Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

વિશ્‍વ સિંહ દિનની ઉજવણીના ભાગરૂપે સેન્‍ટ્રલ ઝૂ ઓથોરીટી દ્વારા વેબીનાર યોજાયો : કેટલાક વાંધાજનક મંતવ્યો માટે રાજ્ય સરકારે ખુલાસો માંગ્યો

એશિયાઇ સિંહ ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવ સમાન: ગુજરાત સરકાર સિંહ સંરક્ષણ માટે સંપૂર્ણ કટિબધ્‍ધ

વિશ્‍વ સિંહ દિનની ઉજવણીના ભાગરૂપે, સેન્‍ટ્રલ ઝૂ ઓથોરીટી દ્વારા એક વેબીનાર  યોજવામાં આવ્‍યો હતો. આ વેબીનારમાં અગ્ર મુખ્‍ય વન સંરક્ષક (વન્‍યજીવ) અને ચીફ વાઈલ્‍ડ લાઇફ વોર્ડનએ ભાગ લીધેલ અને એશિયાઇ સિંહ સંરક્ષણ બાબતે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેઓએ કેટલાક વાંધાજનક  અને અનિચ્‍છનીય મંતવ્‍યો રજૂ કરેલ.  ગુજરાત સરકાર આ મંતવ્‍યો કે જે સત્‍યથી વેગળા છે, તેની સાથે સહમત નથી. તેઓના બિનજવાબદાર મંતવ્‍યો માટે સરકારએ અખિલ ભારતીય સેવા (વર્તણૂક) નિયમો અનુસાર તેઓનો ખુલાસો માંગતી નોટિસ આપવાનો નિર્ણય કરેલ છે.

એશિયાઇ સિંહ ગુજરાત રાજય અને સમગ્ર દેશ માટે ગૌરવ સમાન છે.  ગુજરાત સરકાર સિંહ સંરક્ષણ માટે સંપૂર્ણ કટિબધ્‍ધ છે. એશિયાઇ સિંહના એકમાત્ર નિવાસસ્‍થાન સમાન ગુજરાત રાજયના ગીરના જંગલ અને બૃહદ ગીર વિસ્‍તારમાં સિંહ સંરક્ષણને  ઝળહળતી સફળતા પ્રાપ્‍ત થયેલ છે. લોકોના સહયોગ  અને સઘન સંરક્ષણ કામગીરીના કારણે પાછલા વર્ષોમાં સિંહોની સંખ્‍યામાં સતત વધારો નોંધાયેલ

 સરકાર દ્વારા સિંહ સંરક્ષણ માટે નીચે દર્શાવેલ મહત્‍વના પગલાં ભરવામાં આવ્‍યા છે.

• ૧૯૬૦ માં ગુજરાત રાજયની સ્‍થાપના બાદ અને વન્‍યપ્રાણી (સંરક્ષણ) ધારા, ૧૯૭ર પહેલા, ગુજરાત વન્‍યપ્રાણી અને પક્ષી સંરક્ષણ ધારા, ૧૯૬૩ અનવ્‍યે ગીર અભ્‍યારણ્‍યની સ્‍થાપના કરવામાં આવી હતી.
• ગીર અભ્‍યારણ્‍યની સ્‍થાપના બાદ વર્ષ ૧૯૬૮ માં થયેલ સિંહ ગણતરીમાં ૧૭૭ અને વર્ષ ર૦૧પ માં પર૩ સિંહ નોંધાયા હતા. વર્ષ ૨૦૨૦ માં થયેલ પૂનમ અવલોકનમાં ૬૭૪ સિંહ નોંધાયા હતા. વર્ષ ર૦૧પ ની સરખામણીએ  સિંહની સંખ્‍યામાં ર૯ % વધારો નોંધાયો છે. છેલ્‍લા પાંચ વર્ષમાં સિંહના વસવાટ/ અવરજવર વાળા વિસ્‍તારમાં ૩૬ % નો વધારો નોંધાયો છે. સમગ્ર વિશ્‍વની મોટા બિલાડી કૂળના વન્‍યપ્રાણીઓના સંરક્ષણની સફળ ગાથાઓમાં સિંહ સંરક્ષણનો સમાવેશ થાય છે. આઇ.યુ.સી.એન., દ્વારા એશિયાઇ સિંહના સફળ સંરક્ષણની નોંધ લઇ તેના સ્‍ટેટસમાં સુધારો અને ફેરફાર કરી તેને ક્રિટીકલી એન્‍ડેન્‍જર્ડ કેટેગરીમાંથી એન્‍ડેન્‍જર્ડ કેટેગરીમાં મૂકવામાં આવ્‍યો છે.
• ગુજરાત સરકાર દ્વારા સિંહોના કુદરતી નિવાસસ્‍થાનમાં વધારો કરી વર્ષ - ૨૦૦૪માં  પાણીયા અભ્‍યારણ્‍ય ( ૩૯.૬૪ ચો.કી.મી.) અને  મિતીયાલા અભ્‍યારણ્‍ય (૧૮.રર ચો.કી.મી.), વર્ષ - ૨૦૦૮માં ગીરનાર અભયારણ્ય (૧૭૮.૮૭ ચો.કિ.મી.) જાહેર કરવામાં આવ્યા હતા. સરકારશ્રી દ્વારા પોરબંદર/દેવભુમિ દ્વારકા જીલ્લામાં આવેલ બરડા વન્યપ્રાણી અભયારણ્યને સિંહોના વધારાના કુદરતી નિવાસસ્થાન તરીકે વિકસાવવાનો નિર્ણય કરેલ છે.
• સિંહોની સંખ્યા વધતા, કોરિડોર મારફતે તેઓ ગીર જંગલની બહાર વસવાટ કરતા થયા છે. સિંહ વસવાટના વિસ્તારમાં ફેલાવો થતાં, સરકારશ્રીએ બૃહદગીર વિસ્તારમાં સિંહ સંરક્ષણ ઉપર ભાર મુકેલ છે.
• અન્ય જીલ્લાઓમાં સિંહોની સંખ્યા વધતાં શેત્રુંજી વન્યજીવ વિભાગની સ્થાપના કરવામાં આવી છે.
• સિંહોની સઘન સારવાર અને સ્વાસ્થ્ય જાળવણી માટે જરૂરી પગલાં ભરવામાં આવ્યા છે. સિંહોના સમયસર રેસ્ક્યુ માટે ખાસ ટુકડીઓ તેમજ ૯ જીલ્લાઓમાં દિવસ રાત સતત નિગરાની માટે ૧૬૦ ટ્રેકર્સની નિમણુંક કરવામાં આવી છે.
• સિંહ સંરક્ષણમાં સ્થાનિક લોકોના સહયોગને પ્રોત્સાહન આપવા ઇકો ડેવલપમેન્ટ કમિટીને સુદ્રઢ બનાવવામાં આવી છે.
• બૃહદગીરમાં સિંહોના સઘન વ્યવસ્થાપન માટે "પ્રોજેક્ટ લાયન" મંજુર કરવામાં આવેલ છે.
• ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ, રેડિયો કોલરીંગ, વાયરલેસ નેટવર્ક, નાઇટ વિઝન ઇક્વીપમેન્ટ, સીસીટીવી કેમેરા, ઇલેક્ટ્રોનિક સંસાધનો જેવી આધુનિક ટેક્નોલોજીનો સિંહ સંરક્ષણ માટે ઉપયોગ કરવામાં આવેલ છે.
• ઝડપી સારવાર માટે ૪ સિંહ એમ્બ્યુલન્સ વસાવવામાં આવી છે.
• સિંહ સંરક્ષણ બાબતે લોકોને પ્રશિક્ષિત કરવા માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. ગત વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં ૧૧ લાખથી વધુ લોકો સહભાગી થયા હતા.
• સિંહ સંરક્ષણ અને વ્યવસ્થાપનનું સર્વોચ્ચ કક્ષાએ સતત સમિક્ષા અને મોનીટરીંગ કરવામાં આવે છે.
• ગીર અભયારણ્યની આસપાસ, અત્યાર સુધીમાં ૪૨ હજારથી વધુ ખુલ્લા કુવાઓને પેરાપીટ વોલથી સંરક્ષિત કરવામાં આવ્યા છે.
• સિંહ વસવાટના સમગ્ર વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા પોલીસ મહાનિરિક્ષકશ્રી, જુનાગઢ રેંજના અધ્યક્ષપણા હેઠળ સંબંધિત ખાતાઓના અધિકારીઓને સભ્ય તરીકે રાખી મોનીટરીંગ કમિટીની રચના કરવામાં આવી છે.
• વન્યજીવ અપરાધના નિયંત્રણ માટે ભારત સરકારની એજન્સીઓ, વન્યજીવ નિષ્ણાંત અને અન્ય રાજ્ય સરકારો સાથે સંકલનના હેતુસર વન વિભાગમાં વાઇલ્ડલાઇફ ક્રાઇમ સેલની રચના કરવામાં આવી છે.
• જરૂરિયાતના સમયે ઝડપી કાર્યવાહી માટે રેપિડ એક્શન ફોર્સની રચના કરવામાં આવી છે.
• વર્ષ ૨૦૦૭માં સિંહ સંરક્ષણની કામગીરીમાં મદદરૂપ થવા વન્યપ્રાણી મિત્ર યોજના શરૂ કરવામાં આવી છે.
રાજ્ય સરકારશ્રી દ્વારા સિંહ સંરક્ષણ અને વ્યવસ્થાપનની અગત્યની કામગીરી હાથ ધરવાના કારણે સિંહોની સંખ્યા અને વિસ્તારમાં સતત નોંધપાત્ર વધારો નોંધાયો છે. સ્થાનિક લોકો, સમુદાયો, બિનસરકારી સંસ્થાઓ, વન્યજીવ અને પ્રકૃતિ પ્રેમીઓના સતત સહયોગના કારણે રાજ્યમાં સિંહ સંરક્ષણની કામગીરીને સુદ્રઢ બનાવવામાં સફળતા મળેલ છે. સિંહોની દેખરેખ અને સુચારૂ વ્યવસ્થાપન માટે માઇક્રોચીપ લગાવવામાં આવે છે. જેને કારણે સિંહોની કુદરતી લાક્ષણિક વર્તણુંકમાં કોઇ ફેરફાર થયેલ નથી. એશિયાઇ સિંહ ફક્ત ગુજરાતના જ નહી પરંતુ સમગ્ર દેશના લોકો માટે ગૌરવ સમાન છે. સિંહ સંરક્ષણ માટે લેવાયેલ પગલાંઓને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસંશા મળેલ છે. ગુજરાતની આમ જનતા સિંહોના સંરક્ષણ માટે સંપૂર્ણ કટિબધ્ધ છે અને સિંહો જોવાને "સિંહ દર્શન" ગણાય છે. એશિયાઇ સિંહને એક ભવ્ય પ્રજાતિ ગણી તેના સંરક્ષણ અને જાળવણીની કામગીરીને ગુજરાત સરકાર અને ગુજરાતની જનતા પોતાનું ગૌરવ સમજે છે. વન્યજીવો પ્રત્યેના આદર અને ઉત્કટ પ્રેમના કારણે સિંહોની સંખ્યામાં વધારો થયેલ હોવા છતાં, સિંહો અને માનવોનું શાંતિમય સહઅસ્તિત્વ વર્ષોથી પ્રસ્થાપિત છે.

(7:57 pm IST)