Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

રાજ્ય સરકારની ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓ ફરી શરૂ કરી દેવાઈ

આઇટીઆઇમાં પ્રવેશતા પહેલા ફરજિયાત સ્ક્રિનિંગ અને સેનિટાઇઝિંગ કરવાનું રહશે- વિપુલ મિત્રા

ગાંધીનગર:  કોવિડ-19 મહામારીને કારણે લદાયેલા લોકડાઉનને પરિણામે રાજ્યમાં માર્ચ મહિનાથી બંધ રહેલી ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓ (ITIs) તારીખ  ૧૨ જાન્યુઆરી, ૨૦૨૧થી શરૂ થઈ ગઈ છે અને તાલિમ કામગીરી પણ પુનઃ શરુ કરી દેવાઈ છે. ITIs ને ફરી શરૂ કરવાનો આ નિર્ણય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિક મંત્રાલયની સલાહને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. 

  રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ આ સંદર્ભમા જણાવ્યું કે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે ક્ષમતા અને જગ્યાની ઉપલબ્ધીના અવરોધોને ધ્યાને રાખીને બેચના વર્ગો અલગ અલગ સમય દરમિયાન લેવામાં આવશે. ઓનલાઇન વર્ગો શેડ્યૂલ મુજબ રહશે અને વિદ્યાર્થીઓને અગાઉના બેચની પરીક્ષાઓ પૂર્ણ થાય ત્યાં સુધી થિયરીના વિષયો ઓનલાઇન ભરવાની મંજૂરી આપવામાં આવશે, જયારે પ્રેક્ટીકલ તાલીમ અભ્યાસક્રમ મુજબ પૂર્ણ કરવામાં આવશે.

 ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ જાહેર  કરી દેવાઈ છે. દરેક આઈટીઆઈએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી કોવિડ માર્ગદર્શિકાઓની દેખરેખ રાખવા અને તેનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે.

શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ITIના વર્ગો શિફ્ટ વાઈઝ અથવા વૈકલ્પિક ,દિવસમાં ચાર કલાક અથવા ત્રણ દિવસે રહશે, જે હાલની પરીસ્થીતીએ આઇટીઆઇ દ્વારા નક્કી કરી શકશે. આઇટીઆઇમાં પ્રવેશતા પહેલા ફરજિયાત સ્ક્રિનિંગ અને સેનિટાઇઝિંગ કરવાનું રેહશે. કોઈ પણ પ્રકારના મેળાવડાની મંજૂરી આપવામાં આવશે નહિ. સામાજિક અંતર પણ સુનિશ્ચિત કરવું ફરજીયાત રહશે.

   અભ્યાસક્રમ પૂર્ણ કરવા આશરે ૨૦૦ થી ૨૫૦ કલાકની તાલિમની જરૂર પડશે એની ખાત્રી પણ કરશે કે તાલીમ સમયસર પૂર્ણ થાય. જરૂર જણાય તો બીજા, ચોથા શનિવાર અને રજાના દિવસે પણ વર્ગો લેવાશે.

(5:52 pm IST)