Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

બાગ - બગીચા - જીમ - મંદિરો - હોટલો ખુલ્યા : દુકાનોને ૭ સુધીની છૂટ

આજથી ગુજરાત 'અનલોક' ભણી આગળ વધ્યું : ૩૬ શહેરોમાં નિયમો હળવા કરાયા : કેસ ઘટતા વધુ છૂટ : મંદિરોના દ્વાર ખુલતા ભકતો ભાવવિભોર : હોટલો શરૂ થતા સ્વાદ રસિયાઓને જલ્સા : જો કે રાત્રી કર્ફયુ રાત્રે ૯થી સવારે ૬ સુધીનો ચાલુ

અમદાવાદ તા. ૧૧ : આજથી ગુજરાત અનલોક તરફ વધુ આગળ વધશે. સરકારે આપેલી છૂટછાટ મુજબ આજથી ગુજરાતમાં ધાર્મિક સ્થળો, બાગ-બગીચાઓ અને જીમ ખુલશે, હોટલમાં ૫૦ ટકા કેપેસિટી સાથે સીટીંગ શરૂ થયા છે. આજે ૧૧ જૂનના રોજ સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. જેના બાદ બગીચાઓના દરવાજા નાગરિકો માટે ખોલી દેવાયા છે. ૩૬ શહેરોમાં જયાં પ્રતિબંધ હતો, ત્યાં બગીચાઓમાં લોકો મોર્નિંગ વોક કરતા દેખાયા છે. રાજય સરકાર દ્વારા આપવામાં આવેલી છુટ છાટ સાથે રીવરફ્રન્ટ પણ શરૂ થયો છે.

કોરોનાનું સંક્રમણ માર્ચ મહિનામાં વધતા એક બાદ એક સુવિધાઓ બંધ કરવામાં આવી હતી. લગભગ ત્રણ મહિના જેટલા સમયગાળા દરમિયાન બધુ બંધ હતું. પરંતુ અનલોક ગુજરાતમાં આજથી બગીચા, જીમ, બસ સેવાઓ શરૂ ફરીથી ધમધમતી થઈ જશે.

રેસ્ટોરન્ટ અને હોટલ સવારે ૯ થી સાંજે ૭ સુધી તેની બેસવાની ક્ષમતાના ૫૦% સાથે ચાલુ રાખી શકાશે. ટેકઅવે રાત્રે ૯ સુધી અને હોમ ડિલિવરી રાત્રે ૧૨ વાગ્યા સુધી થઈ શકશે. રાત્રી કફર્યુનો અમલ આજથી રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધીનો રહેશે

તમામ દુકાનો, વાણિજિયક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેકસ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે ૯ થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે. વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના ૫૦ ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે ૬ થી સાંજે ૭ સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે.

જીમ્નેશિયમ ૫૦ ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે

રાજયના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે ૫૦ થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ ૬૦% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત રાજયના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFL વગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે. સાથે જ રાજયમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ ૫૦ વ્યકિતની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે.

આ ઉપરાંત તમામ દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેકસ સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ અપાય છે. હેર સલૂન, બ્યુટી પાર્લર પણ સવારે ૯થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે. ૫૦ ટકા ક્ષમતા સાથે લાયબ્રેરી અને જીમ્નેશિયમ ચાલુ રાખી શકાશે.

શહેરમાં કોરોના બેફામ બનતા તા. ૧૮ માર્ચથી મ્યુનિ. સંચાલિત ૨૮૩ બાગ-બગીચા, કાંકરિયા લેક અને ઝૂને અનિશ્ચિતકાલિન મુદત માટે બંધ રાખવાનો નિર્ણય મ્યુનિ. તંત્ર દ્વારા લેવાયો હતો. શહેરીજનોમાં કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા કમિશનર મૂકેશકુમારે આ મહત્ત્વપૂર્ણ લીધો હતો. આ પહેલાં મ્યુનિ. બાગ-બગીચા સવારના ૬.૩૦ વાગ્યાથી ૯.૦૦ વાગ્યા સુધી અને સાંજના ૬.૦૦ થી રાતના ૯.૦૦ વાગ્યા સુધી લોકો માટે ખુલ્લા રખાયા હતા. જોકે ગત તા. ૧૮ માર્ચથી બાગ-બગીચાને પૂરેપૂરા દિવસ માટે બંધ કરી દેવાયા હતા. આની સાથે અમદાવાદીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા કાંકરિયા લેકને પણ  તબક્કાવાર આવતી કાલથી ખોલી દેવાય તેવી શકયતા છે.

આજે બપોરે સંબંધિત અધિકારીઓ આ અંગે કમિશનરનું માર્ગદર્શન મેળવશે. જોકે ભાજપના શાસકો પણ બાગ-બગીચા અને કાંકરિયા લેકને લાગેલાં તાળાં ખોલી દેવાનાં સમર્થનમાં છે. શાસક પક્ષ દ્વારા આ અંગે તંત્ર સમક્ષ ભારપૂર્વક રજૂઆત પણ કરાશે.શહેરમાં બાગ-બગીચા આખો દિવસ બંધ રહેવાથી ખાસ કરીને સ્વાસ્થ્યપ્રેમીઓની કફોડી હાલત થઈ હતી. જૂનની શરૂઆતથી તંત્રના ચોપડે કોરોનાનું સંક્રમણ ઘટતાં મોર્નિંગ અને ઇવનિંગ વોકર્સની બાગ-બગીચાને ફરી ખોલી દેવાની માગણી બળવત્તર બની છે. ઉપરાંત આગામી તા. ૨૧ જૂનના આંતરરાષ્ટ્રીય યોગદિવસે મ્યુનિ. બાગ-બગીચાઓ યોગપ્રેમીઓ માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે.

જયારે કાંકરિયા લેક ખાતે મિની ટ્રેન, કિડ્સ સિટી, એમ્યુઝમેન્ટ પાર્ક-૧, નગીનાવાડી, વોટર એકિટવિટિઝ, નોકટર્નલ ઝૂ પરનો પ્રતિબંધ હમણાં કદાચ કાયમ રહેશે. મ્યુનિ. સત્તાવાળાઓ કાંકરિયા લેકના સહેલાણીઓને ફકત બાલવાટિકા અને બટરફલાય પાર્કનાં આકર્ષણની ભેટ આપે તેમ છે, કેમ કે ઝૂના મામલે સંબંધિત વિભાગને રાજયના વનવિભાગની મંજૂરી લેવી પડશે. આ મંજૂરી હજુ સુધી આવી નથી. જોકે મિની ટ્રેન, એમ્યુઝમેન્ટ પાર્ક વગેરે બંધ રાખવાથી કાંકરિયા લેકની રોનક ઘટશે.

આ તમામ પ્રવૃત્ત્િ। તા. ૨૬ જૂન બાદ શરૂ કરાય તેવી શકયતા છે. હાલમાં રાજય સરકારની નવી છૂટછાટ તા. ૧૧થી ૨૬ જૂન સુધી અમલમાં રહેવાની છે.કોરોના મહામારીના કારણે કાંકરિયા લેકને ૮૫ દિવસ સુધી બંધ રાખવાથી મ્યુનિ. તિજોરીને આવકમાં રૂ. એક કરોડથી વધુનો ફટકો પડ્યો છે. જોકે કાંકરિયા લેકના તોતિંગ ગેટને ખુલ્લા મૂકવાથી મોર્નિંગ વોકર્સમાં આનંદ છવાશે.

સવારના ચાર વાગ્યાથી સાત વાગ્યાના સમયગાળામાં મોર્નિંગ વોકર્સને છૂટ અપાઈ છે.દરમિયાન, મ્યુનિ.ના ૨૮૩ બાગ-બગીચા પૈકી ૨૩૦ અમુલ હસ્તક છે, પરંતુ અમૂલ હસ્તકના બાગ-બગીચામાં જાળવણીના મામલે ભારે ધાંધિયાં જોવા મળે છે. તંત્ર નિયમાનુસાર અમૂલને પેનલ્ટી ફટકારે છે, પરંતુ શહેરના બાગ-બગીચાઓની જોઈએ તેવી સારસંભાળ લેવાતી ન હોઈ બાગ-બગીચા ફરીથી ખૂલવા જઈ રહ્યા છે ત્યારે અમૂલ હસ્તકના બગીચાની સફાઈના પ્રશ્ન ઊઠશે.

(10:48 am IST)