Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

જસ્ટ એક્શન થકી સાહજીક, સાયન્ટીફીક અને ટેકનોલોજીકલ તપાસને આધારે ગુનેગારોને સજા કરાવવી હવે વધુ સરળ બનશે

ભારતમાં નાર્કોટિકસ્ દ્રવ્યોને ઘુસાડતા અટકાવવા અમારી સરકારનો મક્કમ નિર્ધાર:‘‘નો એક્શન’’ અને ‘‘એકસ્ટ્રીમ એક્શન’’ વચ્ચે મૂંઝવણ અનુભવતી પોલીસ માટે હવે ‘‘જસ્ટ એક્શન’’નો વિકલ્પ નવો માર્ગ* : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ : ડ્રગ્સની હેરાફેરી પર નિયંત્રણ લાવવા વિશેષ રીસર્ચ બેઇઝ્ડ ‘‘સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલીસીસ ઓફ નાર્કોટીક્સ ,ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટેન્સીસ સાયન્ટીફીક’’ સેન્ટરનો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રી

  અમદાવાદ : આજે ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલીસીસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટેન્સીસ સેન્ટરનો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે કહ્યું હતું કે, ગુનેગારોની પૂછપરછ માટે હવે થર્ડ ડીગ્રીનો જમાનો ગયો, વૈજ્ઞાનિક ટેકનોલોજી અને સાયન્ટીફીક પુરાવાઓના આધારે ફોરેન્સીક એક્સપર્ટ્સની મદદથી સરળતાથી ગુનાઓની કબૂલાત અને તેને આનુષાંગિક પુરાવાઓ એકત્રિત કરવાનો જમાનો છે અને તે માટે જ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી તથા ફોરેન્સીક એક્સપર્ટની મદદથી ગુનેગારોને સજા આપવામાં વધુ સફળતા મળશે.
તેમણે ઉમેર્યુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશની બીજીવાર ધરા સંભાળી ત્યારે જ દેશના યુવાનોને ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરવા માટે અને દેશમાં થતી ડ્રગ્સની હેરાફેરી પર સંપૂર્ણ નિયંત્રણ લાવવા એક વિશેષ રીસર્ચ બેઇઝ્ડ સાયન્ટીફીક સેન્ટરનું નિર્માણ કરવાનું લક્ષ્ય સેવ્યુ હતુ. ત્યારે જ મોદીએ ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી  કે જે હવે નેશનલ ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવે છે તેની પસંદગી કરી હતી અને આજે માત્ર દોઢ વર્ષના સમયગાળામાં જ યુનિવર્સિટીએ હાઇટેક ટેકનોલોજીથી યુક્ત સાધનો સાથે સેન્ટર કાર્યરત કરી દીધુ છે. હવે દેશમાંથી પકડાતા તમામ પ્રકારના ડ્રગ્સ અને તેના ઉત્પાદનના સ્થળો ઉપરાંત તેની હેરાફેરી માટે વપરાતા રસ્તાઓનું વિગતવાર રીસર્ચ થઇ શકશે જે દેશના ભાવિને ડ્રગ્સ મુક્ત  કરવા ખૂબ જ અસરકારક પૂરવાર થશે.
  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યુ છે કે, નો એક્શન અને એકસ્ટ્રીમ એક્શન વચ્ચે મૂંઝવણ અનુભવતા પોલીસ માટે હવે જસ્ટ એક્શન એટલે કે સાહજીક, સાયન્ટીફીક અને ટેકનોલોજીકલ તપાસથી ગુનેગારોને સજા કરાવવા હવે સરળ બનશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે ઉમેર્યુ કે, વધતા જતા ફોરેન્સીક ક્ષેત્રના વ્યાપને ધ્યાને લઇને વિશ્વ કક્ષાની નંબર વન યુનિવર્સિટી NFSUની શાખા પોતાના રાજ્યોમાં શરૂ કરવા દેશના સાત જેટલા રાજ્યોએ રસ દાખવ્યો છે ત્યારે આ યુનિવર્સિટી  તમામ રાજ્યોમાં એક્સટેન્શન સેન્ટર શરૂ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણની તક પૂરી પાડશે જે દેશના યુવાનોને ફોરેન્સીક સાયન્સ ક્ષેત્રમાં એક્ષ્પર્ટ બનાવવા ઉપરાંત રોજગારી પણ પૂરી પાડશે એટલુ જ નહી દેશની ક્રિમીનલ જસ્ટીસ ડિલીવરી સીસ્ટમને પણ વધુ મજબૂત કરશે.
  તેમણે ઉમેર્યુ કે  NFSU સ્થિત સાયબર ડિફેન્સ સેન્ટર અને અત્યાધુનિક બેલેસ્ટીક સેન્ટર કે જેની મુલાકાત સીધી તે બંને સેન્ટર પોતાના વિષયમાં અલગ વિશેષ મહત્વ ધરાવે છે તે જોતાં આ બંને ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બન્યુ છે. સાયબર ડિફેન્સ સેન્ટર આજના સમયની આર્થિક સ્થિરતાની માંગ છે જે વડાપ્રધાનશ્રીની પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમીના લક્ષ્યને સાકાર કરવા મહત્વપૂર્ણ સાબિત થશે જયારે બેલેસ્ટીક રિસર્ચ સેન્ટર દેશભરની પોલીસ, સેન્ટર પેરામીલેટરી ફોર્સીસ અને દેશના સૈન્યને વધુ સુરક્ષિત  કરવા મહત્વપૂર્ણ સાબિત થશે.
 તેમણે કહ્યુ કે, ભારત દેશની સરહદી વિસ્તાર સંવેદનશીલ છે જે પોલીસ ફોર્સ માટે પડકારરૂપ છે જેને ચેલેન્જ તરીકે સ્વીકારી તેના નિરાકરણ માટે ફોરેન્સીક સાયન્સ પણ મદદરૂપ સાબિત થઇ શકે એમ છે અને વર્ષો જૂની સી.આર.પી.સી., આઇ.પી.સીની કલમો તથા એવિડન્સ એક્ટની કલમોમાં પરિવર્તન કરવા માંગીએ છીએ. વર્તમાન  પરિસ્થિતીના પડકારોને આધારે નવી કલમો ઉમેરો તથા જૂની કલમોમાં જરૂરી ફેરફારો કરવા અમારી સરકાર આગળ વધી રહી છે. છ વર્ષથી વધુ સજા ધરાવતા કોઇપણ ગુનામાં FSL વીઝીટ ફરજીયાત કરવાનો અમારો ધ્યેય છે. દરેક જિલ્લામાં ફોરેન્સીક વાન અને જિલ્લા  FSL યુનિટ શરૂ કરવા પણ તૈયારી છે. માનવબળ સીમીત છે. પરંતુ હવે નેશનલ ફોરન્સીક સાયન્સીસ યુનિવર્સિટી પોતાની શાળા અન્ય રાજ્યોમાં આપવા સક્ષમ થતાં ખૂબ જ ટુંકા સમયમાં એક્ષપર્ટ યુવા ટીમ તૈયાર કરવા તથા વધુ ફોરેન્સીક કોલેજો બનાવવાની અમારી નેમ છે જે અમારા લક્ષ્યને સાકાર કરવા મહત્વનું કદમ છે.
  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે ઉમેર્યુ કે, ‘‘નાર્કો ટેરર’’ એ ભારત માટે નવો ખતરો છે જે ભાવી પેઢીને તો બરબાદ કરે જ છે સાથો સાથ દેશના અર્થતંત્રને પણ અસર કરે છે જેને કારણે જ ભારતમાં નાર્કોટિકસ્ દ્રવ્યોને ઘુસાડતા અટકાવવા અમારી સરકારનો મક્કમ નિર્ધાર છે. તેના માટે જ આ સેન્ટરની રચના કરવામાં આવી છે. ડ્રગ્સની સીગ્નેચર પ્રોફાઇલ, ડ્રગ્સ ઉત્પાદકની ભૌગોલિક પ્રોફાઇલ તથા ડ્રગ્સની હેરાફેરીનો રૂટ સહિતની અતિ બારીક બાબતોનું પણ રિસર્ચ આ સેન્ટર પર કરવામાં આવશે. એટલું જ નહી દરેક રાજ્યને ડ્રગ્સનું ટેસ્ટીંગ ઓન ધ સ્પોટ થઇ શકે  તે માટેની સ્વદેશી ડ્ગ્સ ટેસ્ટીંગ કિટ બનાવવાનું કાર્ય આ સેન્ટર કરશે. છેલ્લા દોઢ વર્ષમાં સૌથી વધુ ડ્રગ્સ પકડી  પાડવાનો રેકોર્ડ  ભારત દેશે કર્યો છે જે દેશના યુવાધનને ડ્રગ્સ મુક્ત કરવાની દિશામાં મહત્વનું પગલુ તો છે જ તેની સાથે સાથે ગૌરવની વાત છે. મને વિશ્વાસ છે કે આ યુનિવર્સિટીથી આવનારા પાંચ વર્ષમાં જ વિશ્વની સર્વોચ્ચ સ્થાન ધરાવતી યુનિવર્સિટીઓ પૈકીની એક યુનિવર્સિટી હશે.
  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી NFSUને મળેલા ગૌરવરૂપ સેન્ટર ઓફ એકસલન્સ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનો ગુજરાત વતી આભાર વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢ બનાવવા સાથે ટેકનોસેવી રીતે સાયન્ટીફિક ઇન્વેસ્ટીગેશનની પહેલ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીને હવે રાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે.
તેમણે કહ્યું કે, કોઇપણ ક્રાઇમ-ગૂનાનું પ્રોપર ઇન્વેસ્ટીગેશન થાય, તેના આધાર ઉપર કન્વીકશન થાય અને ક્રાઇમ કંટ્રોલ થાય તે માટે આ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીની મહત્વની ભૂમિકા છે. હવે તેને રાષ્ટ્રીય દરજ્જો મળતાં દેશના અન્ય રાજ્યોને પણ તેનો લાભ મળશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે વિશ્વમાં બાયોલોજીકલ વોર, સાયબર વોર જેમ ડ્રગ્સ-નશીલા પદાર્થોનું પણ અઘોષિત યુદ્ધ ચાલી રહ્યું છે તેનો ભોગ આપણા યુવાઓ ન બને તે માટે ડ્રગ્સની હેરાફેરી કરનારા લોકોના મૂળ સુધી, તેમાં વપરાયેલા કેમિકલ્સની, ડ્રગ્સના જિયોગ્રાફિકલ ઓરિજીન સુધી પહોચવું તે સમયની માંગ છે તે નજર અંદાજ ન કરવું જોઇએ.
હવે, NFSUનું આ સેન્ટર ઓફ એકસલન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલીસીસ ઓફ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એ દિશામાં આગવી પહેલ છે એમ તેમણે ઉમેર્યુ હતું.
ભારતનું યુવાધન નશાથી દુર રહે, નશામુક્ત ભારત બને તે માટે આ સેન્ટરનું નિર્માણ થવાથી તેનો લાભ આખા દેશને મળવાનો છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.  
 વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતે પણ નશાબંધી અને દારુબંધી માટે કડકમાં કડક કાયદાઓ બનાવ્યા છે તેનો ચુસ્ત અમલ કરીને ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવી રહી છે.
  તેમણે ઉમેર્યું કે, દિનપ્રતિદિન દારુની રેડ પાડીને યુવાનો નશામુક્ત બને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ગુજરાતે  હુક્કાબાર પર પણ પ્રતિબંધ મુક્યો છે તેમજ ડ્રગ્સ કંટ્રોલ માટે પણ આયોજનબદ્ધ  પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોલીસ અધિકારીઓ માટે વર્ચ્યૂઅલ ટ્રેનિંગ પ્રોગ્રામ – ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ અગેન્સ્ટ વિમેન પણ શરૂ થઇ રહ્યો છે તે માટે પણ અભિનંદન પાઠવ્યા હતા.
  મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત કરવા માટે અનેક યોજનાઓ કરી છે. ગુજરાતમાં અભયમ્” ૧૮૧- મહિલા હેલ્પલાઈન રાત-દિવસ કાર્યરત છે, તેના કારણે રાજ્યની કિશોરીઓ, યુવતી અને મહિલા નિર્ભય બની હરી ફરી શકે છે.
ચેનની ચીલઝડપ થાય છે તે સામે પણ આપણે કડક કાયદો બનાવ્યો છે અને લવજેહાદ માટે પણ મહિલાઓને ભોળવીને ધર્માંતર કરવામાં આવે છે તે સામે પણ કડક કાયદો બનાવીને આવા ગૂનેગારો સામે કડક હાથે કામ લેવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલિસસ ઓફ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ ભવન આવનારા દિવસોમાં શક્તિશાળી, સશક્ત અને સમુદ્ધ ભારત તેમજ આત્મનિર્ભર ભારતની દિશાનું પ્રશસ્ય કદમ બનશે.
ગુજરાત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર જે.એમ વ્યાસે સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૯માં આ સંસ્થાનું બીજ રોપ્યુ અને આજે આ સંસ્થા વટવૃક્ષ બની ગઈ છે. છેલ્લા દશ વર્ષમાં સંસ્થાએ કેટલીક કામગીરીને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકારે આ સંસ્થાને રાષ્ટ્રીય દરજ્જો આપીને ગુજરાતને ગૌરવ આપવા બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.
 વ્યાસે ઉમેર્યું કે આ સંસ્થાની વૈશ્વિક ઓળખ બને એ માટે NDPS સેન્ટરનું આજે કેન્દ્રિય ગૃહમંત્રીએ ઉદઘાટન કર્યું છે ત્યારે નાર્કોટિક્સ અંગે સંશોધનો માટે પણ સંસ્થા મોડલરૂપ બની રહેશે એવો મને વિશ્વાસ છે. તેમણે ઉમેર્યુ કે આજે લોકોને વ્યસનમાંથી મુક્તિ અપાવવા માટે અભ્યાસની જરૂર છે ત્યારે કેન્દ્ર સરકારે જે અભિગમ હાથ ધર્યો છે એમાં આ સંસ્થાના આ કેન્દ્ર દ્વારા નશીલી દવામાંથી લોકોને મુક્ત કરવા ડ્રગ્સ ક્યાંથી આવે છે ? ક્યાંની બનાવટ છે તેમાં વપરાતા પદાર્થો પર પ્રતિબંધ લાવવો કે કેમ એ માટે અન્ય વિક્લ્પ આપવો એ સંદર્ભે સંશોધનો થશે જે દેશ માટે નવો રાહ ચીંધશે. આ ઉપરાંત દેશના પોલીસ અધિકારીઓ માટે નવું તાલીમ મોડલનો શુભારંભ થયો છે જે પણ વર્ચ્યુઅલી તાલીમ લઇ પોલીસ અધિકારીઓ ગુના શોધવામાં શક્યતા મળશે અને આવનાર સમયમાં ગુના નિયંત્રણ અને ગુના શોધનમાં વધુ સહાયતા મળશે એવો મને વિશ્વાસ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કરાવામાં આવ્યું હતું. આ વેળાએ રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા, અધિક સચિવ પૂન્યા શ્રીવાસ્તવ, ગુજરાત સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના DG શ્રી રાકેશ અસ્થાના, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા, ઉચ્ચ પોલીસ અધિકારીઓ NFSUના વૈજ્ઞાનિકો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

(7:18 pm IST)