Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કેન્દ્રીય ગૃહમંત્રી દિવાળીપર્વ ગુજરાતમાં મનાવશે

કાલે રાત્રે કચ્છમાં : ૧રમીએ સરહદી ગ્રામ પંચાયતોના પદાધિકારીઓના સંમેલનમાં હાજર રહેશે

નવી દિલ્હી, તા.૧૦ : કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઇ શાહ દિવાળીના તહેવારો દરમિયાન વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બિહાર રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી તથા દેશમાં અન્ય પ૦થી વધુ વિધાનસભા, લોકસભાની બેઠકની પેટા ચૂંટણીના આજે મંગળવારે પરિણામો જાહેર થવાના છે. આ પછી ઉભી થનારા રાજકીય પરિણામોના સમીકરણોને આખરી ઓપ આપ્યા પછી અમિતભાઇ ૧૧ નવેમ્બરે કચ્છ-ભુજ આવી પહોંચશે. ૧રમીએ સરહદી વિસ્તારના ગ્રામ પંચાયતોના પદાધિકારીઓ, સરપંચો સાથે ધોરડો ખાતે બેક કરશે અને પછી દિવાળીના તહેવારો પરિવાર સાથે ઉજવવા તેઓ અમદાવાદ આવી શકે છે.

દેશના ગૃહમંત્રીનો પદભાર સંભાળ્યા પછી અમિતભાઇ કોઇ સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમના અમલીકરણના સંદર્ભે સરહદી જિલ્લાની મુલાકાતે જઇ રહ્યા હોય એ પહેલી ઘટના છે. સરહદી જિલ્લાઓની સમસ્યાઓના ઉકેલ માટેની કામગીરીનો આરંભ ગુજરાતથી કરવાનું નક્કી કર્યું છે. અફાટ રણથી સુરક્ષીત કચ્છ જિલ્લાનો સરહદી વિસ્તાર પાકિસ્તાનની સરહદ સાથે જમીન અને દરિયા માર્ગથી જોડાયેલો છે.

કચ્છ જિલ્લા સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોમાં થઇ રહેલી કામગીરી અને પ્રશ્નોના સંદર્ભે કચ્છના ધોરડોમાં ટેન્ટસીટી ખાતે લગભગ એક હજારથી વધુ લોકો કોરોના ગાઇડલાઇન્સ પ્રમાણે બેસી શકે એવી રીતે વિશાળ ડોમ ઉભો કરાયો છે. આ બેઠકમાં કેન્દ્રીય ગ્રામ વિકાસમંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગનો ચાર્જ સંભાળતા એસીએસ પંકજકુમાર, કેન્દ્રના વરિષ્ઠ અધિકારીઓ, બીએસએફના અમલદારો ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં સરહદી વિકાસમાં આવતા કચ્છ જિલ્લાના ૧૦૬, પાટણના ૩પ, બનાસકાંઠાના ૧૭ મળી ૧પ૮ ગ્રામ પંચાયતના સરપંચ, આગેવાનો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો ૧રમીએ ધોરડો ખાતે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી કચ્છની મુલાકાત લેવાના હોવાથી બીએસએફના વડા રાકેશ અસ્થાના વિતેલા સપ્તાહે મુલાકાતે આવીને આયોજનની સમીક્ષા કરી હતી.

અમિતભાઇ ૧રમીએ સાંજે અમદાવાદ આવી પહોંચશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ ૧ર નવેમ્બરને વાઘબારસના દિવસે કચ્છથી સાંજે ૪ વાગ્યા પછી અમદાવાદ આવી પહોંચશે. અમિતભાઇ દિવાળીના તહેવારો પરિવાર સાથે ઉજવે તેવી શકયતા છે. માર્ચ મહિનામાં કોરોનાના કારણે લોકડાઉન જાહેર કરાયા પછી પહેલી વખત નવરાત્રી પૂર્વે ૧૩ ઓકટોબરે અમિતભાઇ અમદાવાદ આવી પહોંચ્યા હતા. જોકે, ૧૭મીએ વતન માણસા ખાતે બહુચર માતાના પૂજન અર્ચન અને આરતી કરી તેઓ બીજા દિવસે નવી દિલ્હી પરત ફર્યા હતાં. હવે દિવાળીના તહેવારોમાં તેઓ ગુજરાતમાં પાંચેક દિવસ માટે પરિવાર સાથે પસાર કરે એવી શકયતા છે.

(11:36 am IST)