Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

અમદાવાદમાં જોખમી શોર્ટકટની લ્‍યહામાં વાહનચાલકોના જીવ ન જાય તે માટે ઓવરબ્રિજના છેડે બેરિકેડ મુકાશેઃ રોડ સેફટી કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે

તંત્રએ ગંભીરતા સમજીને વ્‍યુહરચના ઘડવાની તૈયારી કરી

અમદાવાદઃ જોખમી શોર્ટકટ હંમેશાં ભયાનક અકસ્માત કે મોતને આમંત્રણ આપતો હોય છે, જેના હજારો કિસ્સા અલગ અલગ જગ્યા પર બન્યા છે. અમદાવાદમાં જોખમી શોર્ટકટ લેવાની લાહ્યમાં કોઇ વાહનચાલક મોતને ભેટે નહીં તે માટેનું પૂરતું ધ્યાન ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા રાખવામાં આવતું હોય છે જેના કારણે અવારનવાર ડ્રાઇવનું આયોજન પણ થાય છે. શોર્ટકટ માટે પકવાન ઓવરબ્રિજના છેડેથી રોંગ સાઇડમાં જતા વાહનચાલકો મોતને આમંત્રણ આપે છે. તેવો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો, જેની ગંભીરતા સમજીને તંત્રએ વ્યૂહરચના ઘડવાની તૈયારી કરી લીધી છે.

જોખમી શોર્ટકટઃ ઓવરબ્રિજના છેડેથી રોંગ સાઇડમાં ટર્ન, મોતને આમંત્રણ શીર્ષક સાથેનો અહેવાલ પ્રકાશિત થયો હતો, જેને લઇને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ અમદાવાદ આરટીઓને સૂચના આપી હતી કે આ પ્રશ્ન અમદાવાદનો સ્થાનિક છે, જેમાં નિયમો અને કાયદાની યોગ્ય અમલવારી થાય તે સુનિશ્ચિત કરવું. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીના આદેશ બાદ અમદાવાદ આરટીઓએ અમદાવાદ સિટી રોડ સેફ્ટી કમિટીના સભ્ય સચિવ અને આ કમિટીના અધ્યક્ષને એક પત્ર લખ્યો છે, જેમાં આ ગંભીર મુદ્દે પગલાં લેવા તથા સિટી રોડ સેફ્ટી કમિટીની આગામી બેઠકમાં આ મુદ્દાને આવરી લેવા માટેનું સૂચન પણ કરવામાં આવ્યું છે.

રોંગ સાઇડમાં જતા વાહનચાલકોને રોકવા માટેની વ્યૂહરચના ઘડાશે

આધારભૂત સૂત્રોનાં જણાવ્યા અનુસાર, સિટી રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતા છે, જે પૈકી જો કોઇ વાહનચાલક શોર્ટકટ લઇને રોંગ સાઇડમાં આવશે તો તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને તેનું વાહન પણ જપ્ત થઇ શકે છે. આ ઉપરાંત બ્રિજના છેડે બેરિકેડ પણ મૂકી દેવામાં આવશે, જેના કારણે વાહનચાલકો રોંગ સાઇડમાં જોખમી ટર્ન મારીને જઇ શકશે નહીં. પકવાન ઓવરબ્રિજ ઉપરાંત પણ અમદાવાદના ઘણા એવા ઓવરબ્રિજ છે, જ્યાં લોકો રોંગસાઇડમાં વાહન લઇને પસાર થઇ રહ્યા છે.

એસ.જી. હાઇવે પર રોંગ સાઇડમાં જતાં વાહનોને લઇ ભયંકર અકસ્માત સર્જાય તેવી ભી

ઉલ્લેખનીય છે કે સરખેજ સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના એસજી હાઈવેના ૧૪.૮ કિલોમીટરના ઓવરબ્રિજ અને અંડરબ્રિજના રસ્તાને વાહનચાલકો માટે શરૂ કરી દેવામાં આવ્યા છે. આ હાઈવે પર સૌથી વધુ અકસ્માત મકરબા, ઈસ્કોનબ્રિજ, થલતેજ અંડરપાસ, પકવાન અને ગોતા ઓવરબ્રિજ આસપાસ થાય છે ત્યારે પકવાન ઓવરબ્રિજ અને પકવાન અંડરબ્રિજ વચ્ચે જવાના રસ્તા તરફ જતા વાહનચાલકો માટે સર્વિસ રોડ પર જવાની વ્યવસ્થા કરવામાં આવેલી નથી, જેથી સર્વિસ રોડ તેમજ અંડરબ્રિજ અને ઓવરબ્રિજ તરફ જવા માટે વાહનચાલકો જોખમી રીતે રોંગ સાઇડમાં પસાર થઇ રહ્યા છે, જેથી સામેથી પણ પુરપાટ વાહનો પસાર થતાં હોય છે, જેને લઇ એસ.જી. હાઇવે પર રોંગ સાઇડમાં જતાં વાહનોને લઇ ભયંકર અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

ઇસ્કોનથી પસાર થતા પકવાન ચાર રસ્તા પાસે નવા બ્રિજનું જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે સિંધુ ભવન તરફથી આવતાં વાહનોને સર્વિસ રોડ તરફ જવા માટે રસ્તા વચ્ચે ડિવાઈડર બેસાડીને કામચલાઉ રસ્તો આપવામાં આવ્યો હતો, જેના પર થઇને મોટાં વાહન, એસટી બસ, રિક્ષા સહિતનાં ખાનગી વાહનો પસાર થતાં હતાં, પરંતુ હાઇવેનું અહીં કામકાજ પૂર્ણ થતાં પકવાન પાસેનો બ્રિજ શરૂ કરી દેવાયો છે.

હાલમાં સરખેજથી સીધા વૈષ્ણોદેવી જવા માટે મોટા ભાગના ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. વાહનચાલકો મોટી સંખ્યામાં આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. વાહનચાલકો કર્ણાવતી ક્લબથી ઇસ્કોનબ્રિજ અને ઇસ્કોનબ્રિજથી પકવાન ઓવરબ્રિજ જવા માટે નીચે ઊતરે તો તેમણે સીધા અંડરબ્રિજ ઝાયડસ પાસે નીકળવું પડે છે. જેથી વાહનચાલકો સિંધુ ભવન અને ગુરુદ્વારા તેમજ થલતેજ જવા માટે પકવાન ઓવરબ્રિજ અને અંડરબ્રિજના છેડા વચ્ચે યુ-ટર્ન મારીને રોંગ સાઈડમાં જવા માટે શોર્ટકટનો ઉપયોગ કરીને રોંગ સાઈડમાં વાહન લઈને પસાર થતા હોય છે.

વાહનચાલકોને લાંબો ફેરો મારવો પડતો હોવાથી તેઓ રોંગ સાઇડે જ પસાર થઇ રહ્યા છે, પરંતુ હાઇવે હોવાથી દિવસ તથા રાતના સમયે ફૂલ સ્પીડમાં બાઈકર્સ તેમજ કારચાલકો નીકળે છે વાહનચાલકોની બેદરકારીના કારણે જીવલેણ અકસ્માત થવાની સંભાવના વરતાઈ રહી છે. એસજી હાઇવે પર દિવસ અને રાતના સમયે નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ તેમજ બિઝનેસમેન પોતપોતાનાં વાહન લઈને ઉતાવળે નીકળતા હોય છે તેમજ પકવાનથી સિંધુ ભવન અને ટીજીબી હોટલથી પકવાન સુધી સવારે અને સાંજે ખૂબ ટ્રાફિક હોય છે.

(5:14 pm IST)