Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

દિવાળી પર્વમાં પોતાના વતન જવા માટે શ્રમિકોને ગોધરા એસટી તંત્ર દ્વારા ખાસ સુવિધાઃ વધારાના રૂટ શરૂ કરાયા

ગોધરા: દિવાળી ટાણે માદરે વતન ફરતાં પંચમહાલ દાહોદ અને મહીસાગર જીલ્લાના શ્રમિક પરિવારો અને અન્ય મુસાફરો માટે ગોધરા એસટી ડીવીઝન દ્વારા ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.ત્રણ જિલ્લાના સાત બસ ડેપો ખાતે સીત્તેર એસટી બસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.જેના મારફતે દિવસ કે રાત્રિ દરમિયાન બહારગામથી આવતાં મુસાફરોને પોતાના વતનના નજીકના બસ સ્ટેન્ડ સુધી પહોંચાડવાનું  આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત દિવાળી પર્વ પૂર્ણ થયા બાદ પણ શ્રમિકો અને અન્ય મુસાફરો માટે પરત જવા માટે પણ એક્સ્ટ્રા એસટી બસ દોડાવવાનું આગોતરુ આયોજન કરાયું છે.આ ઉપરાંત કોરોનાની ગાઈડ લાઇનને ધ્યાને લઈ સ્કેનિંગ, સોશ્યલ ડિસ્ટનસ જેવી બાબતોની કાળજી રાખવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું સંલગ્ન અધિકારી જણાવી રહ્યા છે પરંતુ મુસાફરો આ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માંગ કરી રહ્યા છે.

કોરોના મહામારીને લઈ કરાયેલા લોકડાઉન બાદ અનલોક થતાં જ રોજગાર વિહોણા બનેલા શ્રમિકો માંડ માંડ પોતાના પરિવારના ભરણ પોષણ માટે શહેરી વિસ્તારોમાં સ્થળાંતર કર્યુ છે. જેનાબાદ હવે દિવાળીના તહેવાર નજીક આવતાં જ હવે શ્રમિકો અને  બહારગામ નોકરી કે વ્યવસાય  કરતાં પરિવારો હવે પરત માદરે વતન ફરી રહ્યા છે.આ મુસાફરો સૌરાષ્ટ્ર કે અન્ય વિસ્તારોમાંથી ગોધરા સહિત પંચમહાલ, દાહોદ કે મહીસાગર જીલ્લાના અન્ય બસ મથક સુધી આવી પહોંચશે .આ મુસાફરોને પોતાના વતન સુધી પહોંચાડવાની ચિંતા ગોધરા એસટી ડીવીઝન દ્વારા કરવામાં આવી છે.તેઓ દ્વારા ગોધરા એસટી ડીવીઝન સંલગ્ન ત્રણ જીલ્લામાં આવેલા સાત બસ ડેપો ખાતે ખાસ બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. દરેક ડેપો ખાતે દશ એસટી બસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ તમામ એક્સ્ટ્રા એસટી બસ મારફતે બહારગામથી આવતાં મુસાફરોને તેઓના વતન સુધી પહોંચવામાં અગવડતા ન પડે એ માટે લોકલ રૂટ દોડાવવામાં આવશે.આ સુવિધાને મુસાફરો આવકારી રહ્યા છે.બીજી તરફ આ વર્ષે લોકલ ટ્રેન સેવા બંધ છે જેથી મુસાફરોની સંખ્યાને ધ્યાને લઇ એકસ્ટ્રા બસને દોડાવવાનું આયોજન કરાયું છે.

એસટી વિભાગ દ્વારા બહારગામથી દિવાળી પર્વની ઉજવણી કરવા માટે પરત માદરે વતન આવતાં શ્રમિકો સહિત માટે સ્થાનિક કક્ષાએ ખાસ બસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ દિવાળી પર્વને આડે ગણત્રીના જ દિવસો બાકી છે જે સંજોગો જોતાં હાલ મુસાફરોની સંખ્યા એકદમ પાંખી જોવા મળી રહી છે. જે સ્થિતિ વિશે અનુમાન કરવામાં આવે તો લાંબા મહિના સુધી શ્રમિકો ઘરે જ બેસી રહ્યા બાદ માંડ પેટિયું રળવા ગયા છે ત્યારે હવે પરત ઘરે અવર જવર કરવાનો ખર્ચ નહીં કરવાનું મુનાસીબ માની રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

(4:44 pm IST)