Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

પક્ષ છોડનારા નેતાને ગદ્દાર ગણાવવા હવે ભારે પડ્યા

ગુજરાત કોંગ્રેસની દિવાળી બગડી : પ્રચારના અંતિમ દિને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ સોમા ગાંડા પટેલના કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો

અમદાવાદ,તા.૧૦ : રાજ્યમાં પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ગુજરાતની તમામ બેઠકો પર પેટાચૂંટણીના પરિણામમાં ભાજપ વિજય ભણી છે. ચૂંટણીના પરિણામ જાહેર થાય તે પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું કે આવનારા દિવસોમાં હવે ભાજપના ૧૧૧ ધારાસભ્યો થઈ જશે, પ્રજા જાણે છે અને તેના કારણે કૉંગ્રેસની આવી હાલત છે. દરમિયાન કૉંગ્રેસે સમગ્ર ચૂંટણી દરમિયાન પક્ષ છોડીને ભાજપમાં ગયેલા નેતાઓને ગદ્દાર ઠેરવતા કેમ્પેઇન ચલાવ્યા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ તો મુદ્દે ટ્વીટ પણ કર્યા અને કાર્ટૂન અને હોર્ડિંગ પણ છપાવ્યા હતા. જોકે, પરિણામના ટ્રેન્ડ જોતા કૉંગ્રેસને ગદ્દાર કાર્ડ ભારે પડતું નજરે આવ્યું છે. કારણ કે પ્રજાની વચ્ચે રહેતા નેતાઓએ કોઈ પણ કારણોસર કૉંગ્રેસ છોડ્યો હોય તેમને પ્રજાએ ભાજપમાંથી સ્વીકારતા પક્ષ સાથે નેતાની પણ જીત છે. દરમિયાન કૉંગ્રેસે ચૂંટણી પ્રચારના અંતિમ દિને સોમા ગાંડા પટેલની એક સીડી બહાર પાડી હતી.

દિગ્ગજ નેતાઓએ સીડીમાં સોમાભાઈ કથિત રીતે કોઈ વ્યક્તિ સાથે પૈસા લઈને રાજીનામું આપ્યું હોવાનું કહી રહ્યા હોવાનો કૉંગ્રેસ પક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો હતો. જોકે, લીંબડી અને અન્ય તમામ બેઠકોમાં ભાજપની જીત થતા કૉંગ્રેસને કેમ્પેન પણ બેકફાયર થયું છે. કૉંગ્રેસ છોડીને ગયેલા નેતાઓએ કૉંગ્રેસની દિવાળી બગાડી છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે 'પેટાચૂંટણીના પરિણામો વર્ષ ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ છે.

કૉંગ્રેસે ચૂંટણીમાં ખૂબ આક્ષેપો કર્યા છે પરંતુ પ્રજાએ કૉંગ્રેસને સ્થાન દેખાડી દીધું છે. અમે ફક્ત જીત્યા નથી જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છીએ. સીઆર પાટીલે જણાવ્યું કે "કોઈ એક મુદ્દા પર ચૂંટણી જીતી શકાતી નથી. પરંતુ અમે પેજ કમિટિને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. અમે લોકો સુધી પહોંચવા માટે લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવો અને કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તે ખૂબ મહત્ત્વનો ભાગ છે. વડાપ્રાન મોદીનો જે કામ કરવાની પદ્ધતિ છે. તેમના દ્વારા બનેલી યોજનાઓ દરેક તબક્કાને મળે તેવું કામ કર્યુ છે. મતદારો સાથે સંપર્ક કરવામાં કાર્યકરોએ જે કામ કર્યુ છે તેનું પરિણામ છે.

(7:45 pm IST)