Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

કોર્પોરેશન દ્વારા પાંચ નવા બ્રિજનાં નામાકરણ કરાયા

ઇન્કમટેક્સ બ્રિજનું નામ સ્વ. અરુણ જેટલી અપાયું : મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટિમાં શહેરના પાંચ બ્રિજના નામકરણની દરખાસ્ત મંજૂર કરવામાં આવી

અમદાવાદ, તા. ૧૩ : અમદાવાદ શહેરનો વિકાસ આજે ચારેબાજુ થઇ રહ્યો છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ચાર રસ્તાઓ પર અંડરપાસ, ઓવર બ્રિજ, ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા એક વર્ષમાં પાંચ નવા બ્રિજ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી બ્રિજનું નામકરણ અદ્ધરતાલ થઇ ગયું હતુ. આજે મળેલી એએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના પાંચ બ્રિજના નામકરણની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટે માહિતી આપતા કહ્યું હતુ કે શહેરના અનેક વિકાસલક્ષી પ્રોજેકટ ચાલી રહ્યા છે તો કેટલાક પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. શહેરમાં લૉકડાઉન અને તે પૂર્વે શહેરના પાંચ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લા મુકવામા આવ્યા હતા પરંતુ આ બ્રિજના નામ જાહેર કરવાના બાકી હતા. આજે મળેલી કમિટીમાં બ્રિજના નામ પર ફાઇનલ મહોર મારવામા આવી હતી. બ્રિજના નામકરણને લઇ પહેલાથી જ વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે એક વિવાદ ચાલી રહ્યો હતો પરંતુ આજે ઇક્નમટૅક્સ બ્રિજ અને અંજલિ બ્રિજના નામકરણને લઇ સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા.

            કારણ કે આ બન્ને નામ ભાજપના પૂર્વ સ્વર્ગવાસ દિગ્ગજ નેતાઓના નામ પરથી રાખવામા આવ્યા છે.એએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું બુકિંગ કેન્સલ કરનારની ૧૦૦ ટકા રિફંડની જોગવાઇ કરાઇ છે. કારણ કે લૉકડાઉનના અને કોરોના મહામારીના પગલે અનેક કાર્યક્રમ અને લગ્ન પ્રસંગ કેન્સલ થયા છે. ત્યારે એએમસીની માલિકીના બુક કરાયેલા પાર્ટી પ્લોટ અને હોલનો ચાર્જ ૧૦૦ ટકા પરત કરવા મંજૂરી આપી છે.

કયા બ્રિજને કયું નામ...

*   ઇન્કમટેક્સ ચાર રસ્તા પર બનેલ બ્રિજનું નામ સ્વ અરુણ જેટલી ફ્લાયઓવર બ્રિજ

*   વાસણા ખાતે અંજલિ ચાર રસ્તા પર બનેલ બ્રિજનું નામ સ્વ. સુષ્મા સ્વરાજ ફ્લાયઓવર બ્રિજ

*   હાટકેશ્વરમાં બનેલા બ્રિજનું નામ છત્રપતિ શિવાજી બ્રિજ

*   બાપુનગર ચાર રસ્તા પર બનેલ બ્રિજનું નામ મહારાણા પ્રતાપ બ્રિજ

*   રાણીપ રેલવે ક્રોસ પર બનેલા બ્રિજનું નામ આત્મનિર્ભર ગુજરાત રેલવે બ્રિજ

(9:39 pm IST)