Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રાજપીપળાના સરકારી આયુર્વેદ દવાખાનામાં ડોકટરોની ઘટ સાથે દવાઓ પણ ન મળતા દર્દીઓને ધક્કા

કોરોના જેવી મહામારીમાં આયુર્વેદ અક્સિર ઈલાજ હોવા છતાં નર્મદા જિલ્લામાં સરકારે દવાખાના ખુલ્લા મુક્યા પણ એ હાલ ડોક્ટરો વગર શોભના ગાંઠિયા સમાન : દવાખાનામાં પણ અઠવાડિયામાં એકજ વાર ડોક્ટર આવે છે પરંતુ કેટલીક દવાઓના અભાવે દર્દીઓ નિરાશ થાય છે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ઘણા મહિનાઓથી આયુર્વેદ દવાખાનામાં જતા દર્દીઓ વીલા મોઢે પરત ફરતા જોવા મળે છે કેમકે દવખાના માં ડોક્ટરોની ઘટની સાથે સાથે છેલ્લા 2 મહિનાથી અમુક દવાઓ પણ સ્ટોકમાં ન હોવાથી રાજપીપળા દરબાર રોડ પરના આયુર્વેદ દવાખાના માં આવતા આધેડ ઉંમર ના દર્દીઓ ધક્કા ખાઈ પરત ફરે છે.સરકારે વિકાસ બતાવવા ઘણા દવાખાના ખુલ્લા મુક્યા પણ ડોકટરો અને દવાઓ ન હોય તો એ શોભના ગાંઠિયા સમાન છે.
રાજપીપળાના આયુર્વેદ દવાખાના માં ડોકટર અઠવાડિયા એકજ વાર આવે છે જેથી દર્દીઓ એ વારે આવતા હોય પરંતુ અહીંયા આવ્યા બાદ ખબર પડે કે આ દવા નથી ત્યારે દર્દીઓ અકળાઈ ને પરત ફરતા હોય છે.આમ પણ આયુર્વેદ માં અમુક મહિના નો કોર્સ કરવો પડતો હોય તેવા સંજોગોમાં દવા ખલાસ થઈ જાય તો નવી ગિલ્લી નવો દાવ જેવી હાલત દર્દી ઓની થતી હોય છે, માટે સરકાર રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં જરૂરી દવાઓ મળે અને ડોકટરો ની ઘટ પણ પુરે તેવી માંગ છે.

(11:45 pm IST)