Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

અમદાવાદ સહિત રાજ્‍યમાં ધનતેરસનું મુહૂર્ત સાચવતા લોકોઃ સોના, ચાંદી, ગાડી, ઇલેકટ્રોનિક્‍સ વસ્‍તુઓ, વાસણોની ખરીદી

અમદાવાદ: ધનતેરસનું પર્વ ભારતવાસીઓ માટે ખરીદીનું પર્વ ગણાય છે. ત્યારે ગુજરાતભરમાં આજે ધનતેરસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે ગુજરાતમાં લોકો સોનુ-ચાંદી, ગાડી, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ તથા વાસણોની ખરીદી કરતા નજરે ચઢ્યા. તો સાથે જ લક્ષ્મીજીની પૂજા પણ અનેક સ્થળોએ કરવામાં આવી. આજે ધનતેરસના પર્વએ લોકો સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. આજે સવારથી જ લોકો ખરીદી કરવા દુકાનોમાં પહોંચ્યા છે. આજે સોનાનો ભાવ 52700 રૂપિયાએ પહોંચી ગયો છે. જ્યારે કે, ચાંદીનો ભાવ 67450 રૂપિયા છે. જોકે પુષ્ય નક્ષત્રના દિવસ કરતા ધનતેરસ પર સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. લોકો એડવાન્સ બુકિંગ કરવી આજે ડિલિવરી લેવા માટે આવી રહ્યા છે.

ધનતેરસના તહેવારના દિવસે મુહૂર્ત સાચવવા માટે સોના-ચાંદીની સાથે સાથે વાસણની ખરીદી પણ કરાતી હોય છે. આજના દિવસે ધાતુની ખરીદીને શુભ માનવામાં આવે છે. પરંતુ આ વર્ષ અમદાવાદનું માણેકચોક બજાર સાવ ખાલી છે. વાસણની ખરીદી માટે કોઈ ગ્રાહક આવી નથી રહ્યા. વેપારીઓનું કહેવું છે કે, દર વર્ષે વાત કરવાનો સમય નથી હોતો. પરંતુ કોરોનાના કારણે સાવ મંદી છે. વાસણ ખરીદવા કોઈ આવી નથી રહ્યું. સાથે જ લોકો હવે સ્ટીલના વાસણની જગ્યાએ મેલેમાઈન વાપરે છે. માટે ટ્રેન્ડ બદલાયો છે, તેની પણ અસર છે.

આજે અમદાવાદની મેઘાણીનગરના આશિષનગર સોસાયટીમાં ધનતેરસ પર વિશેષ આયોજન કરાયું હતું. ધર્માત્મા કુટિરમાં વિશેષ યજ્ઞ અને આહુતિનું આયોજન કરાયું હતું. જેમાં 500 શ્રી યંત્રની પૂજા અર્ચના કરાઈ હતી. સાથે જ ભક્તોને શ્રીયંત્ર પ્રસાદ સ્વરૂપમાં આપવામાં આવે છે. કોરોનાથી વિશ્વ મુક્ત થાય તેના માટે 11 લાખ આહુતિ આપવામાં આવી.

ધનતેરસનો દિવસ એટલે લક્ષ્મીજીને રીઝવવાનો શુભ દિવસ. આ દિવસે ધન, ધન્ય અને સમૃદ્ધિના દેવ કુબેરની પૂજા કરવાનું અનેરું મહત્વ હોય છે. આજના દિવસે બે તિથિ સાથે હોવાથી સાંજે 6 વાગ્યા સુધી લક્ષ્મી પૂજા કરી શકાશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી મંદિરોમાં ગાઈડલાઈનનુ પાલન કરીને પૂજા કરવામાં આવી રહ્યું છે. આજના દિવસે લક્ષ્મીજીને અનેરો શણગાર કરવામાં આવે છે.

(4:46 pm IST)