Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

અમદાવાદમાં ફાયર NOC વગરની ૧૩ ઇન્ડસ્ટ્રીનો ૫૬૦૦ ચો.મી. વિસ્તાર સીલ

ગુજરાતમાં ગેરકાયદે ચાલતા કારખાનાઓ સીલ કરવાનું શરૂ : સમગ્ર રાજ્યનાં કલેકટરો -મ્યુ.કમિશનરોને આવા ગેરકાયદે યુનિટો સામે પગલાં લેવા આદેશો આવતા. શ્રમ-રોજગાર વિભાગનાં મુખ્ય અધિક સચિવ વિપુલ મિત્રાઃ અમદાવાદમાં ૧૮ એકમોને સીલ કરવા નોટીસો

અમદાવાદ,તા. ૧૦:  શહેરનાં પીરાણા- પીપલજ રોડ ઉપર કેમીકલ ગોડાઉનમાં બનેલ બનાવ બાદ સરકાર દ્વારા બનાવેલ સમિતી દ્વારા પ્રથમ તબક્કામાં અપાયેલ સૂચના બાદ ગુજરાતભરમાં ગેરકાયેદે ચાલતા ઈંડસ્ટ્રીયલ એકમને સીલ કરવા તેમજ ગેરકાયદે થયેલા ફેકટરી-ગોડાઉનનાં બાંધકામોની સામે કાયદાકીય પગલા ભરવાની શરૂઆત થઈ ગઈ છે એમ શ્રમ અને રોજગાર વિભાગનાં અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા દ્વારા જણાવાયુ છે.

રાજયમાં થતાં આગનાં બનાવોને રોકવા સરકાર દ્વારા રચાયેલી સમિતીનાં શ્રમ અને રોજગાર વિભાગનાં અધિક મુખ્ય સચિવ, વિપુલ મિત્રા દ્વારા મ્યુનિસીપલ કમીશનરોને અપાયેલ સૂચના બાદ અમદાવાદમાં રેવાકાકા એસ્ટેટ અને નાનુકા એસ્ટેટમાં આવેલી ૧૩ જેટલા એકમોને, અંદાજે ૫૬૦૦ ચો. મીટરનો એરીયા સીલ કરી દેવાયો છે. આ ઉપરાંત, AMC, GPCB અને DISH દ્વારા રચાયેલી ટીમ દ્વારા ૧૮ એકમોને સીલ કરવાની નોટીસ આપવામાં આવી છે.

આ ઉપરાંત, AMC દ્વારા વસ્ત્રાલ અને લાંભાના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા માટેની ઝૂમ્બેશ ચાલુ કરાયેલ છે. આવા NOC વગર ગેરકાયદે ચાલતા ઈંડસ્ટ્રીયલ યુનિટ સામેની ઝુંબેશ સોમવારથી દરેક મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ચાલુ કરી સીલ કરવાની કામગીરી ચાલુ કરી દેવાઈ છે.

સોમવારે રાજય સરકાર દ્વારા રચાયેલી સમિતીની અધિક મુખ્ય સચિવ, વિપુલ મિત્રાનાં અધ્યક્ષપણા હેઠળ રીવ્યું બેઠક યોજાઈ હતી. જેમાં GPCB નાં ચેરમેન સંજીવ કુમાર, અમદાવાદનાં ડેપ્યુટી કમિશ્નર બી.કે.મહેતા, GPCBનાં  સભ્ય સચિવશ્રી, DISH ડાયરેકટર તેમજ અન્ય સીનીયર અધિકારીઓ હાજર હતાં.

અધિક મુખ્ય સચિવ, વિપુલ મિત્રાનાં જણાવ્યા અનુસાર પ્રથમ દ્ર્ષ્ટીએ ગેરકાયદે લાગતા ઈંડસ્ટ્રીયલ યુનિટને સીલ કરવાની ઝુંબેશ આખા રાજયમાં ચાલુ કરવા માટે દરેલ કલેકટરને સુચના આપવામાં અવી છે. ઉપરાંત, આ જોઈન્ટ સર્વેનો 'એકશન ટેકન રીપોર્ટ' તા. ૧૩/૧૧/૨૦૨૦ સુધીમાં મંગાવવામાં આવ્યો છે. અમદાવાદ કલેકટરને મૃતકોનાં વારસદારોને મળતું વળતર જલ્દી ચુકવવા માટે પણ કહેવામાં આવ્યું છે.

પીરાણા- પીપલજ રોડનાં કેમીકલ ગોડાઉનમાં બનેલ વિસ્ફોટ અને આગની દુર્ઘટનાનો અહેવાલ NGT સમક્ષ તા. ૧૧/૧૧/૨૦૨૦નાં રોજ આપવામાં આવશે.

પોલીસ દ્વારા પણ પીરાણા- પીપલજ રોડનાં કેમીકલ ગોડાઉનમાં બનેલ ઘટના બાદ F.I.R નોંધી ધરપકડ કરવામાં આવી હતી તેમજ GPCB દ્વારા પણ સપ્લીમેંટરી F.I.R આપવામાં આવી છે.

વિપુલ મિત્રાનાં જણાવ્યા અનુસાર, જોઈન્ટ સર્વેનો 'એકશન ટેકન રીપોર્ટ' તા. ૧૩/૧૧/૨૦૨૦ સમિતી પાસે આવ્યા બાદ, રાજય સરકારને તા. ૧૮/૧૧/૨૦૨૦ સુધીમાં સોંપવામાં આવશે.

(3:32 pm IST)