Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સરકાર-સંસાધનો કોરોનાની સામે, પ્રજાની પડખે છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન હેઠળ મુલાકાત : રાજ્યમાં તમામ સુવિધાઓ, સંસાધનો ઉપલબ્ધ છે એટલે કોઈએ પણ ડરવાની કે ગભરાવાની જરૂર નથી : મુખ્યમંત્રી

અમદાવાદ, તા. ૯ : જિલ્લાના  સાણંદ તાલુકાના ચેખલા ગામ સ્થિત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુખ્યમંત્રી વિજય રૂપણીએ મુલાકાત લીધી હતી. મારે ગામાડાઓને બચાવવા છે – સુરક્ષિત કરવાં છે એટલે જ આ અભિયાન શરૂ કર્યું છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. સૌ સાથે મળીને કોરોના સામે જંગ લડીશું તો જીત નિશ્ચિત છે. સાફ નિયત અને સાચી દિશાના પ્રયત્નો થી ગુજરાતને કોરોનામુક્ત કરીશું. ચેખલાના ચોરે રાજ્યના ગ્રામજનોને સકારાત્મક સંદેશો પણ આપ્યો હતો. ગામડાઓને કોરોના મુક્ત રાખવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આખી સરકાર-સંસાધનો કોરોનાની સામે અને પ્રજાની પડખે છે. કોરોનાને હરાવવા સરકાર રાજ્ય સરકાર કટિબદ્ધ છે - જરૂર છે સક્રિય લોક સહયોગની જરૂર છે. તાવ,શરદી,ખાસી જેવા લક્ષણો ને અવગણવાને બદલે સત્વરે ટેસ્ટ કરાવીએ છીએ. ગામમાં શંકાસ્પદ કે કોરોના પોઝિટિવ દર્દીઓ આઇસોલેસન સેન્ટરમાં જ રહે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અને ગામડાઓને કોરોનામુક્ત રાખવા હાથ ધરેલા રાજ્યવ્યાપી *મારુ ગામ કોરોના મુક્ત ગામ* અભિયાન અંતર્ગત આજે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકા સ્થિત ચેખલા ગામ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ચેખલા ગામના ચોરેથી સમગ્ર રાજ્યને હૈયાધારણા આપતા કહ્યું કે, આખી સરકાર અને સંસાધનો કોરોનાની સામે અને પ્રજાની પડખે છે. રાજ્યમાં તમામ સુવિધાઓ, સંસાધનો ઉપલબ્ધ છે એટલે કોઈએ પણ ડરવાની કે ગભરાવાની જરૂર નથી .કોરોનાને હરાવવા સરકાર કટિબદ્ધ છે જરૂર છે માત્ર લોકોના સક્રિય સહયોગની તેવો ભાવ મુખ્યમંત્રી  એ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે , સંક્રમણની બીજી લહેર વ્યાપક અને ઘાતક છે. આ લહેરમાં આખાને આખા પરિવારો સંક્રમિત થવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે સાવચેતી એ સૌથી મહત્વનું પાસું છે. દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ સક્રિય છે અત્યારે રોજ નોંધાતા કેસોમાં દેખાયોલો ઘટાડો પુરવાર કરે છે કે આ અભિયાન થકી આપણા પ્રયાસો સાચી દિશામાં છે. આપણે સૌએ સાથે મળીને કોરોના સામે જંગ લડવાની છે અને સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવાનું છે તેના થકી જ આપણે કોરોના સામે લડત આપી શકીશું અને વિજય મેળવી શકીશું તેમ મુખ્યમંત્રીએ કહ્યુ હતુ. કોરોનાથી ગામડાઓને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવાના હેતુથી જ "મારુ ગામ કોરોના મુક્ત ગામ" અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન સાચી દિશા અને સાચી નિયત સાથેનું અભિયાન છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત રાજ્યના ૧૬૦૦૦ થી વધુ ગામોમાં "ગ્રામ યોધ્ધા કમિટી" ની રચના કરાઇ છે.અંદાજે ૫૦ લાખથી વધુ લોકોનું વ્યક્તિગત સર્વેલન્સ હાથ ધરાયું છે જે અંતર્ગત  ૫ હજાર જેટલા દર્દીઓ આઇસોલેશનમાં છે. મુખ્યમંત્રીએ મીડિયા સાથેના સંવાદમાં જણાવ્યું હતુ કે, હાલ રાજ્યમાં પ્રતિદિન ૧.૪૦ લાખ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ પૂરતિ સુવિધાઓ મળી રહી છે. હાલ રાજ્યમાં ઓક્સિજનની જરૂરીયાત રોજ ૧ હજાર ટનની છે અને સંભવિત મહત્તમ વિકટ પરિસ્થિતિમાં ઓક્સિજનની જરૂરિયાત વધશે તો તેને પહોંચી વળવા પણ પૂરતી તૈયારી છે. આ માટે કેન્દ્ર સરકાર પણ પૂરતી મદદ કરી રહી છે.

મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે અમદાવાદ, વડોદરા, સૂરત, રાજકોટ ખાતે અલાયદા વોર્ડની રચના કરવામાં આવી હોવાનું જણાવી તેની સારવાર માટે જરૂરી તમામ ઇન્જેકશન અને દવાઓના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યું હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ. રાજ્યભરના ૫૦ લાખથી વધુ ઘરોમાં ઘરે ઘરે જઈને સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવી ગામમાં જ કોરોનાને સંપૂર્ણપણે પરાસ્ત કરવાનો સંકલ્પ હોવાનું મુખ્યમંત્રી  એ કહ્યુ હતુ. સાથે- સાથે સર્વેલન્સ દરમિયાન શંકાસ્પદ જણાઇ આવતાં દર્દીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને પોઝિટિવ આવતા દર્દીઓને આઇસોલેશન કરીને સત્વરે સારવાર મળી રહે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા હાથ ધરવામાં આવી હોવાનું મુખ્યમંત્રી  એ ઉમેર્યુ હતુ.

રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થઈને ઘરે પરત થયા છે આજે દાખલ થનાર દર્દીઓના કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે જે સૂચવે છે કે કોરોના સામેના  નિયંત્રણમાં સરકાર ના પ્રયાસો સફળ રહ્યા છે. તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જણાઈ આવતા ટેસ્ટ કરાવવા અને ટેસ્ટમાં આવતા ગામમાં ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં જ પ્રાથમિક સારવાર મેળવવા મુખ્યમંત્રીએ અપીલ કરી હતી.

કોરોના સામેની લડતમાં રસીકરણ અમોધ શસ્ત્ર હોવાનું જણાવી સમગ્ર રાજ્યભરના ગ્રામ્ય ક્ષેત્રોમાં કોરોના રસીકરણની કામગીરી ઝડપથી થાય, ગ્રામજનો કોરોના રસીકરણ કરાવીને કોરોના સામેનું સુરક્ષિત બને તેવી હાર્દભરી અપીલ મુખ્યમંત્રીએ કરી હતી. રાજ્યના તમામ મંત્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ કોરોના સામેની લડતમાં કાર્યરત હોવાનું જણાવી "મારુ ગામ કોરોના મુક્ત ગામ" અભિયાનને રાજ્યવ્યાપી બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ હોવાનું કહ્યું હતુ. રાજ્યમાં ઓક્સિજન બેડ થી લઇ ઓક્સિજનનો જથ્થો પૂરતો  છે અને કોરોના સામેની લડતમાં જરૂરી તમામ સંસાધનો પૂરતા પ્રમાણમાં હોઇ રાજ્યના કોઇપણ નાગરિકે ડરવાની કે ગભરાવાની જરૂર નથી તેવી અપીલ મુખ્યમંત્રીએ કરી હતી.કોરોના  સામેની લડતમાં સારવાર અને સુવિધા અંગેની વિગતવાર માહિતી આપતા મુખ્યમંત્રી  એ જણાવ્યું કે, છેલ્લા બે મહિનાથી દરરોજ રાજ્યની હોસ્પિટલોને ૧૦૦૦ ટનથી વધુ ઓક્સિજનના પ્રવાહનો વપરાશ હોસ્પિટલોમાં થઇ રહ્યો છે જેની પૂરતી વ્યવસ્થા રાજ્ય સરકાર પાસે છે. એક માસમાં સાત લાખ રેમડેસિવીર ઇન્જેકશન પુરા પાડવામાં આવ્યા છે . ૧૫ માર્ચે રાજ્યભરમાં ૪૫૦૦૦ કોરોના  બેડ હતા જે આજે એક લાખ સુધી પહોચ્યા છે.

(9:09 am IST)