Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

યુવક અને કિન્નરનો પ્રેમસંબંધ લોહિયાળ બન્યો :ભરૂચના મકતમપુરમાં કિન્નરે યુવાનની ચપ્પુથી હત્યા કરતા ચકચાર

કિન્નર અને યુવાન 10 વર્ષથી પ્રેમ સંબંધમાં રહેતા હતા: 4 દિવસ પૂર્વે જ કિન્નરે પ્રેમીને જાનથી મારી નાખવાની આપી હતી ધમકી

ભરૂચ : શહેરના મકતમપુર વિસ્તારમાં કિન્નરે યુવાનની ચપ્પુનાં ઘા મારી હત્યા કરતા ચકચાર મચી છે. કિન્નર અને યુવાન 10 વર્ષથી પ્રેમ સંબંધમાં રહેતા હતા. સામાન્ય ઝઘડામાં ઉશ્કેરાઈ ગયેલા કિન્નરે યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી હતી.

રૂચમાં યુવાન અને કિન્નર વચ્ચેનાં પ્રેમ સબંધ લોહીયાળ બન્યા હતા. જેમાં કિન્નરે તેના પ્રેમીની ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી હતી. ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલા ભાથીજી મંદિર નજીક રહેતા નયના નામના કિન્નર સાથે આ જ વિસ્તારના 30 વર્ષના યુવાન અબ્દુલ સિંધીનાં છેલ્લા 10 વર્ષથી પ્રેમ સબંધ હતા અને બન્ને સાથે રહેતા હતા. પ્રેમ સંબંધમાં બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. બુધવાર રાત્રે પણ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાયેલા કિન્નરે તેના પ્રેમી અબ્દુલ સિંધીને પેટનાં ભાગે છરીના ઘા મારી દીધા હતા. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત અબ્દુલ સિંધીને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન આ યુવાનનું મોત થયું હતું.

બનાવની જાણ થતા જ ભરૂચ સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે યુવાનના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. સી ડિવિઝન પોલીસે નયના કિન્નર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

4 દિવસ પૂર્વે મૃતક અબ્દુલ સિંધીએ તેની કરજણ ખાતે રહેતી બહેન સુફિયા શેખને મળીને નયના કિન્નરે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વાત કહી હતી. જે બાદ બુધવારે નયના કિન્નરે તેના બદઈરાદાને અંજામ આપી પ્રેમીની કારપીણ હત્યા કરી હતી

(6:30 pm IST)