Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

કાલથી અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ બે દિવસ રહેશે બંધ: ફોર્મ ‘સી’ રિન્યુઅલ ન થવાના મુદ્દે લડાયક મૂડમાં

હોસ્પિટલો અને નર્સિંગ હોમ નિયમિત પ્રવેશ, ઓ.પી.ડી. સેવાઓ અને પ્લાન કરેલી સર્જરી પ્રક્રિયાઓ બંધ રહેશે

અમદાવાદ હોસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશને જણાવ્યું હતું કે ફોર્મ ‘સી’ રિન્યુઅલ ન થવાના મુદ્દે અમદાવાદની 400થી વધુ હોસ્પિટલો અને નર્સિંગ હોમની સી ફોર્મ નોંધણી અંતર્ગત અન્યાયના વિરોધમાં તારીખ 14 અને 15 મે, 2022ના રોજ અમદાવાદની તમામ હોસ્પિટલો અને નર્સિંગ હોમ નિયમિત પ્રવેશ, ઓ.પી.ડી. સેવાઓ અને પ્લાન કરેલી સર્જરી પ્રક્રિયાઓ બંધ રહેશે. AHNA દ્વારા 14મી મે, 2022ના રોજ સવારે 8:૩૦ વાગ્યે વલ્લભ સદન, આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી અને ધરણાનું આયોજન કર્યું છે, જેમાં ડૉકટરો, હૉસ્પિટલોના કર્મચારીઓ, દર્દીઓ, સંબંધીઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાશે. 15મી મે, 2022ના રોજ વલ્લભ સદન, આશ્રમ રોડ ખાતે સવારે 9 થી 12 દરમિયાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દ્વારા અમે અમે સત્તાધીશોને સંદેશો પાઠવવા ઈચ્છીએ છીએ કે આટલા અવરોધો છતાં અમે અમારું ઉમદા કાર્ય ચાલુ રાખીએ છીએ. સત્તાધીશોને અનેકવાર આ પ્રશ્નો મુદ્દે રજુઆત કરવા છતાં સળગતી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.

1949થી 2021 સુધી, તમામ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ્સ બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ 1949 હેઠળ હૉસ્પિટલોની નોંધણી માટે જરૂરી દસ્તાવેજો પ્રદાન કરતી રહી છે અને તેના પગલે હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ કોઈ પણ પ્રકારની સમસ્યા વિના નોંધણી કરવામાં આવી છે. આ કાયદો મુખ્યત્વે લાયકાત ધરાવતા તબીબી કર્મચારીઓ દ્વારા આરોગ્યસંભાળ સેવાઓની જોગવાઈ સાથે કામ કરે છે. ઑક્ટોબર 2021થી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અધિનિયમ હેઠળ નોંધણી માટે વેલિડ બિલ્ડિંગ યુઝ (બીયુ) પરવાનગીની માંગ કરવાનું શરૂ કર્યું, જેના કારણે વર્તમાન પરિસ્થિતિ ઊભી થઈ છે.

 

ઑક્ટોબર 2021 સુધી નર્સિંગ હોમ અને હૉસ્પિટલોના રજિસ્ટ્રેશન માટે ક્યારેય બીયુ પરવાનગીની જરૂર નહોતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યોગ્યતા સહિત સ્ટાફની વિગતોની ચકાસણી કર્યા બાદ નોંધણી પ્રમાણપત્ર જારી કરતું હતું, જેને સામાન્ય રીતે ફોર્મ ‘સી’ તરીકે ઓળખવામાં આવે છે. વધુમાં, તમામ શહેરોમાંથી માત્ર અમદાવાદ કોર્પોરેશન જ રજિસ્ટ્રેશન માટે બીયુની પરવાનગીની માંગણી કરે છે. આ વધુ વ્યંગાત્મક છે કે આ પરવાનગી માત્ર મૉર્ડન મેડિસિન સાથે કામ કરતી હેલ્થકેર સુવિધાઓને જ લાગુ પડે છે.

રેસ્ટોરાં જેવી અન્ય સેવાઓ પ્રદાન કરવા માટે અલગ નોંધણીની કોઈ આવશ્યકતા નથી અને તેઓને તેમના બીયુ સ્ટેટસને ધ્યાનમાં લીધા વિના કામ કરવાની મંજૂરી આપે છે ત્યારે આ પ્રકારની જરૂરિયાત માત્ર હેલ્થકેર સેવાઓ માટે જ કેમ ફરજિયાત બનાવવામાં આવી છે? આ પ્રકારના અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે જેમાં બીયુ પરવાનગીનો અભાવ છે ત્યારે નર્સિંગ હોમ્સને ફોર્મ ‘સી’ના નવીકરણને કારણે સેવાઓ પ્રદાન કરવાની મંજૂરી નથી

(12:31 am IST)