Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

જો માત્ર ૬૫ દિવસમાં સુરેન્દ્રનગર જીલ્લામાં ૩૫૭૭ જેટલા લોકોના મૃત્યુ થયા તો સમગ્ર ગુજરાતના ૩૩ જીલ્લાઓમાં કેટલા થયા હશે ? ભાજપ સરકારે દેશને કોરોનાના મુખમાં ધકેલીને બંગાળ અને આસામની ચૂંટણીઓ જીતવા રેલીઓ કરીઃ અમિત ચાવડાનો આક્રોશ

રાજકોટ, તા. ૧૦ :. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, કોરોનાની મહામારી ખૂબ ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહી છે. પરિસ્થિતિ બેકાબુ છે. કોરોના મહામારીને આજે ૧૩ મહિનાનો સમય વ્યતીત થયો ત્યાર બાદ સમગ્ર ગુજરાતમાં આજે ભય, અંધાધુંધી અને આરજકતાનો માહોલ છે. આજે લોકો ઓકિસજન માટે, બેડ માટે, વેન્ટીલેટર માટે, ઈન્જેકશન માટે દર દર ભટકી રહ્યા છે અને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. આ સમગ્ર અંધાધુંધી અને આરજકતા માટે કોરોના મહામારીની સાથે સાથે રાજ્ય સરકારનો અણઘડ વહીવટ અને સંકલનનો અભાવ જવાબદાર છે. આ જે સ્થિતિ જોઈએ એવુ સ્પષ્ટ કહેવુ પડે કે અત્યારે જે પરિસ્થિતિ ગવર્મેન્ટ મેડ ડીઝાસ્ટર છે અને એના જ કારણે સરકારી આંકડા મુજબ આજની તારીખે ૮૨૦૦ કરતા પણ વધારે લોકોના મૃત્યુ થયા છે. લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત છે.

જે લોકોના મૃત્યુ થયા છે એમાંથી મોટાભાગના લોકો ગરીબ, મધ્યમવર્ગ, જરૂરીયાતમંદ પરિવારોમાંથી આવે છે. અનેક પરિવારમાં જેનો કમાનાર મુખ્ય વ્યકિત કોરોના સંક્રમણનો ભોગ બની મૃત્યુ પામ્યા છે એવા સંજોગોમાં આજે ગુજરાતના મહામારીના સમયમાં પેન્ડેમીક એકટ, ગુજરાત ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૩, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ આ કાયદાઓ હેઠળ નિયંત્રણ અને કાયદાઓ અમલમાં છે. દરેક ડીઝાસ્ટરના એકટ છે. પેન્ડેમીકના એકટ છે. એમા બે જોગવાઈઓ હોય છે. એક શિક્ષાત્મક જોગવાઈ અને બીજો કલ્યાણલક્ષી જોગવાઈ અત્યારે આ સરકાર દ્વારા શિક્ષાત્મક જોગવાઈ ભરપુર ઉપયોગ કરવામાં આવે. માસ્ક ના પહેર્યુ હોય તો ૧૦૦૦ દંડ અનેક એકમોને સીલ કરી દેવામાં આવે. અનેક લોકો સામે પોલીસ કેસ કરવામાં આવે અને અનેક જાતની શિક્ષાત્મક કાર્યવાહીઓ છેલ્લા એક વર્ષથી કરવામાં આવી રહી છે.

જે કલ્યાણલક્ષી જોગવાઇ છે એનોય સદંતર અનદેખી કરવામાં આવે છે. આજે જયારે ગુજરાતમાં પરિસ્થિતિ બેકાબુ હોય, ગંભીર તબક્કામાં કોરોના મહામારીનો સામનો કરી રહયા હોય એવા સંજોગોમાં અમારી સ્પષ્ટ માંગણી છે કે દેશના ડીઝાસ્ટર એકટની કલમ નંબર-૧ર પેટા કલમ-૩ હેઠળ જે રીતે કુદરતી આપતીઓ, અકસ્માતના સંજોગો, મહામારીના સંજોગો અને એવા સંજોગોમાં કોઇનો પણ મૃત્યુ થાય તો એને વિકાસલક્ષી જોગવાઇ અનુસાર સહાય કરવાની જોગવાઇ છે. ભુતકાળમાં સરકારે અનેક વખત આવા કુદરતી આપદાના સમયમાં અકસ્માતોના સમયમાં. ગંભીર મહામારી કે અન્ય સંજોગોમાં મૃત્યુ પામનાર મૃતકોના પરીવારને સહાય કર્યાના અનેક દાખલાઓ છે.

ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે આ કોરોના મહામારીમાં છેલ્લા ૧૩ મહીનાની અંદર ગુજરાતમાં જે પણ લોકોના મૃત્યુ થયા છે તેવા તમામ મૃતક પરીવારજનોને આ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ, વિકાસલક્ષી પાસુ અને સહાનુભુતી સંવેદનશીલતા પુર્વક વિચાર કરી તમામ મૃતક પરીવારજનોને ચાર લાખ રૂપીયાની સહાય સરકાર તાત્કાલીક જાહેર કરે. આંકડાઓની રમતમાં સરકાર મૃતકોના આંકડા છુપાવવાના અનેક દાખલાઓ છે. નામદાર હાઇકોર્ટે પણ સરકારને ટકોર કરી છે. સરકાર આંકડાઓ છુપાવે છે એવા સંજોગોમાં ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ તમામ મૃતકના પરીવારોને આ સહાય મળે એ હેતુથી ગુજરાત કોંગ્રેસ દ્વારા જે પણ મૃતક પરીવારો છે એમની માહીતી મેળવવામાં આવશે એ માહીતી એકત્રીત કરીને સરકારને સુપ્રત કરવામાંઅ ાવશે જેથી કરીને આ પરીવારનો સહાય ઝડપથી સરળતાથી મળી શકે અને આ માહીતી મેળવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી દ્વારા ગુગલ ફોર્મના સ્વરૂપમાં લોકોને ઘેર ઘેર સુધી આ ફોર્મ મોકલવામાં આવશે.

જે તે મૃતકના પરીવાર દ્વારા એની સંપુર્ણ વિગત ભરીને અમને મળશે એ તમામ લોકો વતી અમે સરકારમાં રજુઆત કરીશું. અમે સરકારને ફરી વિનંતી કરીએ છીએ કે આ કપરો સમય છે તમે દંડ તો લીધા તમે આંકડા જોગવાઇનો, શિક્ષાત્મક જોગવાઇનો, પેન્ડેમીક એકટ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અમલ થયો પણ કલ્યાણલક્ષી જોગવાઇનો ઉપયોગ કરી, કોરોનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય ચુકવવાની તાત્કાલીક જાહેરાત કરવામાં આવે અને એના માટે કોંગ્રેસનો કાર્યકર આ મૃતક પરિવારોની સાથે રહી સરકારમાં રજૂઆત પણ કરશે અને એમને ઝડપથી સહાય મળે એવા પ્રયત્નો પણ કરશે. આપણે સૌએ છેલ્લા એક વર્ષમાં આ મહામારીના સમયમાં જોયું છે કે સરકાર વારંવાર આંકડા છૂપાવે છે, એ ટેસ્ટીંગના આંકડા હોય કે મૃતકોના આંકડા હોય, પણ સાથી જમીની હકિકત તદન વિપરીત છે અને એનોજ એક દાખલો આપની સમક્ષ ધારાસભ્ય શ્રી નૌષદભાઇ સોલંકી અને શ્રી ઋત્વિકભાઇ મકવાણા જમીની સાચી હકીકત મેળવી રજુ કરી છે. તમારી સમક્ષ એક જિલ્લાનો શુ કૌભાંડ ચાલે છે. કેવી રીતે માહિતી છૂપાવવામાં આવે છે. કેવી રીતે નિષ્ઠુર સરકાર લોકોના મોત સાથે પણ રમત રમી રહી છે. એનો પુરાવો આપવા માંગીએ છીએ.

ધારાસભ્યશ્રી નૌશાદ સોલંકી અને શ્રી ઋત્વીકભાઇ મકવાણાએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા જે રીતે આંકડાઓ છૂપાવવામાં આવી રહ્યાં છે તે માહિતી સુરેન્દ્રનગર જિલ્લાના આંકડાઓ ઉપરથી જાણી શકાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર બે મહિના અને ચાર દિવસમાં ૩૧૬૩ મૃત્યુ ગત વર્ષની સરખામણીએ વધારે થયા છે. અને જો વર્ષ ર૦ર૦ની તાલુકા દિઠ મૃત્યુની સરેરાશની સરખામણી કરીએ તો ૩પ૭૭ અધધ મૃત્યુ થયા, જયારે ગુજરાત સરકારની અધિકૃત વેબસાઇટ ઉપર સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમીત કુલ ૧રર લોકોનાં જ મૃત્યુ થયાનું દર્શાવવામાં આવી રહ્યું છે. તો શું સરકાર રપ ગણા મૃત્યુ ઓછા દર્શાવ્યા છે ? આ સત્ય હોય તો સરકારની આ ભુલ સેંકડો લોકોની હત્યા બરાબર કહેવાય તથા સરકાર સામે ગુજરાતના લોકોનો વિશ્વાસભંગ કરી સત્ય છૂપાવી ઘોર ગુન્હાહીત અપરાધ નથી ? જો માત્ર ૬પ દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૩પ૭૭ જેટલા મૃત્યુ થયા હોય તો સમગ્ર ગુજરાતમાં ૩૩ જિલ્લાઓમાં કેટલા થયા હશે ? આ બિહામણો અને અકળાવનારો સવાલ એક ગુજરાતીને કેમ ન થાય. ભાજપ સરકાર દેશને કોરોનાના મુખમાં ધકેલી બંગાળ અને આસામની ચૂંટણીઓ જીતવા રેલીઓ કરી હતી. શું તેને માફ કરાય ? આથી વિશેષમાં જો તાલુકા દિઠ સરખામણી કરીએ તો વઢવાણ, ધ્રાંગધ્રા, દસાડા, લીંબડી અને થાનગઢમાં મૃત્યુઆંકમાં અત્યંત વધારો થયેલ છે.

(5:04 pm IST)