Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

અમદાવાદમાં કોરોના કેસમાં ઘટાડો થતા કોવિડ ધનવંતરી હોસ્પિટલમાં બેડ ખાલીના બોર્ડ માર્યા

અમદાવાદ: દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ હાલ રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે DRDO ના સહયોગથી બનાવવામાં આવેલી કોવિડ ધનવંતરી હોસ્પિટલમાં બેડ ખાલી હોવાનું બોર્ડ મારવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તમામ હોસ્પિટલોની બહાર બેડને લગતી માહિતી અંગે બોર્ડ લગાવી માહિતી આપવામાં આવી રહી છે.

રાજ્યમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા બાદ હવે છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,084 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 14,770 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 5,33,004 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે 78.27 ટકાએ પહોંચ્યો છે.

જો કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં DRDO ના સહયોગથી GMDC ગ્રાઉન્ડ ખાતે બનાવવામાં આવેલી કોડિવ ધનવંતરી હોસ્પિટલમાં બેડ ખાલી હોવાનું બોર્ડ મારવામાં આવ્યું છે. ધનવંતરી હોસ્પિટલમાં હાલ ઓક્સિજનવાળા 79 બેડ ખાલી છે. પંરતુ ICU વાળો એક પણ બેડ ખાલી નથી. હાઈકોર્ટના આદેશ બાદ તમામ હોસ્પિટલોની બહાર બેડને લગતી તમામ માહિતી અંગે બોર્ડ લગાવી માહિતી આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 દર્દીઓ અને મહામારીથી સાજા થઈ ચૂકેલા લોકોમાં વધી રહેલા મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના જોખમે ચિંતા વધારી દીધી છે. ત્યારે રાજ્યના સરકારી હોસ્પિટલોમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સારવાર ન કરાતી હોવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટમાં અરજદારે રજૂઆત કરી છે કે હાઇકોર્ટે લીધે સુઓમોટો અરજી આ મુદ્દે સાંભળવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓની યોગ્ય સારવાર કરવામાં આવતી નથી તેમજ દવાઓ અને નિષ્ણાંત તબીબોનો અભાવ છે. મ્યુકોરમાઈકોસિસના દર્દીઓને સરકારી હોસ્પિટલો અધવચ્ચે ડિસ્ચાર્જ કરી દે છે. સરકારી હોસ્પિટલનું વલણ ગેરબંધારણીય છે. આ અંગે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

(4:37 pm IST)