Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

વડોદરાના તરસાલી બ્રિજ નજીક કારનું પંક્ચર થયેલ ટાયર બદલી રહેલ વેપારીને પાછળથી આવતા ટ્રકે હડફેટે લેતા ઘટનાસ્થળેજ મોત

વડોદરા : તરસાલી બ્રિજ પર કારનું પંક્ચર થયેલુ ટાયર બદલવા માટે ઉભેલા સુરતના વેપારીને પાછળથી આવતી ટ્રકે જોરથી ટક્કર મારતા વેપારીનું ઘટનાસ્થળે કરૃણ મોત થયુ હતું.જે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ ભાવનગરના ભદ્રાવદ ગામે  રહેતા નરેન્દ્રભાઇ સવજીભાઇ હરસોરા છેલ્લા સાત વર્ષથી સુરત અઠવા ગેટ પાસે દિપમંગલ સોસાયટીમાં રહે છે.અને છૂટક મિસ્ત્રી કામ કરે છે.તેઓ પરિવાર સાથે વતન ભાવનગર ગયા હતા.અને ગઇકાલે  સાંજે આઠ વાગ્યે તેઓ પોતાની કારમાં પરિવાર સાથે પરત સુરત આવતા હતા.રાતે સાડા અગિયાર વાગ્યે શહેર નજીક તરસાલી બ્રિજ ચડતા સમયે કારનું ટાયર પંક્ચર પડતા નરેન્દ્રભાઇ ટાયર બદલવા માટે નીચે ઉતર્યા હતા.અને રોડની ત્રીજી લેનમાં કાર ઉભી રાખી હતી.તેમના પત્ની કારમાં બેઠા  હતા.અને બે પુત્રીઓ ડિવાઇડર પર ઉભી હતી.તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી એક ટ્રકના ચાલકે નરેન્દ્રભાઇને ટક્કર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

પુત્રીએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી હતી.એમ્બ્યુલન્સના એટેન્ડન્ટે નરેન્દ્રભાઇને મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:44 pm IST)