Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

કુળદેવીના દર્શન કર્યા વગર શારીરિક સંબંધ બાબતે અંધશ્રદ્ધામાં વડ સાસુએ પ્રેમલગ્ન કરનાર દંપતિનો હોબાળો કર્યો

અમદાવાદના બોપલ વિસ્‍તારની ઘટનાઃ મહિલાએ આખરે 181માં ફોન કર્યો

અમદાવાદઃ બોપલ વિસ્‍તારની 26 વર્ષની યુવતિએ એ જ વિસ્‍તારમાં રહેતા યુવક સાથે પ્રેમ લગ્ન કરતા વડ સાસુએ શારીરિક સંબંધો બાબતે હોબાળો મચાવી કુળદેવીના દર્શન વગર અપશુકન ગણાવી ભુવા પાસે દોરા ધાગા કરાવી પતિ-પત્‍નીને અલગ સુવા માટે દબાણ કર્યુ હતુ. અંધશ્રદ્ધાના આ કિસ્‍સામાં આખરે યુવતિએ અભયમ્‌ 181માં યફોન કરી મદદ માંગી હતી.

આપણે શિક્ષિત હોવાનો દાવો કરીએ પરંતુ શિક્ષિત લોકો જ વધારે અંધવિશ્વાસ રાખતા હોય તેવો વધારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડસાસુએ અંધશ્રદ્ધાને કારણે પ્રેમ લગ્ન કરનાર દંપત્તિનું જીવન ઝેર કરી નાખ્યું હતું. લગ્ન બાદ વડસાસુએ ઘરમાં કુળદેવીના દર્શન કર્યા વગર શારીરિક સંબંધો બાંધવાના મુદ્દે હોબાળો કર્યો હતો. આ શારીરિક સંબંધોને અપશુકન ગણાવ્યા હતા. અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતીએ તે જ વિસ્તારમાં રહેતા યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ યુવતી પોતાના સાસરામાં રહેવા માટે ગઇ હતી. જો કે વડસાસુએ મર્યાદા વટાવીને વહુને ખુબ જ અંગત સવાલો પુછવાનું શરૂ કરી દીધું હતું. શું તમે લોકો લગ્ન બાદ સંબંધો બાંધ્યા કે નહી. કેટલો સમય સુધી શારીરિક સંબંધો રાખ્યા વગેરે સવાલો પુછ્યા હતા. લગ્ન પહેલા સંબંધો હતા કે કેમ તેના જવાબમાં વહુએ કહ્યું કે, અમે પ્રેમમાં હતા તેથી અગાઉ શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સાંભળતાની સાથે જ વડસાસુએ આ અપશુકન છે તેમ જણાવ્યું હતું.

પત્ની અને પતિને વડસાસુએ ભુવા પાસે લઇ ગયા હતા. જ્યાં દોરા ધાગા કરાવ્યા હતા. ભુવાએ પ્રાયશ્ચિત સ્વરૂપે પતિ અને પત્નીને 50 દિવસ એક બીજાથી દુર રહેવા માટે જણાવ્યું હતું. જેથી વડસાસુએ બંન્નેને અલગ અલગ રૂમમાં સુવડાવ્યા હતા. બંન્નેના મોબાઇલ પણ સાથે લઇ લીધા હતા. બંન્ને એક સાથે સોફા પર બેસતા વડસાસુએ બંન્નેને સાવરણાઓ માર્યા હતા અને ઠંડું પાણી નાખીને શુદ્ધીકરણ કર્યું હતું. બંન્નેએ એક બીજાનું મોઢુ પણ નહી જોવા માટે જણાવ્યું હતું.

સાસુ સસરા જો પુત્રવધુના પક્ષમાં કંઇ પણ બોલે તો લાડકી વડે બધાને ફટકારતા હતા. દાદીથી કંટાળેલા યુવકે ઘર છોડી દીધું હતું. જો કે પરિવાર તેને સમજાવીને પરત લાવ્યા હતા. જો કે વડસાસુએ આ કરવા માટે પૌત્રવધુને જવાબદાર ગણાવીને લાડકીઓ વડે માર માર્યો અને ઘર બહાર કાઢી મુકી હતી. વડસાસુથી કંટાળેલી મહિલાએ આખરે 181 અભયમનો સંપર્ક કર્યો હતો. આખરે 181એ વડસાસુનું કાઉન્સેલિંગ કરીને તેને કાયદાકીય સમજ આપી હતી. વડસાસુ અને નણંદ સમજવા તૈયાર નહી થયા આખરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(5:37 pm IST)