Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

મકરસંક્રાંત પર્વમાં કોરોના મહામારીનું વિઘ્‍નઃ સુરતમાં આ વખતે ઉંધીયાના એડવાન્‍સ ઓર્ડરમાં 50 ટકા કાપ

સુરતઃ કોરોના સંકટને કારણે ધંધા-રોજગાર પર અસર પડી છે. તહેવારની સીઝન નજીક આવતા વેપારીઓને પોતાના ધંધામાં વધારો થવાની આશા હોય છે. પરંતુ તહેવારોની સીઝનમાં પણ લોકો ખાસ ધ્યાન રાખી રહ્યાં છે. હવે ઉત્તરાયણ નજીક આવી રહી છે. આ દિવસે લોકો ઊંધિયું ખાતા હોય છે. સુરતમાં દર વર્ષે મકરસંક્રાતિ પર હજારો કિલો ઊંધિયાંનો ઓર્ડર વેપારીઓને મળતો હોય છે. પરંતુ હવે કોરોનાનું ગ્રહણ ઊંધિયાં પર પણ લાગી ગયું છે. આ વર્ષે ઊંધિયાંની માંગ 50-60 ટકા ઓછી રહેવાની છે.

મકરસંક્રાંતિનો તહેવાર આવતા સૌથી સુરતી લાલાઓ હજારો કિલો ઊંધિયું આરોગી જતાં હોય છે. ખાસ આ દિવસના ઊંધિયાં માટે લોકો પડાપડી કરતા જોવા મળે છે અને એડવાન્સ ઓર્ડર આપે છે. જો કે કોરોનાની અસર અહીં પણ જોવા મળી રહી છે. વેપારીઓના મતે આ વર્ષે અંદાજિત 50 ટકા જેટલા ઓર્ડર ઓછા છે. જો કે નેચરલ ઇન્ગ્રીડિઅન્ટસ અને શાકભાજી તળીને કરીને તૈયાર કરવામાં આવેલું ઊંધિયું 12 કલાક સારું રહેતા બહારગામ જતા લોકોમાં તેની માંગ વધી છે. ઉત્તરાયણ પર સુરતમાં ન રહીને નજીકના પ્રવાસન સ્થળોએ જનારા લોકો દ્વારા ઊંધિયાં માટે અંદાજિત 10 ટકા જેટલા ઓર્ડર અપાયા છે.

વિદેશોમાં પણ નામના મેળવનાર ઊંધિયું

ખાસ કરીને કતારગામની નાયલોન પાપડી, રતાળુ, રવૈયા, શક્કરિયા, બટાકા જેવા સાતથી આઠ પ્રકારના શાકભાજી તેમજ લીલું લસણ, કોથમીર, પાલકનો રસ વગેરે સાથે ખાસ મસાલાથી તૈયાર થાય છે. તેલ અને શાકભાજીના ભાવમાં થોડો વધારો થયો હોવાને કારણે આ વર્ષે ઊંધિયાંનો ભાવ ૨૮૦ રૂપિયા કિલો રહેવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

ઊંધીયુ બનાવનાર કમલેશ સાપરાએ કહ્યું કે, અનેક પેઢીઓથી ઊંધિયું બનાવીએ છીએ. હું ચોથી પેઢીનો છું. દર વર્ષે 200થી 250 કિલો જેટલો ઊંધિયું બનાવીએ છે પરંતુ આ વખતે 100 કે 115 કિલો જ બનશે. 13 જાન્યુઆરીની મોડી રાતથી જ ઊંધિયું બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે.

(5:23 pm IST)