Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કોરોનાકાળમાં કામ ન મળતા ૨૬ વર્ષના યુવકનો આપઘાત

સુરતમાં પત્ની અને બે બાળક નોધારા : યુવકને છેલ્લા કેટલાક સમયથી મજૂરીનું કામ ન મળતા તે પરિવારની આર્થિક જરૂરિયાત પૂરી કરી શકતો ન હતો

સુરત,તા.૧૦ : સુરત શહેરમાં સતત આપઘાતની ઘટનાઓ નોંધાતી રહે છે. કોરોનાને લઈને કામ ન મળતા અને પરિવારની આર્થિક જરૂરિયાત પૂરી ન કરી શકતા વધુ એક યુવકે આવેશમાં આવીને આપઘાત કરી લીધો છે. યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. કોરોનાકાળમાં છેલ્લા એક વર્ષથી અનેક લોકોનો વેપાર-ધંધામાં મોટું નુકાસન થયું છે.

આ નુકસાન વચ્ચે હજુ પણ અનેક લોકોને કામ-ધંધો મળ્યો નથી. આથી તેઓ પોતાના પરિવારની આર્થિક જરૂરિયાત પૂરી કરી શકતા નથી. પરિવારનું ભરણ-પોષણ નહિ કરી શકતા આવા લોકો આવેશમાં આવીને આપઘાત કરી લેતા હોવાનું સામે આવ્યું છે. હવે આ કડીમાં વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ચીકુવાડી ખાતે આવેલા કૈલાશનગરમાં રહેતા ૨૬ વર્ષના દિનેશ પૂનમચંદ કુવરના પરિવારમાં આમ તો પત્ની અને બે સંતાન છે.

દિનેશ પરિવાર મજૂરી કરી પરિવારની આર્થિક જરૂરિયાત પૂરી કરતો હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેને મજૂરીનું કામ ન મળતા તે પરિવારની આર્થિક જરૂરિયાત પૂરી કરી શકતો ન હતો. આ કારણે તે ચિંતામાં આવી ગયો હતો. અને તેના પગલે સતત માનસિક તાણ પણ અનુભવતો હતો. વાત ત્યાં સુધી પહોંચી કે યુવકે આવેશમાં આવીને પોતાના ઘરની છતના હુક વડે ચાદર બાંધીને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણકારી મળતા પરિવાર માથે જાણે કે આભ ફાટી ગયું હતું.

ઘટના પગલે સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં યુવકે કોરોનાકાળમાં પરિવારનું ભરણ-પોષણ કરવા માટે કામ ન મળતા આપઘાત કરી લીધાનું ખુલ્યું છે. જોકે, સુરતમાં આ પ્રકારની પ્રથમ ઘટના નથી. આ પહેલા કોરોનાકાળમાં કામ ન મળવાની ચિંતામાં અનેક લોકો આપઘાત કરી ચૂક્યા છે. બીજી તરફ યુવાન દીકરો ગુમાવતા પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે.

(9:52 pm IST)