Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

હું એનસીપીમાં છું અને તેમાં જ રહેવાનો છું: નડીયાદમાં ખિલખિલાટ વાનના લોકાર્પણ પ્રસંગે એનસીપીના જયંત બોસ્‍કીનું મહત્‍વપૂર્ણ નિવેદન

ગોવિંદભાઇ પરમારને હવે ટિકીટ નહીં મળે એટલે દોડયા હોવાનો આક્ષેપ

નડિયાદ: વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ વચ્ચે ભાજપના વધુ એક ધારાસભ્ય નારાજ થયા હોવાના સમાચારે ચારેબાજુ ચર્ચા જગાવી છે. નડીયાદમાં ખિલખિલાટ વાનના લોકાર્પણના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, વિધાનસભા મુખ્ય દંડક પંકજ પટેલે ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય અને એનસીપીના નેતા જયંત બોસ્કીને બોલાવતા ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર ગિન્નાયા હતા. પરંતુ પાર્ટીનું દબાણ હોય તેમ આજે તેમને પોતાના નિવેદન પરથી ફેરવી તોળ્યું હતું. બીજી બાજુ ભાજપમાં જોડાવાની વાત પર NCPના જયંત બોસ્કીનું મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવ્યા છે.

ભાજપમાં જોડાવાની વાત પર NCPના જયંત બોસ્કીએ મૌન તોડીને નિવેદન આપી દીધું છે. જયંત બોસ્કીએ જણાવ્યું છે કે હું NCPમાં છું અને CNPમાં જ રહીશ. નડીયાદમાં ખિલખિલાટ વાનના લોકાર્પણમાં બોસ્કી જોડાયો હતો. જેમાં દેવુસિંહ મારા અંગત મિત્ર છે અને એટલે મને આમંત્રિત કર્યો હતો. ગોવિંદ સિંહ પરમારના નિવેદનને જયંત બોસ્કીએ ફગાવી દીધું હતુ અને જણાવ્યું હતું કે ગોવિંદભાઈને હવે ટિકિટ નહીં મળે એટલે દોડ્યા છે.

ગુજરાત પ્રદેશ NCP અધ્યક્ષ જયંત બોસ્કીએ જણાવ્યું હતું કે, 2022 ની ચૂંટણી કોંગ્રેસ અને NCP ગઠબંધન સાથે લડશે. એનસીપી તેની ક્ષમતા પ્રમાણે ટીકીટની કોગ્રેસ સાથે માંગણી કરી ગઠબંધન કરશે. ગત વિધાનસભામાં અમારા કારણે 16 બેઠકો ઉપર નુકશાન થયું હતું. આ ચુટંણીમાં એવું ન થાય તેનું ધ્યાન રાખીશું.

નડિયાદમાં આયોજીત ખીલખીલાટ એમ્બુલન્સના લોકાર્પણ પ્રસંગે હાજર રહી ભાજપમાં જોડાવા અંગે ખુલાસો કરતા જયંત બોસ્કીએ જણાવ્યું હતું કે, હુ એનસીપીમાં છું અને એનસીપીમાં રહેવાનો છું. દેવુસિંહ મારા અંગત મિત્ર છે અને એટલે એમણે મને એમ્બ્યુલન્સના લોકાર્પણ માટે જણાવ્યું હતું. દેવુસિંહ અગાઉ NCP માં હતા. ગોવિંદ પરમારને ખબર છે તેમને હવે ટિકિટ મળવાની નથી એટલે સીએમને મળવા દોડી ગયા હતા, જ્યારે મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ઉમરેઠના કાર્યક્રમમાં તેમની સાથે સ્ટેજ પર રહેતો.. એનો મતલબ એ નથી કે હું ભાજપમાં જોડાવાનો છું..

BJP MLA ગોવિંદ પરમારનું  નિવેદન

બોસ્કીના ભાજપમાં જોડાવાની વાત પર MLA ગોવિંદ પરમારનું મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગોવિંદ પરમારે જણાવ્યું કે બોસ્કી ભાજપમાં આવશે તો હું કોંગ્રેસમાં જોડાઇશ. પક્ષના નેતાઓ બોસ્કીને ભાજપમાં લાવવા પ્રયત્ન કરી રહ્યા છે, જો બોસ્કી ભાજપમાં આવશે તો તેઓ કોંગ્રેસમાં જતા રહેશે.. પરમારે વધુમાં કહ્યું કે આ સરકારમાં કોંગ્રેસમાંથી આવેલાં અન્ય ધારાસભ્યોને મંત્રી બનાવ્યા પણ આણંદમાંથી હું એક ચૂંટાયો તેમ છતાં મને મંત્રી બનાવાયો નથી. હજુ કોંગ્રેસના કેટલાંય નેતાઓ સાથે મારે મિત્રતા છે.. પરમારના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું હતું.

જો કે પાર્ટીમાંથી દબાણ આવતા ગોવિંદ પરમારે કહ્યું કે, 'હું કોઈથી નારાજ નથી, પક્ષ છોડવાની કોઈ વાત જ નથી'. બોસ્કી ભાજપમાં જોડાશે આ પ્રકારની વાતો ખોટી છે. હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ રહીશ. મંત્રી પદ આપે કે ના આપે, એ પક્ષનો નિર્ણય છે. મેં લોકોના અનેક કામ કર્યા છે અને પક્ષ ફરી ટીકીટ આપશે તો જીતી બતાવીશ.

(5:14 pm IST)