Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વિજયનગર તાલુકાના જસવંતપુરામાં 60 વર્ષીય વૃદ્ધાની જમાઈએ હત્યા કરતા અરેરાટી મચી જવા પામી

વિજયનગર:તાલુકાના જસવંતપુરા ગામે ૬૦ વર્ષીય વિધવા વૃદ્ધાની તેણીના જ જમાઈ દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ઘટના આજે વિજયનગર પોલીસ મથકે નોંધાતા પોલીસે ઘટના સ્થળે જઈને બનાવની વધુ તપાસ હાથ ધરી છે. દિવાળી પછી ભાઇબીજના તહેવાર ઉપર માતાને મળવા પિયરમાં ગયેલી પત્નીીને તેડવા ગતરોજ સાસરીમાં  ગયેલા પતિએ  એકાએક ઉશ્કેરાઈ જઈને વિધવા સાસુના પેટમાં ચપ્પુના ઘા ઝીકી દઈ તેણીનું  ઢીમ ઢાળી દીધું હતું.

 તાલુકાના નાલશેરી ગામે સાસરી ધરાવતી મૃતક વિધવા વૃદ્ધાની દીકરી ઊમલાબેનએ નોંધાવેલ ફરિયાદ મુજબ પોતે પોતાનાં બે સંતાનો સાથે પોતાની માતાને મળવા ગઈ તા.૭.૧૧.૨૦૨૧ના રોજ  ભાઇબીજના દિવસે પિયરમાં જસવંતપુરા ગામે આવી હતી.દરમિયાન ત્રણ દિવસ પછી ઊમલાનો પતિ મુકેશભાઈ લક્ષ્મણભાઈ બારા તેણીને તેડવા સાસરી જસવંતપુરા ગામે તા.૧૦.૧૧.૨૦૨૧ના રોજ રાતનાં આઠેક વાગ્યાના સુમારે આવ્યો હતો. અને કહેવા લાગેલ કે કેમ ત્રણ દિવસથી તું  અહીં છે?તું ઘરે કેમ આવી નથી.તેમ કહેતા સાસુ શાંતાબેને જમાઈને કહ્યું કે મેં એને આ તહેવારને લઈ અહીં રોકી છે.તે સવારે આવી જશે આટલું કહેતા જમાઈ મુકેશ એકદમ ઉશ્કરાઇ ગયો હતો અને બીભત્સ ગાળો બોલતા સાસુએ આવી ગાળો ના બોલવા કહેતા જમાઈએ પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ઉપરાછાપરી ચપ્પુના ઘા  સાસુના પેટમાં ઝીંકી દેતા આ વૃદ્ધા તમમર ખાઈને લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડતાં આરોપી જમાઈ મુકેશ ત્યાંથી ચપ્પુ સાથે ભાગી છૂટયો હતો.

(4:26 pm IST)