Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સુરતમાં પ્લેગ મહામારી વખતે અમે દવાઓ આપી હતી ત્યારે કોંગ્રેસ ક્યા હતા ? કોંગ્રેસની ધમકીઓથી અમે ડરીશુ નહીં : સુરતમાં સી.આર. પાટીલના હસ્તે ‘નમો કોવિડ આઇસોલેશન સેન્ટર’નું ઉદ્ઘાટન

ગાંધીનગર: સુરતમાં 5,000 રેમડેસીવીર ઇજેક્શનનો જથ્થો ભાજપ દ્વારા વિતરણ કરવાનો મામલો ગરમાયો હતો. કોંગ્રેસ અને ભાજપે સામસામે આક્ષેપ કરીને રાજકીય ગરમાવો લાવી દીધો હતો. આજે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આ મામલે કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં સુરતમાં જ્યારે પ્લેગ ફેલાયો ત્યારે પણ ભાજપે દવા આપી હતી તે સમયે કોંગ્રેસ ક્યાં હતી ?

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે સવારે 11:00 કલાકે ગૌ પુત્ર મિત્ર મંડળ દ્વારા પરબત કોમ્યુનિટી હૉલ, પરબત ગામ, સુરત ખાતે ઉભા કરાયેલા નમો કોવિડ આઇસોલેશન સેન્ટર નું ઉદ્ઘાટન કરીને શરૂ કરાવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના આરોપોને પાયાવિહોણા ગણાવતા સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ધમકીઓ આપવાની બંધ કરે, કોંગ્રેસની ધમકીઓથી અમે ડરીશું નહી, 1992માં જ્યારે કોંગ્રેસના શાસનમાં સુરતમાં જ્યારે પ્લેગ ફેલાયો હતો ત્યારે પણ અમે દવા આપી હતી ત્યારે કોંગ્રેસ ક્યાં હતી ? ત્યારે કોંગ્રેસે સવાલો કેમ ના ઉઠાવ્યાં? ભાજપના કાર્યકર્તાઓ મહામારીમાં પણ મોતથી ડર્યા વગર લોકોની સાથે ઉભાં છે, સેવા કરે છે, કોરોના દર્દીઓના સગાં-વ્હાલાને જમવાની વ્યવસ્થા કરી આપે છે, સ્મશાનમાં લાકડાં અને હોસ્પિટલમાં ઓક્સીજનની અછત પૂરી કરી આપે છે. આવા કાર્યોને સરાહનીય કાર્ય તરીકે વર્ણવાં જોઈએ ત્યારે કોંગ્રેસનું આ પ્રકારનું વલણ તેમની માનસીકતા છતી કરે છે.

કોરોના મહામારીથી સમગ્ર વિશ્વ , દેશ અને ગુજરાતની પરિસ્થિતિ બેકાબુ બની રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલનું માર્ગદર્શન લઈને ગૌ પુત્ર મિત્ર મંડળ દ્વારા આ સેવાકીય કાર્ય ને સ્થાનિક નાગરિકો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે હેમાલીબેન બોઘાવાલા (મેયર, સુરત) , સંગીતાબેન પાટીલ (ધારાસભ્ય , લીંબાયત) , નિરંજનભાઈ જાંજમેરા (પ્રમુખ , સુરત) , જીલ્લા હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

(5:25 pm IST)