Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

૧૬ વર્ષ અગાઉ ૪ હત્યા અને લૂંટ કરનાર આરોપી ઝડપાયો

૨૦૦૪માં મંદિરથી લાખોની લૂંટ-હત્યા કરી હતી : ગુજરાત એટીએસે ૧૬ વર્ષ અગાઉ કડીના મંદિરમાં થયેલ લૂંટ વિથ મર્ડરના આરોપીની ધરપકડ કરી : વધુ તપાસ

અમદાવાદ, તા. ૧૩ : વર્ષ ૨૦૦૪માં કડી પોલીસ સ્ટેશન ખાતે સુધાબહેન નામના ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના સસરા ચીમનભાઈ ચોમાસા અગાઉ અમેરિકાથી કડી આવ્યાં હતાં. તેઓ મંદિરમાં પૂજા કરતાં હતાં. ઉપરાંત મંદિરમાં એક માતાજી પણ પૂજા પાઠ કરવા રહેતાં હતાં અને અન્ય ૨ માણસો કરમણ પટેલ અને મોહનભાઇ લુહાર રહેતાં હતાં જેઓ છૂટક કામ કરતાં હતાં.એક દિવસ સુધાબહેન મંદિરમાં આવ્યાં ત્યારે તેમણે જોયું કે તેમના સસરા ચીમનભાઈ પટેલની કપાયેલી હાલતમાં મહાકાળી મંદિરની ઓફિસમાં લાશ પડી હતી તથા તપાસ કરતાં મંદિરમાં પૂજાપાઠ કરતા સાધ્વી માતાજીની લાશ મળી હતી અને મોતીબા આશ્રમના બાથરૂમમાંથી મોહનભાઈ લુહાર અને કરમણભાઈની પણ લાશ મળી આવી હતી. મંદિરના ટ્રસ્ટી ચીમનભાઈ એનઆરઆઈ હતા જેથી તેમની પાસે ૧૫ લાખ રોકડા આશ્રમમાં જ હતાં તે પણ ગાયબ હતા.કાયદાના લાંબા હાથઃ ૧૬ વર્ષ અગાઉ ૪ હત્યા અને લૂંટ કરનાર આરોપી ઝડપાયાંમંદિરમાં આશ્રમમાં મહેન્દ્રસિંહ અને તેમની પત્ની રાજકુમારી રહેતાં હતાં તે ગાયબ હતાં.

અને હત્યામાં વપરાયેલ ધારીયું તેમના રૂમમાંથી મળી આવ્યું હતું. જેથી પોલીસે દંપતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે મહેન્દ્રસિંહનું સાચું નામ ગોવિંદસિંહ છે. બંને ફરાર થઈ ગયાં હતાં જેથી બન્નેની માહિતી આપનારને ૫૧,૦૦૦ ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી..૧૬ વર્ષથી વોન્ટેડ આરોપી અંગે એટીએસ દ્વારા પણ તપાસ ચાલી રહી હતી ત્યારે એટીએસને બાતમી મળી હતી કે આરોપી દિલ્હીમાં નામ અને વેશ બદલીને રહેણાંક પણ બદલીને છુપાઈને રહે છે. જેના આધારે એટીએસએ દિલ્હી ખાતેથી ગોવિંદસિંહ નંદરામ યાદવની ધરપકડ કરી હતી.આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે મૂળ મધ્યપ્રદેશનો છે અને પડોશમાં રહેતી રાજકુમારીને ભગાડી ગુજરાત લાવ્યો હતો અને ગુજરાતમાં ખોટા નામ આપી ચોકીદારની નોકરી કરતો હતો. પહેલાં તે વડોદરામાં સિક્યુરિટીમાં નોકરી કરતો હતો તે બાદ કડી ખાતે સિકયૂરિટી ગાર્ડ તરીકે ૫-૬ મહિના કામ કરીને મોતીબા આશ્રમમાં હત્યાના ૨૦ દિવસ અગાઉ પોતાની પત્ની સાથે રહેવા આવ્યો હતો. મોકો મળતાં એક રાતે આશ્રમમાં રહેતાં તમામ ૪ લોકોની હત્યા કરીને લાખો રૂપિયા લઈને પત્ની સાથે ફરાર થઈ ગયો હતો.હત્યા કર્યા બાદ જયપુર, ઝાંસી,ઓરાઈ,સકવાવન છૂટક મજૂરી કરીને અંતે દિલ્હી જતો રહ્યો હતો. દિલ્હીમાં પોતે કોન્ટ્રાકટરનું કામ કરતો હતો અને રાજકુમારી ચાની દુકાન ચલાવતી હતી. ગોવિંદસિંહના આ ત્રીજા લગ્ન હતાં, બીજા લગ્નથી થયેલ પુત્ર તેની સાથે રહેતો હતો જેને બોલેરો ગાડી પણ લઈ આપી હતી. આરોપી પર તેના વતનમાં પણ મારામારીના ૨ ગુના નોંધાયેલાં છે.આરોપીની દિલ્હીથી ધરપકડ કર્યા બાદ અમદાવાદ એટીએસ ખાતે લાવવામાં આવ્યો છે અને હવે તેને મહેસાણા પોલીસને સોંપવામાં આવશે.

 

(9:45 pm IST)