Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

ગોતા તળાવને પિકનિક સ્થળ તરીકે વિકસાવાશે

૪.૬૫ કરોડના ખર્ચે ગોતા તળાવનો વિકાસ કરાશે : ગોતા તળાવની ખુલ્લી જમીનમાં વૃક્ષારોપણ, બગીચો, રમતગમતનાં સાધનો, ઓપન જીમ, ગઝેબો વગેરે બનશે.

અમદાવાદ, તા.૧૨ : શહેરનાં ગોતા વોર્ડમાં વધુ એક વિકાસકાર્ય સાકાર થવા જઇ રહ્યું છે. ગોતાનાં વિશાળ ગામ તળાવને સાડા ચાર કરોડથી વધુનાં ખર્ચે નાગરિકોને હરવાફરવાનાં સ્થળ તરીકે ડેવલપ કરવામાં આવશે.પ્રાપ્ત માહિતી અનુસાર, મ્યુનિ.નાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં સમાવેશ થયેલાં ગોતા, ઓગણજ, ચાંદલોડિયા, છારોડી, ત્રાગડ વગેરે વિસ્તારોમાં અત્યારે રહેણાંક અને કોમર્શિયલ પ્રકારનાં બાંધકામો ધમધોકાર થઇ રહ્યા છે. આ વિસ્તારોમાં રહેવા આવતાં નાગરિકોને વિવિધ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવી મ્યુનિ.ની ફરજમાં આવે છે. તેથી જયાં તળાવ હોય તેને ડેવલપ કરવા અને જ્યાં બાગબગીચા ન હોય ત્યાં ટીપી સ્કીમ અન્વયે મળેલાં પ્લોટમાં બગીચા બનાવવામાં આવી રહ્યાં છે.

ઉત્તર પશ્ચિમ ઝોનનાં આ વિસ્તારો પૈકી ગોતા વોર્ડ ઉપર મ્યુનિ. સત્તાધીશો ખાસ મહેરબાન થયાં છે. છેલ્લા કેટલાક સમયથી ગોતા વોર્ડમાં કરોડો રૂપિયાનાં કામો થયાં છે અને હાલમાં પણ થઇ રહ્યાં છે. જેમાં ગોતા ગામ તળાવને હરવાફરવાનાં સ્થળ તરીકે ડેવલપ કરવામાં આવશે. બે તબક્કામાં હાથ ધરાનારા તળાવ ડેવલપમેન્ટ પ્રોજેકટમાં પ્રથમ તબક્કામાં ઇજનેર ખાતા દ્વારા તળાવ ફરતે કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરવાની સાથે સાથે તળાવમાં સફાઇ માટે ઉતરી શકાય તે માટે આરસીસી રેમ્પ, તળાવની જમીન ધસી ન પડે તે માટે તળાવમાં ખુલતી સ્ટોર્મ વોટર આસપાસ સ્ટોન પીચીંગ એટલે કે પથ્થર લગાવાશે. આ ઉપરાંત તળાવ ફરતે વોક-વે, આકર્ષક લાઇટીંગ અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે.

જ્યારે તળાવમાં ઇજનેર વિભાગની કામગીરી પૂરી થશે ત્યારબાદ બગીચા ખાતા દ્વારા ગોતા તળાવની ખુલ્લી જમીનમાં વૃક્ષારોપણ, બગીચો, રમતગમતનાં સાધનો, ઓપન જીમ, ગઝેબો વગેરે કામગીરી બીજા તબક્કામાં હાથ ધરવામાં આવશે. જોકે ગોતા અને પાસે આવેલાં ઓગણજનાં તળાવની હાલત વર્ષોથી ગામતળનાં તળાવ જેવી રહી છે અને આસપાસમાંથી ગટરનાં ગંદા પાણીનાં નિકાલનાં સ્થળ બની રહ્યાં છે. તેથી સૌપ્રથમ આ તળાવોમાં આવતાં ગટરનાં ગંદા પાણી રોકવા માટે હયાત સ્ટોર્મ વોટર લાઇનનાં તળાવમાં ખુલતા છેડા પાસે ગેટ મૂકવામાં આવશે. જેની પાછળ ૪૧ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવશે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ગોતા અને ઓગણજમાંથી ગટરનાં ગંદા પાણીનાં નિકાલ માટે નવી ગટર લાઇનો નાખવામાં આવેલી છે અને તેને એસ.જી.હાઇવે ઉપર મેઇન લાઇનમાં જોડવામાં આવેલી છે, પરંતુ તળાવોમાં ખુલતી સ્ટોર્મ વોટર લાઇનમાં હજુ પણ કયાંક ક્યાંકથી ગટરનાં પાણી આવી રહ્યાં છે, જેને રોકવા માટે ગેટ લગાવવા જરૂરી બન્યાં છે. આ ગેટ ચોમાસામાં પ્રથમ વરસાદ પડે તે સમયે ખોલવામાં આવશે, જેથી વરસાદી પાણીનો તળાવમાં નિકાલ થઇ શકે. ચોમાસા બાદ ગેટ બંધ કરી દેવામાં આવશે, જેથી ગટરનાં પાણી તળાવમાં ઠલવાય નહિ.

(7:32 pm IST)