Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ગુજરાતમાં ૪,૮૩,૭૫,૮૨૧ મતદારો, ૫૧૭૮૨ મતદાન મથકો : ૪ રવિવારે મતદાર યાદી સુધારણા ઝુંબેશ

૧ ઓકટોબર ૨૦૨૨ સુધીમાં ૧૮ વર્ષ પૂરા થતા હોય તેને મતાધિકાર મળવા પાત્ર

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૧ : ગુજરાત વિધાનસભાની આગામી સામાન્‍ય ચૂંટણીમાં મહિલાઓ, દિવ્‍યાંગો અને યુવાનો સહિત મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મુખ્‍ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા કેટલાક સુધારાઓનો પણ અમલ કરવામાં આવી રહ્યો છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં મતદારયાદી સંબંધિત કાયદા અને નિયમોમાં સુધારા જાહેર કરવામાં આવ્‍યા છે. આ સુધારા દ્વારા હવે મતદારો માટે મતદારયાદીમાં નામ નોંધાવવા કે સુધારા-વધારા કરાવવાનું સરળ થયું છે. સૌથી મહત્‍વનો સુધારો યુવા મતદારો માટે મતદાર તરીકે નામ દાખલ કરાવવા સબંધિત છે.

અગાઉ નવા મતદાર તરીકે નામ નોંધાવવા દર વર્ષે ૧લી જાન્‍યુઆરીના રોજની લાયકાત ધ્‍યાને લેવામાં આવતી હતી. મતદાર હવે ૧લી ઓકટોબર સુધીમાં જે યુવાનો ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેઓ આગામી ખાસ સંક્ષિપ્ત સુધારણા -ઓકટોબર, ૨૦૨૨ દરમિયાન મતદારયાદીમાં નામ નોંધાવી શકે છે.

જે પૈકી સુધારવામાં આવેલ ફોર્મ-૬ માત્ર મતદાર યાદીમાં પ્રથમ વખત નામ નોંધણી કરાવવા માટે ઉપયોગમાં લેવાનું રહેશે. સાથે જ અનાથ નાગરિકના કિસ્‍સામાં કાયદેસરના વાલી અને ત્રીજી જાતિના કિસ્‍સામાં ગુરૂની વિગતો પણ સબંધની વિગતોના કોલમમાં આપી શકાશે તથા દિવ્‍યાંગ મતદારો દિવ્‍યાંગતાની વિગતોના પ્રમાણપત્ર સાથે તેનો ફોર્મ-૬માં ઉલ્લેખ કરી શકશે. અગાઉ સ્‍થળાતરથી અન્‍ય વિધાનસભા મતવિભાગમાં જતા મતદારો માટે પણ ફોર્મ-૬નો ઉપયોગ થતો હતો તે જોગવાઈ હવે દૂર કરવામાં આવી છે.

બિન નિવાસી ભારતીયો કે જે ભારતના નાગરિક છે પરંતુ શિક્ષણ કે રોજગારના હેતુઓ માટે ભારતની બહાર વસવાટ કરે છે તેઓ ફોર્મ-૬(ક) ભરીને મતદારયાદીમાં નામ નોંધાવી શકે છે, જે જોગવાઈ યથાવત રાખવામાં આવી છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. આ ઉપરાંત મતદારયાદીમાં નોંધાયેલ નામની સામે આધાર નંબરની વિગતો પૂરી પાડવા એટલે કે મતદાર ઓળખપત્રને આધાર નંબર સાથે લિંક કરાવવા ફોર્મ-૬(ખ) ભરી શકાશે.

હાલની મતદારયાદીમાં નોંધાયેલા નામ કે નામ નોંધણીની અરજી સામે વાંધો ઉઠાવવા માટે તથા મતદારયાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ-૭નો ઉપયોગ કરવાનો રહેશે. જેના નામ કે અરજીની સામે વાંધો ઉઠાવવાનો હોય તેની વિગતો રજૂ કરવાના કોલમમાં સુધારેલા ફોર્મમાં સહેજ ફેરફાર કરવામાં આવ્‍યો છે. ફોર્મ-૦૭ની તે સિવાયની બાબતો યથાવત રાખવામાં આવી છે.

હાલ મુસદ્દા મતદાર યાદીમાં ૨,૫૦,૦૬,૭૭૦ પુરૂષ, ૨,૩૩,૬૭,૭૬૦ સ્ત્રી અને ૧,૨૯૧ ત્રીજી જાતિના મળી કુલ ૪, ૮૩,૭૫,૮૨૧ મતદારો નોંધાયેલા છે. જે તમામનો ફોટો મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ ઉપરાંત પુનઃગઠન બાદ કુલ ૫૧,૭૮૨ મતદાન મથકો નક્કી કરવામાં આવ્‍યા છે.

નોંધાયેલા મતદારો Voter Helpline મોબાઈલ એપ, ચૂંટણી પંચના National Voter’s Service Portal https://www.nvsp.in (NVSP Portal) પર તથા મુખ્‍ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in ના માધ્‍યમથી તથા સબંધિત ભાગના બુથ લેવલ ઓફિસર, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને કલેક્‍ટર કચેરીની ચૂંટણી શાખા, પ્રાંત કચેરી કે મામલતદાર કચેરી ખાતેથી મતદાર યાદીમાં પોતાનું અને પોતાના પરિવારના સભ્‍યોનું નામ છે કે કેમ તે ચકાસી શકશે. આ સિવાય કચેરી કામકાજના દિવસોએ કચેરી સમય દરમ્‍યાન હેલ્‍પલાઈન નંબર ૧૯૫૦ પર ફોન કરીને પણ મતદાર યાદીમાં નામ છે કે નહી તે જાણી શકાશે.

મુખ્‍ય નિર્વાચન અધિકારીશ્રીની સુચના અનુસાર રાજયભરમાં તા.૨૧/૦૮/૨૦૨૨, તા.૨૮/૦૮/૨૦૨૨, તા.૦૪/૦૯/૨૦૨૨ અને તા.૧૧/૦૯/૨૦૨૨ એમ સળંગ ચાર રવિવારના રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં નિયોજીત સ્‍થળો અને મતદાન મથકોએ પદનામિત અધિકારીઓ દ્વારા સવારના ૧૦.૦૦ કલાકથી સાંજના ૧૭.૦૦ કલાક સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્‍વિકારવામાં આવશે.

મતદારો નિયોજીત સ્‍થળો અને મતદાન મથકોએ સંબંધિત ભાગની મતદારયાદીનો મુસદો જોઈ શકશે. સાથે જ મુસદ્દા મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારો કરવા અરા ફોર્મ મેળવી અને ભરેલું ફોર્મ રજૂ કરી શકશે. રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલા બુથ લેવલ એજન્‍ટ (BLA) ના સહકારથી મતદારયાદીના મુસદાની ચકાસણી કરી ક્ષતિ પણ શોધવામાં આવશે.

આ ઉપરાંત મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને બુથ લેવલ ઓફિસર પાસે પણ હક્ક-દાવાના ફોર્મ જમા કરાવી શકાશે. વધુમાં, Voter Helpline મોબાઈલ એપ, ચૂંટણી પંચના National Voter’s Service Portal https://www.nvsp.in (NVSP Portal) પર તથા મુખ્‍ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in ના માધ્‍યમથી પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્‍યાન મળેલી હક્ક-દાવાઓની અરજીઓનો નિકાલ કરી તા.૧૦/૧૦/૨૦૨૨ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. જે મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી સબંધિત ભાગના મતદાન મથક ખાતે. Image PDF ફોર્મેટમાં મુખ્‍ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in પર તથા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગોની મતદાર યાદી જોવા મળી શકશે.

(4:13 pm IST)