Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

સુરતમાં વેન્ટિલેટર ન મળતા મહિલાનું મોત નિપજ્યું

શબવાહિની ન મળતા લારીમાં મૃતદેહને સ્મશાન પહોંચાડ્યો : મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડતાં પુત્ર વેન્ટિલેટર માટે આખા શહેરમાં રખડ્યો, ક્યાંય ન મળતાં અંતે મોત

સુરત, તા. ૧૧ : સુરતઃ ઓલપાડમાં વેન્ટિલેટર ના મળતા મહિલાનું મોત નીપજ્યું છે. જો કે, શબવાહિની પણ ના મળતાં પરિવારજનોએ તેમનો મૃતદેહ લારીમાં રાખીને સ્મશાન પહોંચાડ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ માતાને શ્વાસની તકલીફ થતા પુત્ર આખા શહેરમાં ફર્યો હતો પરંતુ વેન્ટિલેટર ના મળતા આખરે મોત થયું હતું. આ ઉપરાંત શબવાહિની પણ ન મળતા માતાનો મૃતદેહ લારીમાં લઈ જવો પડ્યો હતો.

મૃતક મહિલાના પુત્રના જણાવ્યા અનુસાર માતાને શ્વાસ લેવામાં તકલીફ થતાં આખા શહેરમાં વેન્ટિલેટર માટે રખડ્યો હતો. જોકે, વેન્ટિલેટર મળ્યું ન હતું. જેને કારણે માતાનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ ૩ કલાક સુધી શબવાહિની ના મળતાં માતાની અંતિમવિધિ માટે રઝળપાટ કરવો પડ્યો હતો.

દીકરાએ વધુમાં જણાવ્યા મુજબ માતાને શ્વાસની તકલીફ હોવાથી કોરોનાની શંકા લાગી રહી છે. લોકોની સેફ્ટીને ધ્યાનમાં રાત્રે જ અંતિમવિધિ કરવા ઈચ્છતા હતા. સ્મશાનનો સંપર્ક કરતા સ્મશાનની ચાવી ન હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્મશાનના ઉપરી અધિકારીઓ સાથે વાત કરતા ૩ કલાકે સ્મશાનની ચાવી આપવામાં આવી હતી. રાજ્યભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે જેને કારણે આવા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ શનિવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં સુરત કોર્પોરેશન અને જિલ્લાના મળી કુલ ૧૧૫૨ કેસ નોંધાયા છે. જેની સામે ૭૫૫ દર્દીઓને હોસ્પિટલની સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જો કે, ગંભીર બાબત એ છે કે, સુરતમાં શનિવારે એક જ દિવસમાંકોરોનાથી ૧૬ દર્દીઓ મોતને ભેટ્યા છે. આમ કોરોનાની બીજી લહેરમાં દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોની સાથે મૃત્યુઆંકમાં પણ ખૂબ જ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.

(9:09 pm IST)