહી છે. મૂર્તિની ચોરી બાદ તસ્કરો મંદિરનો દરવાજો ખુલ્લો મૂકીને જ ભાગી ગયા હતા.

(9:21 pm IST)