Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ વધતા ઇસનપુરના દેવ ફલેટના ર૦ મકાનો ૮પ લોકોને કન્‍ટેઇનમેન્‍ટ ઝોનમાં રાખવામાં આવ્‍યા

અમદાવાદ : દિવાળીના દિવસો ગયા અને જે દહેશત રાજ્યમાં ફરી વળતી દર્શાતી હતી.તે કદાચ ધીમે-ધીમે સામે આવી રહી છે. અમદાવાદ મહાનગર પાલિકાએ કદાચ આ જ દહેશતના પગલે વેક્સીનના બે ડોઝની કાર્યવાહીમાં કડકાઈ દાખવી છે.સ્થાનિક તબીબોએ પણ કહ્યું હતું કે, આગામી 10 દિવસ ભારે રહેશે. હવે, અમદાવાદના ઇસનપુર વિસ્તારના શહેરના ઇસનપુરના દેવ ફ્લેટને માઈક્રો કન્ટેઇન્ટમેન્ટ જાહેર કરાયો છે.ફ્લેટના 20 મકાનોના 85 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનમાં રોખવામા આવ્યાં છે. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રિનિંગ કરવામાં આવશે. શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટિંગ પણ કરાશે.

રાજ્યમાં સતત બીજા દિવસે રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાના 40 કેસ પોઝિટિવ નોંધાયા છે.અમદાવાદમાં સૌથી વધુ કહી શકાય તેવા 14 કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં કુલ 21 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.હાલ 234 કોરોના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે.

ગુજરાતના શહેર -જિલ્લાઓની વાત કરીએ તો સુરતમાં 7, વડોદરામાં 6 રાજકોટમાં 3, જૂનાગઢમાં 2 કેસ નોધાયા છે.તો વલસાડમાં 2, અમરેલીમાં 1 કેસ, સોમનાથમાં 1, ખેડામાં 1, મોરબીમાં 1 કેસ,નવસારીમાં 1, સુરેન્દ્રનગરમાં 1 કેસ સામે આવ્યા છે.

તહેવારો બાદ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ફરી વધ્યા છે. એક જ દિવસમાં કેસો વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ સક્રિય થયો છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીના બંને ડોઝ લેવા જરૂરી છે. પરંતુ AMCના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 9 લાખ લોકોને બીજો ડોઝ લેવાની સમય મર્યાદા થઈ ચૂકી છે. છતાં હજી બીજો ડોઝ લીધો નથી. 12 નવેમ્બરથી કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા રસી અંગે સર્ટિફિકેટ તપાસવામાં આવશે. AMC દ્વારા આ નિયમ એક મહિના પહેલા લેવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર આ નિયમ શરૂ કરવામાં આવ્યો છે.

18 વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધેલ હોય તેવા વ્યકિતઓને AMC દ્વારા કાર્યરત AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પુલ, AMC સ્પોર્ટ્સ કોમ્લેક્સ, સિટી સીવીક સેન્ટર અને કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા કોરોનાની રસી અંગેના સર્ટિફિકેટ તપાસવામાં આવશે. 

સરકારે તહેવારો માટે છૂટ શું આપી કે, લોકો તો એવું જ માની બેઠા છે કે, હવે કોરોના જતો રહ્યો છે. હવે કોરોનાનો ચેપ નહીં લાગે. અમે તો રસી લઈ લીધી છે અમને કોરોનાથી કોઈ ડર નથી. આવી ધારણાઓ હવે લોકોએ બાંધી લીધી છે. તેનું પરિણામ એ છે કે, દિવાળીની રજાઓ જેમ પતવા આવી છે તેમ કોરોનાના કેસોમાં પણ વધારો થવા લાગ્યો છે. જેને લઈને ડોક્ટરો પણ હવે ચિંતામાં મુકાયા છે.

ડૉ.રાકેશ જોષીએ કહ્યું કે, દિવાળીમાં થયેલી ભીડ કેસ વધારી શકે છે. કેસ વધશે તો પણ સારવાર માટે પુરતી તૈયારીઓ. હાલમાં સામાન્ય 2-4 કેસ આવી રહ્યાં છે. દિવાળી વેકેશનમાં લોકો ભાન ભૂલી ઉજવણી કરી રહ્યા છે. વેક્સિનેશન થયું છે પરંતુ સાવચેતી જરૂરી છે.

ગતવર્ષની સરખામણીએ આ વર્ષે દિવાળી પહેલા કોરોના કાબુમાં આવતા લોકોની દિવાળી સુધરી છે. છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વખતે લોકોએ દિવાળી ધામધૂમથી ઉજવી છે. જો કે દિવાળી બાદ કોરોનાને લઇ તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે. તબીબોએ આગામી 10 દિવસને તબીબોએ ગંભીર ગણાવ્યા છે. દિવાળીમાં લોકો ખરીદારી તેમજ પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં ભેગા થયા હોવાને કારણે ચિંતા વ્યક્ત કરી છે. કોરોના કેસો ફરી પાછા વધે તેના માટે તંત્ર દ્વારા તમામ તૈયારી રાખવામાં આવી છે. વેક્સિનેશન ભલે થયું હોય પરંતુ સાવચેતી જરૂરી હોવાનું પણ તબીબો કહી રહ્યા છે.

ડૉક્ટરોને કેમ ડર લાગી રહ્યો છે અને કેમ ડોક્ટરો આગામી 10 દિવસ સંભાળવા માટે કહી રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જ્યાં કીડીઓની માફક લોકો ઉમટી પડ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે, 4 દિવસમાં 2 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાત લીધી છે. હજુ પણ રોજ હજારોની સંખ્યામાં લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. આ માહોલને જોતા એટલું ચોક્કસથી કહી શકાય કે, આગામી થોડા દિવસોમાં આપણા માટે ભારે હોઈ શકે છે. ત્યારે જોવું રહ્યું કે, દિવાળીની આ રજાઓ લોકો માટે મજાની રહે છે કે, સજા બની જાય છે.

(11:57 pm IST)