Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કોરોના મહામારીને સત્વરે ”હેલ્થ ડીઝાસ્ટર” જાહેર કરવા માંગ :પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ધી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005 અંતર્ગત આર્થિક સહાય આપવા માગણી

અમદાવાદ :વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીને પત્ર લખીને કોરોના મહામારીને ‘હેલ્થ ડીઝાસ્ટર’ જાહેર કરીને મહામારીનો ભોગ બનેલા લોકો અને તેમના પરિવારોને ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2003 અને ધી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005 અંતર્ગત આર્થિક સહાય આપવા માગણી કરી છે.

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા દોઢ વર્ષથી ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયાને સદીની સૌથી મોટી કોરોના મહામારીએ ભરડો લીધો છે. હાલમાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન નવા સ્ટ્રેઈનની આક્રમકતા અને વ્યાપકતા, સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘાતક પુરવાર થઈ રહેલી છે, ત્યારે કુદરતી આપત્તિઓ સમયે પ્રજાની વ્હારે આવવું એ દરેક સરકારની ફરજ છે. કુદરતી આપત્તિઓમાં ભોગ બનેલા લોકોને સાત્વના, સારવાર અને આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવી, જે બાબત ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટથી સરકાર ઉપર લાદવામાં આવેલ સંવૈધાનિક ફરજ છે.

તેમણે વધુમાં એમ પણ કહ્યું છે કે, આ એકટ અંતર્ગત અછત, પૂર, ભૂકંપ, વાવાઝોડા વિગેરે કુદરતી આપત્તિઓ સમયે કેશડોલ્સ, ઘરવખરી, મકાન, પશુપાલન અને ખેતી પાકોને થયેલા નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે છે તેમજ અપંગતા અને મૃત્યુ અંગે સહાય ચૂકવવામાં આવે છે.

હાલ આ જ કાયદાઓ હેઠળ જુદા જુદા નોટિફીકેશનો બહાર પાડી અને સરકારને મળેલા વિશેષાધિકાર અંતર્ગત શિક્ષકોને સ્મશાનમાં મૃત્યુ આંક છુપાવવાની જવાબદારીઓ સહિત સરકારી તંત્રને ફરજીયાત સેવા માટે દબાણપુર્વક ફરજ પાડવામા આવી રહી છે તેમજ સામાન્ય માણસો પાસે આકરી દંડનીય કાર્યવાહીથી કરોડો રુપિયાની ઊઘરાણી કરવામાં આવે છે, પરંતુ હાલ પર્યાપ્ત આ કાયદા અન્વયે કોઈપણ અસરગ્રસ્ત દર્દીઓને સારવાર કે સહાય આપવામાં આવી નથી, જે અતિ દુઃખદ છે.

ગત વર્ષથી રાજ્યમાં કોરોના મહામારીનો અસંખ્ય લોકો ભોગ બનેલા છે અને હજારો લોકો મૃત્યુ પામેલ છે તેવા સમયે આ કાયદામાં સહાય ચૂકવવાની જોગવાઈ હોવા છતાં પણ રાજ્ય સરકાર પોતે જ ઘડેલા કાયદાનું ઉલ્લંઘન કરીને પ્રજાને મળવાપાત્ર સહાયથી વંચિત રાખે છે તે
બિલકુલ વ્યાજબી નથી, ત્યારે સરકારે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલી તમામ વ્યક્તિઓના પરિવારોને આર્થિક સહાય ચૂકવવી જોઈએ તથા તે અંગેના ધોરણો, માપદંડો નિર્ધારીત કરવાની કાયદાથી લાદેલી સંવૈધાનિક ફરજો પણ સરકારે અદા કરવી જોઈએ.

પરેશ ધાનાણીએ ઉમેર્યું છે કે, કોરોના વાયરસને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા 24-3-2020થી લોકડ઼ાઉન કરવામાં આવેલ, જે તા. 31-5-2020 સુધી અમલમાં હતું અને હાલમાં લોકડાઉન નથી, પરંતુ લોકો ભયના ઓથાર હેઠળ સ્વૈચ્છિક લોકડાઉન પાળી રહ્યા છે ત્યારે લગભગ તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ છે અને ફરી ક્યારે પૂર્વવત થશે તે નક્કી નથી તેવા સંજોગોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે રોજીરોટીની સમસ્યા ઊભી થઈ છે અને જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે. આવી અતિ વિપરીત પરિસ્થિતિમાં સરકારે સત્વરે સહાય ચૂકવવા માટે આગ્રહપૂર્વકની લાગણી અને માંગણી સહ ભલામણ કરી છે.

 પરેશ ધાનાણીએ   કરેલી માંગણી આ મુજબ છે

  • કોરોના સંક્રમણના કારણે પ્રાથમિક સારવાર મેળવતા-મેળવેલ દર્દીઓને રૂ.10,000
  • કોરોના સંક્રમણના કારણે કોવિડ કેર સેન્ટર-હોમ આઈસોલેશનમાં સારવાર લેતા દર્દીઓને રૂ. 25,000
  • કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને રૂ. 1,00,000
  • કોરોના સંક્રમણથી શંકાસ્પદ મૃત્યુ પામેલના પરિવારજનોને રૂ. 2,00,000
  • કોરોના સંક્રમણની આડઅસરથી થયેલ મૃત્યુ પામનારના પરિવારજનોને રૂ. 3,00,000,
  • કોરોના સંક્રમણથી થયેલ મૃત્યુ પામનારના પરિવારજનોને રૂ. 4,00,000
(12:15 am IST)