Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સુરત:કામકાજ નહીં મળતા ઉઘનાના મજુર સહીત સરથાણાના યુવાને ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી

સુરત:કામકાજ નહીં મળતા ઉધનાનાં મજુરે અને વિદેશ જવાની તૈયારી કરી રહેલા સરથાણાનાં યુવાને  ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ઉધના વિસ્તારમાં ચીકુવાડી ખાતે કૈલાશ નગરમાં રહેતા ૨૬ વર્ષના દિનેશ પૂનમચંદ કુવરે તા.૭મી મે રાતથી તા.૮મીએ વહેલી સવાર દરમિયાન ઘરમાં રસોડામાં લોખંડના હૂક સાથે ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. દિનેશને સંતાનમાં બે પુત્ર છે. તે પરિવારનું ભરણ પોષણ કરવા માટે મજૂરી કામ કરતો હતો. પણ છેલ્લા દસેક દિવસથી કોઈ કામકાજ મળતા સતત માનસિક તાણ અનુભવતો હોવાથી પગલું ભર્યું હોવાની શક્યતા પોલીસે દર્શાવી છે. અંગે ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં સરથાણામાં માનસરોવર સોસાયટીમાં રહેતો ૨૧ વર્ષનો હરેકૃષ્ણ પ્રવિણભાઈ મારકણાએ કોઈ કારણસર ટેન્શનમાં ગઈકાલે રાત્રે ઘરમાં પંખાના હૂક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. હરેકૃષ્ણ મૂળ રાજકોટના જસદણના ઈશ્વરીયા ગામનો વતની હતો. તે વિદેશ જવા માટેની પરીક્ષાની તૈયારી કરતો હતો. સાથે તે સિવિલ ખાતે કોન્ટ્રાક્ પર કોમ્પ્યુટર વિભાગમાં નોકરી કરતો હતો. તેની એક બહેન છે. તેના પિતા હીરાના કામ સાથે સંકળાયેલા છે. અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:46 pm IST)