Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ગુજરાતના વકીલોના વેલફેર માટે ગુજરાત સરકાર દ્વારા પાંચ કરોડની ફાળવણી

રાજકોટ તા. ૧૩ : ગુજરાત રાજયમાં વર્તમાન સમયમાં આશરે ૯૦.૦૦૦ જેટલા ધારાશાસ્ત્રીઓ તાલુકા અને જિલ્લા અદાલતીથી માંડીને હાઇકોર્ટ સુધી તેમજ ડી.આર.ટી. અને કેટ જેવી ટ્રીબ્યુનલીમાં વકીલાતના વ્યવસાયમાં જોડાયેલા છે અને આ ધારાશાસ્ત્રીઓ સ્વતંત્ર ન્યાય પ્રણાલિમાં લોકશાહી અંગેના કાર્યક્ષેત્રના આધારસ્તંભ છે. વર્તમાન સમયમાં તાલુકા-જિલ્લામાં અદાલતોથી માંડીને હાઇકોર્ટ સુધી યોજાતી લોકઅદાલતોમાં મીડીએશન સેન્ટર પ્રિ-બારગેનીંગ વિગેરે ન્યાયતંત્રમાં પડેલા પેન્ડિંગ કેસોના ઝડપી નિરાકરણ માટે તેમજ પક્ષકારોને ઝડપી અને સસ્તો ન્યાય અપાવવા માટે ગુજરાતના ધારાશાસ્ત્રીઓ પોતાની આવકને ત્યાગીને પોતાની આગવી વ્યવસાયીક સેવા આપી રહ્યા છે.

ગુજરાતના આવા તમામ ધારાશાસ્ત્રીઓની તેમજ તેમના ભાવિ કુટુંબીજનોને આર્થિક સુરક્ષા પુરો પાડવા માટે પુરતી જોગવાઇઓ ન હોઇ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત રાજય સરકાર તરફથી ધારાશાસ્ત્રીઓ માટે મૃત્યુસહાય અને માંદગીસહાય માટે નિશ્ચિત રકમ આપવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પૂર્વ-ચેરમેન અને હાલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી તથા પૂર્વ-ચેરમેન જે.જે.પટેલની અધ્યક્ષતામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન સાથે પ્રતિનિધિમંડળની વારંવાર રજુઆત કરવામાં આવેલ. જેમાં ગુજરાત રાજયના ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે સને ર૦ર૦-ર૦ર૧ ના બજેમાં રૂપિયા પાંચ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ. જેમાં આજરોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય કક્ષાના કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજય કક્ષાના કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાનાઓની ઉપસ્થિતીમાં રાજય સરકાર તરફથી રૂપિયા પાંચ કરોડ જેટલી માતબર રકમની ચેક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અર્પણ કરેલ છે.

આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન કિરીટ એ. બારોટ, વાઇસ-ચેરમને શંકરસિંહ એસ.ગોહિલ, એકઝીકયુટીવ કમીટીના ચેરમેન ભરત વી.ભગત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપ કે. પટેલ એનરોલમેન્ટ કમીટીના ચેરમેન હિરાભાઇ એસ.પટેલ તથા સભ્યો અનિલ સી.કેલ્લા, સી.કે. પટેલ, દિપેન કે.દવે, કરણસિંહ બી.વાઘેલાનાઓ ઉપસ્થિત રહેલ.

(3:46 pm IST)