Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મૃત્યુ પામેલા દાદાએ લીધા કોરોના રસીના બંને ડોઝ

કોરોનાની રસીકરણમાં છબરડા સામે આવ્યા : બનાસકાંઠાના ડીસામાં મૃત દાદા બાદ પૌત્રોને તેમની માતાએ પણ રસીના ડોઝ લઈ લીધાના મેસેજ આવે છે

અમદાવાદ,તા.૧૧ : કોરોના સામે રક્ષણ મેળવવા માટે હાલ તો માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ ઉપરાંત રસીકરણ જ વિકલ્પ છે. દેશભરમાં રસીકરણની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન વેક્સીનેશન પ્રોગ્રામમાં થતાં છબરડાં પણ ધ્યાન ખેંચી રહ્યા છે. બનાસકાંઠાના ડીસામાં રહેતો સુથાર પરિવાર રસીકરણના આવા જ છબરડાંનો ભોગ બન્યો છે. સ્વર્ગવાસી દાદાનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે, મમ્મીને રસીને મળ્યા વિના જ ડોઝ લઈ લીધાનો મેસેજ આવે છે. આટલું ઓછું હોય તેમ પરિવારના બે દીકરાઓના ફોન નંબર CoWIN એપ પર કોઈ અજાણી મહિલાઓના નામે રજિસ્ટર થયેલા બતાવે છે. સુથાર પરિવાર માટે સૌથી આઘાતજનક વાત તો એ છે કે, તેમના દાદા રઘાનાથ સુથારનું ૮ જૂનના રોજ સંપૂર્ણ રસીકરણ થયું હોવાનો મેસેજ આવ્યો હતો. હકીકત તો એ છે કે, ઉંમરને કારણે થયેલી બીમારીના લીધે ૨૦ મેના રોજ જ તેમનું અવસાન થયું હતું. મતલબ કે, નિધનના ૧૮ દિવસ પછી રઘાનાથ સુથારનું રસીકરણ પૂરું થયું હોવાનું સરકારી ચોપડે બોલે છે. અમને મેસેજ મળ્યો કે, ૮ માર્ચે મારા દાદાએ વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે. પરંતુ અમે આ મેસેજ પર ખાસ ધ્યાન નહોતું આપ્યું કારણકે ફ્રેક્ચર અને અન્ય બીમારીને લીધે દાદા પથારીવશ હતા. તેમના નિધન પછી અમને મેસેજ આવ્યો કે દાદાનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે ત્યારે અમને શંકા થઈ કે અહીં કોઈ ભૂલ અથવા ગેરરીતિ થઈ છે. સિસ્ટમમાં ચોક્કસપણે કોઈ ગેરરીતિ થઈ છે, તેમ સ્ઈ સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી દિલિપ સુથારનું કહેવું છે. આ પહેલીવાર નથી જ્યારે ગુજરાતના વહીવટીતંત્ર દ્વારા મૃતક વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હોય.

       તાજેતરમાં જ ૨૦૧૮માં મૃત્યુ પામેલા હરદાસ કારિંગિયાના પરિવારને એસએમએસ આવ્યો કે, ૩ મેના રોજ તેમને રસી આપવામાં આવી છે. આશરે ત્રણ વર્ષ પહેલા મૃત્યુ પામેલા હરદાસ કારિંગિયાનો પરિવાર આ સંદેશો જોઈને આશ્ચર્યમાં છે. આવી જ બીજી ઘટના દાહોદના રહેવાસી નરેશ દેસાઈ સાથે બની છે. હાલમાં જ તેમને CoWIN એપ પરથી મેસેજ આવ્યો કે, તેમના પિતા નટવરલાલ દેસાઈને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે. જ્યારે નટવરલાલ દેસાઈનું અવસાન તો ૨૦૧૧માં જ થઈ ગયું હતું. દરમિયાન, સુથાર પરિવારની વાત કરીએ તો, તેમના માટે આંચકાજનક ઘટનાઓ જાણે અટકવાનું નામ નહોતી લઈ રહી. દિલિપે જણાવ્યું કે, તેણે અને તેના ભાઈ વિનોદે ૧ મેના રોજ જ કોરોનાની રસી લીધી હતી. મહત્વનું છે કે, ૧ મે ૨૦૨૧થી જ ભારતમાં ૧૮-૪૪ વર્ષની વયજૂથ માટે રસીકરણ શરૂ થયું હતું. દિલિપે કહ્યું, અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફે અમને બોલાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ૪૫થી વધુની વયના ઘણાં લોકો સ્લોટ બુક કરાવ્યા પછી પણ રસી લેવા નથી આવ્યા. પરિણામે વધારાના ડોઝનો બગાડ થશે. જે બાદ દિલિપ અને વિનોદે ત્યાં જઈને રસી લીધી હતી.

(9:04 pm IST)