Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

શિવ કથાકાર પૂ. ગિરીબાપુની સંગીત ટીમનું રત્ન દિલીપભાઇ પાનસુરીયાની ચીર વિદાય

નાની ઉંમરે નિધન થતા પૂ.ગિરીબાપુએ રડતા-રડતા વિદાય આપીઃ દિલીપભાઇના પત્ની પ્રેગનન્ટ છેઃ ઘેરો શોક

રાજકોટ તા. ૧૧ : જાણીતા શિવ કથાકાર પૂ.ગિરીબાપુની સંગીત ટીમનુ ''રત્ન'' દિલીપભાઇ પાનસુરીયાનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે.

છેલ્લા ૧૯ વર્ષથી પૂ. ગિરીબાપુ સાથે સંગીત ટીમમાં ગાયનની જવાબદારી સંભાળતા અને અસંખ્ય લોકોમાં પોતાના અવાજના કારણે લોકપ્રિય થયેલા દિલીપભાઇ પાનસુરીયા છેલ્લા ઘણા દિવસોથી પૂ. ગિરીબાપુની કથામાં વડોદરા હતા.

જયાં તેમની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.તબીબોએ નિદાન કરતા તેમનું હૃદય ર૦ ટકા જ કામ કરતું હોવાનું માલુમ પડયું હતું અને તાત્કાલીક સારવાર શરૂ કરવામાં આવી હતી.

પરંભુ ગઇકાલે દિલીપભાઇ પાનસુરીયાએ અંતિમ શ્વાસ લેતા ભારે શોક છવાઇ ગયો છે.

ગઇકાલે તેમની અંતિમવિદાયથી પૂ. ગિરીબાપુ તથા સાથી સંગીતકારો અને પરિવારજનો તથા સગા-સંબધીઓએ પુષ્પાંજલી અર્પીને  વસમી વિદાય આપી ત્યારે સૌ કોઇ રડી પડયા હતા.

પૂ.ગિરીબાપુ સાથે વર્ષોથી દરેક કથામા હાજર રહેનાર સ્વ. દિલીપભાઇ પાનસુરીયાના અવસાનથી પૂ.ગિરીબાપુએ પણ રડતા-રડતા પોતાના સાથીદાર વિદાય આપી હતી.સ્વ.દિલીપભાઇ પાનસુરીયાનુ મુળ વતન સાવરકુંડલા છે અને હાલમાં સૂરત રહેતા હતા. તેમના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા અને તેમના પત્ની પ્રેગનન્ટ છે.સ્વ. દિલીપભાઇ પાનસુરીયાના અવસાનથી ભારે શોક છવાઇ ગયો છે.

(4:45 pm IST)