Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

વિરમગામમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ દુઃખદ ઘટના : કરંટ લાગતા બે સગા ભાઈઓના મોત

ધાબાની નજીકથી પસાર થતા વીજતારનો કરંટ લાગ્યો

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ઉત્તરાયણની પૂર્વસંધ્યાએ દુઃખદ ઘટના બની છે. જ્યાં પતંગ લૂંટવા જતા બે સગા ભાઈઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. વિરમગામમાં નૂરી સોસાયટીમાં બે ભાઈઓ પતંગ ચગાવી રહ્યા હતા ત્યારે તેમને ધાબાની નજીકથી પસાર થતા વીજતારનો કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમના મોત થયા હતા.

મળતી માહિત અનુસાર, અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આવેલી નૂરી સોસાયટીમાં જાવીદભાઈ મીર્ઝા પોતાના પરિવાર સાથે રહે છે. તેમને બે સંતાનોમાં મોહમ્મદ તુફેલ અને મુંજમીર તુફેલ છે. બંને પુત્રો બુધવારે ધાબા પર પતંગ ચગાવવા માટે ગયા હતા અને આ કરૂણ ઘટના બની હતી.

જાવીદભાઈના ઘરના ધાબાના બીજા માળ પાસેથી વીજળીનો તાર પસાર થતો હતો. આ તાર નજીકથી પતંગ લૂંટવામાં બંને ભાઈઓ મોતને ભેટ્યા હતા. 17 વર્ષીય મોહમ્મદ અને 18 વર્ષીય મુંજમીરને કરંટ લાગ્યો હતો અને તેમના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. એક જ સમયે બે સગાભાઈઓના મોત થતા પરિવાર માતમ છવાઈ ગયો હતો.

આ બનાવથી પરીવાર ઉપર આભ તૂટી પડયું હતું. એક ભાઇને કરંટ લાગતા બીજા ભાઇએ બચાવવા જતાં બન્ને ભાઇઓને વીજ કરંટ લાગ્યો હતો. બન્ને જણાને તાત્કાલીક વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે બન્ને ભાઇઓને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સ્વજનો અને લોકો ઉમટી પડયા હતા.

(12:03 pm IST)