Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

મળો ૧૦ વર્ષના લેખક શૌર્ય મિશ્રાને

લખ્‍યું ૮૩ પાનાનું સ્‍પેસ વોર અંગેનું પુસ્‍તક

અમદાવાદઃ સામાન્‍ય રીતે બાળકોને મોટા થઇને શું બનવું તે વિચારવામાં વર્ષો લાગી જતા હોય છે. જો કે તેમાં કેટલાક બાળકો અપવાદરૂપ હોય છે. શોર્ય મિશ્રા પણ તમાંનો એક છે. જેણે ૧૦ વર્ષના ઉંમરે લોકડાઉન દરમ્‍યાન પોતાનું સ્‍વપ્‍ન પુરૂ કર્યુ હતું.

સાહિત્‍ય જગતમાં વર્ષો વર્ષ ફેરફારો આવતા જ રહે છે પણ પરીકથાઓ અને બાળવાર્તાઓ સતત ચાલુ જ રહે છે. હેન્‍સ ક્રિશ્‍ચીયન એન્‍ડરસન, એનીડ બ્‍લીટોન એન આર કે નારાયણ જેવા લેખકોએ અલગ અલગ સમયે આવી કથાઓ લખીને બાળકો તથા તેમના માતા પિતાઓને તેમની અવિસ્‍મરણીય વાર્તાઓ દ્વારા ખુશ કર્યા છે. હવે અમદાવાદનો શૌર્ય મિશ્રા પણ તેમની સાથે જોડાયો છે.

સ્‍પેસ માફીયા ઓન લુઝ' નામનું તેનું પુસ્‍તક અવકાશ સાહસ કથા છે, જેમાં માફીયાઓ ગ્રહોને ચોરવાનાં પ્રયાસો કરે છે. આ પુસ્‍તકનો ૧૦ વર્ષનો લેખક અને દિલ્‍હી પબ્‍લીક સ્‍કૂલનો પાંચમા ધોરણનો વિદ્યાર્થી કહે છે, પુસ્‍તક લખવાનો આ મારો પહેલો અનુભવ છે. તે લખવામાં મને બે મહિના લાગ્‍યા હતા. હું મારી કલ્‍પના અને સર્જનાત્‍મકતાને પાછળ રાખી દેવા અને કાટ ચઢાવવા નહોતો માગતો. હું કાયમ મારો સર્જનાત્‍મક રસ જાળવી રાખવા માંગુ છું.

આ પુસ્‍તક લખવાની પ્રેરણા તેને કેમ મળી તેના જવાબમાં પ્રહલાદનગરના પોતાના સફલ પરિવેષ એપાર્ટમેન્‍ટમાં લોકડાઉન દરમ્‍યાન ઘરમાં જ પુરાઇ રહેલા શૌર્યએ કહયું, ત્‍યારે કોઇ કલાસ ચાલુ નહોતા, મીત્રોને પણ મળાતું નહોતું, એપાર્ટમેન્‍ટના ગ્રાઉન્‍ડમાં રમવા પર પણ કોરોનાના કારણે પ્રતિબંધ હતો એટલે હું સાવ કંટાળી ગયો હતો. પછી મેં અવકાશ વિશે વિચારવાનું શરૂ કર્યુ. શિક્ષણ ઓનલાઇન હોવાથી કલ્‍પના કરવા અને તેને લખવા માટે મને પુરતો સમય મળી રહેતો હતો.

શૌર્યના પિતા બિમલેશકુમાર એક બ્રિટીશ કંપનીમાં ટોચના એકઝીકયુટીવ છે અને માતા શ્રેયા મિશ્રા એલએલએમની ડીગ્રી ધરાવતા વકીલ છે. તેના દાદા ક્રિષ્‍ણકુમાર મિશ્રા ઇન્‍ડીયન ઓઇલ કોર્પોરેશનના રીટાયર્ડ અધિકારી છે.

(4:14 pm IST)