Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને પણ અધિકાર નથી

રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટુ નિવેદન : ફૂટપાથ રાહદારીઓના ચાલવા માટે છે, તેના પર કોઇ પણ વ્યક્તિએ હક્ક જમાવવો ન જોઇએ : રાજેન્દ્ર ત્રિવેદી

રાજકોટ, તા.૧૨ : શહેરમાં ઇંડા અને નોનવેજની લારીઓના જાહેરમાં ઉભા રહેવા પર પ્રતિબંધ લાગ્યા બાદ હવે ગુજરાતના કોર્પોરેશનમાં જાણે ફેશન ચાલી રહી હોય તેમ એક પછી એક પાલિકાઓ અને કોર્પોરેશન દ્વારા પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષની સુચના બાદ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટુ નિવેદન સામે આવ્યું છે. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી. ફૂટપાથ રાહદારીઓના ચાલવા માટે છે. તેના પર કોઇ પણ વ્યક્તિએ હક્ક જમાવવો ન જોઇએ. આ એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ જ છે. જે જગ્યા પર વેજ કે નોનવેજ લારીઓ ઉભી રહે છે તે સરકાર કે સ્થાનિક તંત્ર ઇચ્છે તો હટાવી પણ શકે છે.

આ અગાઉ કચ્છના એક કાર્યક્રમ દરમિયાન મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, રાજ્યમાં રસ્તા પર ઇંડા અને નોનવેજની લારીઓ લેન્ડગ્રેબિંગ સમાન જ છે.

વડોદરા અને રાજકોટ પાલિકાઓ દ્વારા જે પગલા લેવામાં આવ્યા તે તેની પ્રશંસા પણ કરી હતી. રાજેન્દ્ર ત્રિવેદીને આ અંગે પુછાતા તેમણે કહ્યું કે, હું મારા મંતવ્ય પર અડગ છું. આ પ્રકારનાં દબાણ હટાવવા જ જોઇએ. નોનવેજ અને વેજની લારીથી થતા ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. તેને હટાવવી જ જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ કોર્પોરેશનના નિર્ણય બાદ તબક્કાવાર રીતે અલગ અલગ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની કાર્યવાહી ચલાવાઇ રહી છે. રાજકોટ બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા પણ આ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે. હાલ તો આ નિર્ણય અંગે કેટલાક વિવાદો પણ થઇ રહ્યા છે. જો કે હાલ તો સમગ્ર મુદ્દે સરકાર મક્કમ હોય તેવું લાગી રહ્યું છે. હવે જોવું રહ્યું કે આ નિર્ણય જંગલની આગની જેમ  એક પછી એક પાલિકાઓમાં ફેલાઇ રહી છે. મંત્રીઓ સહિત સમગ્ર સરકાર પણ આ નિર્ણયનું સમર્થન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

(8:52 pm IST)