Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર હિંમતનગરમાં સર્કિટ હાઉસમાં ભાજપ નેતાઓ સાથે જોવાયા :કરવો પડ્યો ખુલાસો

ધારાસભ્ય પરમારે ઈડર સમુહ લગ્નોત્સવમાં હાજરી આપવા જવાનુ હોઈ અહીં આવ્યા હોવાનો ખુલાસો કર્યો

અમદાવાદ :હિંમતનગર શહેરમાં હાથમતી નદીના કિનારે આવેલા નવા સર્કિટ હાઉસ ખાતે અમદાવાદની દાણી લીમડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા.સાથે જ સર્કિટ હાઉસમાં બેઠા હતા અને જેને લઈ ત્યાં હાજર અન્ય રાજકીય આગેવાનોમાં નવી ચર્ચાઓ જાગી હતી. જોકે ધારાસભ્ય પરમારે ઈડર સમુહ લગ્નોત્સવમાં હાજરી આપવા જવાનુ હોઈ અહીં આવ્યા હોવાનુ મીડિયાને જણાવ્યુ હતુ.

રાજ્ય સરકારના સમાજકલ્યાણ પ્રધાન પ્રદીપ પરમાર, રાજ્ય સભાના પૂર્વ સાંસદ અને ભાજપના આગેવાન શંભુનાથ ટુંડીયા, અને બનસકાંઠાની વડગામ બેઠકના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં જ ભાજપમાં જોડાયેલા મણીલાલ વાઘેલા સહિતના નેતાઓ હિંમતનગરના સર્કિટ હાઉસમાં એકઠા થયા હતા. આ દરમિયાન ત્યાં શૈલેષ પરમાર પણ હાજર જોવા મળતા જ ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી. જોકે સ્થિતી પામી જઈને પરમારે જ ઉપસ્થિતોને ટૂંકમાં જણાવ્યુ હતુ, કે ઈડરમાં સમુહ લગ્નોત્સવ હોઈ ત્યા જવા માટે આવેલ હતા. ધારાસભ્ય શૈલેષ પરમાર ઉપરાંત ભાજપના અનુસૂચિત જાતીના નેતાઓ ઈડર જવા માટે આવ્યા હતા.

દરામલીમાં 72 ગામ વણકર સમાજનો ચોથો સમુહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 60 નવ દંપતિ લગ્નગ્રંથીથી જોડાયા હતા. જેમાં પ્રધાન પ્રદિપ પરમાર તેમજ શૈલેષ પરમાર અને શંભુનાથ ટુંડિયા સહિત વિધાસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા, ઇડરના ધારાસભ્ય અને અભિનેતા હિતુ કનોડીયા ઉપસ્થિત રહ્યા હતા. મહંત શંભુનાથજીએ નવદંપતિઓને આશિર્વાદ આપ્યા હતા.

હાલમાં કોગ્રેસનો હાથ છોડીને કેટલાક દિગ્ગજ નેતાઓ ભાજપ તરફ જઈ રહ્યા છે. આદીવાસી નેતા અશ્વિન કોટવાલે ગત સપ્તાહે જ મોટી સંખ્યામાં આગેવાનો સાથે રેલી નિકાળી કમલમ પહોંચી ખેસ ધારણ કર્યો હતો. ત્યારબાદ કોંગ્રેસના ભિલોડા બેઠકના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ડો અનિલ જોષિયારાના પુત્ર પણ ભાજપમાં જોડાઈ રહ્યાની ચર્ચાઓ જોરમાં છે. આ સાથે જ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના દિગ્ગજ કોંગ્રેસી નેતાને લઈને પણ ચર્ચાઓએ જોર પકડ્યુ છે

(12:39 am IST)