Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ભગવાન પાસે પ્રાર્થના કરૂ છું કે ત્રીજી લહેર ન આવે ત્રીજી લહેરનો સામનો કરવા રાજય સરકાર સજ્જ : એકશન પ્લાન તૈયાર : વિજયભાઈ

રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે બપોરે ૩ વાગ્યે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, ત્રીજી લહેરનો સામનો કરવા સરકાર સજ્જ છે : એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે : ટેસ્ટીંગ - ઓકિસજન - હોસ્પિટલ સહિતની વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવી છે : આપણે બીજી લહેરમાં ઘણો સંઘર્ષ કર્યો : ઝડપી નિર્ણયથી કામગીરી કરી હતી : હાલમાં ગુજરાતમાં રીકવરી રેટ ૯૭% છે : ત્રીજી લહેરને મ્હાત આપવા રાજય સરકાર સંપૂર્ણ પણે સજ્જ હોવાનું તેઓએ જણાવેલ : ત્રીજી લહેર ન આવે તેવી હું ભગવાન પાસે પ્રાર્થના કરૂ છું

કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરના મક્કમતાથી મૂકાબલા દ્વારા ‘હારશે કોરોના –જીતશે ગુજરાત’ ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારની રણનીતિ-કાર્યયોજના જાહેર કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

ઓક્સિજન બેડની સંખ્યા ૬૧ હજારથી વધારી ૧ લાખ ૧૦ હજાર કરાશે :આગામી ત્રણ મહિનામાં રાજ્યની પ૧ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલોમાં પણ RTPCR ટેસ્ટીંગ સુવિધા ઊભી થશે :ટેસ્ટિંગ કેપેસિટી દૈનિક ૧.૨૫ લાખ કરાશે: સઘન સર્વેલન્સ-વ્યાપક ટેસ્ટીંગ સહિતના મોનિટરીંગ માટે જિલ્લા સ્તરે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરીને સી.એમ. ડેશબોર્ડ સાથે રિયલ ટાઇમ મોનિટરીંગથી જોડાશે:નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં પ્રચાર માધ્યમો સમક્ષ મુખ્યમંત્રીએ જાહેર કર્યો કોરોના સંભવિત થર્ડ વેવ સામેનો રાજ્ય સરકારનો એકશન પ્લાન


ગુજરાત કોવિડ-19 કોરોનાની સંભવિત ત્રીજી લહેરના મક્કમતાથી મૂકાબલા માટે સંપૂર્ણ સજ્જ છે. રાજ્ય સરકાર આ હેતુસર એક વિસ્તૃત અને નક્કર કાર્યયોજના એકશન પ્લાન ઘડી ‘‘હારશે કોરોના-જીતશે ગુજરાત’’ના મંત્ર સાથે કોરોનાની આવનારી સંભવિત ત્રીજી લહેર સામે પણ ફતેહ હાંસલ કરશે. એવો નિર્ધાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વ્યકત કર્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામેના રાજ્ય સરકારના એકશન પ્લાન-રણનીતિની જાહેરાત કરતાં આ નિર્ધાર વ્યકત કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ અનિલ મૂકીમ તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન અને આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રીએ આ એકશન પ્લાન-રણનીતિ પ્રચાર માધ્યમો સમક્ષ જાહેર કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરને રાજ્ય સરકારે સઘન આરોગ્યલક્ષી પગલાંઓ, થ્રી ટી-ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટની સ્ટેટ્રેજી, ફ્રન્ટલાઇન વર્કર્સ, આરોગ્ય કર્મીઓ અને જનતા જનાર્દનના સહયોગથી મહદઅંશે નિયંત્રણમાં રાખવામાં સફળતા મેળવેલી છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં આપણે સંપૂર્ણ લોકડાઉનની પદ્ધતિ અન્ય રાજ્યોની જેમ અપનાવવી પડી નથી. લોકોના સહયોગ અને SMS સહિતની કોરોના ગાઇડલાઇન્સના રાજ્યમાં પાલન સાથે માત્ર ૩૬ શહેરોમાં મર્યાદિત નિયંત્રણો લાગુ કરીને આપણે કોરોના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો કરી શકયા છીયે. તે જ આપણી સફળતા છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, કોવિડ-19 ની પહેલી લહેરમાં ગત વર્ષ સપ્ટેમ્બર-ર૦ર૦ની રપ મી તારીખ આસપાસ રોજના ૧૬૦૦ જેટલા કેસો રાજ્યમાં નોંધાતા હતા અને તે વધીને રપ મી નવેમ્બરે ૧૮૦૦-૧૯૦૦ થયા હતા તે રાજ્યમાં સૌથી વધુ કેસ એક દિવસમાં નોંધાયા હોય તેવો બીજો તબક્કો હતો.
આ કેસોની સંખ્યા આપણા સઘન ઉપાયો, કોરોના સંક્રમણ નિયંત્રણના વ્યાપક પગલાંઓ અને ગાઇડ ગાઇન્સના ચુસ્ત અનુપાલનને પરિણામે ફેબ્રુઆરી-ર૧માં ઘટીને રોજના ર૦૦-ર૭પ કેસોની થઇ ગઇ હતી.
રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં તા.૩૦મી એપ્રિલે સૌથી વધુ ૧૪,૬૦પ જેટલા કેસો નોંધાયા હતા અને સમગ્ર રાજ્યમાં કોવિડના એકટીવ દરદીઓની સંખ્યા ૧.૪૮ લાખ જેટલી હતી.
  વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે કોવિડ હોસ્પિટલો, ઓક્સિજન બેડ, ઓક્સિજન સપ્લાય અને સંક્રમણ નિયંત્રણના જે વ્યાપક ઉપાયો યુદ્ધના ધોરણે હાથ ધર્યા તેના પરિણામે છેલ્લા ચાર-પાંચ દિવસથી કેસોની સંખ્યા ઘટીને પ૦૦ કરતાં પણ ઓછી થઇ ગઇ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કેસોની સંખ્યા ઘટી છે પરંતુ કોરોના વાયરસ હજી ગયો નથી. કોરોના સામેની સમજ અને શિસ્તમાં જરા પણ ઢિલાશ પાલવે તેમ નથી. આપણે દવાઇ ભી, કડાઇ ભી અને જાન ભી હૈ, જહાન ભી હૈ ના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પ સાથે રોજિંદી પ્રવૃત્તિઓ સંપૂર્ણ સતર્કતા-સાવચેતીથી ચાલુ રાખવાની છે.
એટલું જ નહિ, વિશ્વના અને આપણા દેશના તજજ્ઞો કોવિડ મહામારીની ત્રીજી વેવ-લહેર આવવાની સંભાવના વ્યકત કરી રહ્યા છે ત્યારે ગુજરાત આ ત્રીજી લહેરનો ઓછામાં ઓછો ભોગ બને અને તેની અસરોને વ્યૂહાત્મક રીતે ખાળી શકાય તેવા હેતુથી રાજ્ય સરકારે એક વિસ્તૃત અને સર્વગ્રાહી રણનીતિ-કાર્યયોજના, એકશન પ્લાન ઘડયા છે.
આવો આગોતરો એકશન પ્લાન ઘડનારૂં ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય છે એમ પણ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, આ સંભવિત ત્રીજી લહેરની શકયતાઓને પગલે રાજ્ય સરકારે સંપૂર્ણ સજ્જતા કેળવવા મે મહિનાના બીજા સપ્તાહથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
રાજ્યની કોવિડ ટાસ્કફોર્સના તજજ્ઞ તબીબો સાથે બેઠકો યોજીને તેમના મંતવ્યો, અભિપ્રાયો એકશન પ્લાન ઘડવા મેળવવામાં આવ્યા હતા.
જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને ૮ મહાનગરોના મ્યૂનિસિપલ કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સ સંવાદ યોજીને તેમના સ્તરે થયેલા આયોજનની જાણકારી મેળવી તેમને રાજ્ય કક્ષાએથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ રાજ્યની સરકારી હોસ્પિટલોના અગ્રણી તબીબો સાથે પણ સંવાદ કરીને એકશન પ્લાનમાં તેમના મંતવ્યો મેળવ્યા હતા.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં કોરોના-કોવિડની સ્થિતીની સમીક્ષા માટે નિયમીતપણે મળતી કોર કમિટીની બેઠકોમાં પણ વખતોવખત આ સંભવિત ત્રીજી લહેરના સંક્રમણ સાથેની પૂર્વ તૈયારીઓ અંગે વિશદ ચર્ચા-મંથન કરવામાં આવેલું છે.
આ બધા જ મંતવ્યો અભિપ્રાયો અને કોર કમિટીના વિવિધ નિર્ણયોની ફલશ્રુતિને આખરી ઓપ આપતાં આજે આપણે એકશન પ્લાન-રણનીતિ જાહેર કરી રહ્યા છીયે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.  
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની આ રણનીતિ-કાર્યયોજનાની વિશેષતાઓ અંગેની વિસ્તૃત વિગતો આપતાં કહ્યું કે, આપણે બે બાબતો પર વિશેષ ફોકસ કરીને આ રણનીતિ બનાવી છે.
તદઅનુસાર, ત્રીજા વેવને આવતો જ અટકાવવો તેમજ તીવ્રતા-ઇન્ટેસીટી ઘટાડવી સાથોસાથ જો સંભવિત ત્રીજા વેવમાં કેસોની સંખ્યા વધી જાય તો તેને પહોચી વળવા આરોગ્ય તંત્રનું ક્ષમતા વર્ધન કરવું એવી બેવડી રણનીતિ સાથે રાજ્ય સરકાર આગળ વધવા પ્રતિબદ્ધ છે એમ વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરના મૂકાબલા માટે રાજ્ય સરકારના આયોજનની તબક્કાવાર જે વિગતો આપી હતી.
મુખ્યમંત્રીના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ઘડાયેલી રણનિતીમાં રાજ્યમાં અર્લી ફોરકાસ્ટિંગ મેથડ વિકસાવવી, સર્વેલન્સ અને ટેસ્ટિંગમાં વધારો કરવો, ઓક્સિજન પુરવઠો સુદ્રઢ કરવો, જરુરી દવા-ઇન્જેક્શનનો જથ્થો સુનિશ્ચિત કરવો, બાળકો અને વયસ્કો માટે નવા વેન્ટિલેટર્સ ખરીદવા, તબીબ-નર્સ અને પેરામેડીકલ સ્ટાફની ભરતી, રેડી ટુ ગો હોસ્પિટલ્સ તૈયાર કરવી, જિલ્લા સ્તરે કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉભા કરવા, બેડ-પથારીઓની સંખ્યા દર્શાવતી કેંદ્રીકૃત પ્રણાલી વિકસાવવી, સંજીવની અને ધન્વંતરી રથનો વ્યાપક ઉપયોગ અને હોમ આઇસોલેશનમં રહેલા દર્દી માટે ટેલી મેડિસિન વ્યવસ્થા જેવી બાબતો સમાવવામાં આવી છે.    
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રાહબરીમાં સરકારે બીજી લહેરની સાપેક્ષે સંભવિત ત્રીજી લહેરમાં રાજ્યની આરોગ્ય વ્યવસ્થા-સુવિધાઓમાં વધારો કરવાનાં કાર્યયોજના નિર્ધારિત કરવામાં આવી છે-
બીજી લહેરમાં રાજ્યમાં એક્ટિવ કેસ ૧.૪૮ લાખ હતા તેની સામે સંભવિત ત્રીજી શહેરમાં ૨.૫ લાખ એક્ટિવ કેસ થાય તો તેને લક્ષમાં રાખી ઓક્સિજન બેડની સંખ્યા ૬૧,૦૦૦ વધારી ૧,૧૦,૦૦૦ કરવાની કાર્યયોજના ઘડી કાઢવામાં આવી છે. રાજ્યમાં આઇ.સી.યુ. બેડની સંખ્યા ૧૫ હજારથી વધારીને ૩૦ હજાર કરવામાં આવશે, વેન્ટિલેટરની સંખ્યા ૭ હજારથી વધારે ૧૫ હજાર કરવામાં આવશે અને રાજ્યમાં કોવિડ ફેસિલિટી ૧૮૦૦થી ૨૪૦૦ કરવામાં આવશે.
 સંભવિત ત્રીજી લહેરમાં ઓક્સિજનની માંગને પહોંચી વળવા ઓક્સિજન ક્ષમતા ૧૧૫૦ મેટ્રીક ટનથી ૧૮૦૦ મેટ્રિક ટન, પી.એસ.એ. પ્લાન્ટ ૨૪ થી ૪૦૦ તથા પી.એસ.એ. પ્લાન્ટની ક્ષમતા ૨૦ મેટ્રિક ટનથી ૩૦૦ મેટ્રિક ટન અને ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સંખ્યા ૭૦૦થી વધારે ૧૦,૦૦૦ કરવામાં આવશે. ગુજરાત ઓક્સિજનમાં પગભર બને તેવી નેમ રાખવામાં આવી છે.રેમડેસિવિર, એમ્ફોટેરિસિન-બી, ટોસિસ્લિઝુમેબ, ફેવિપેરાવિર ટેબલેટ વગેરે દવાઓના બીજા વેવમાં થયેલા વપરાશને આધારે ત્રીજા સંભવિત વેવ માટે પૂરતો જથ્થો પ્રોક્યોર કરવામાં આવશે.
 કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે પૂરતું માનવબળ ઊભું કરવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રીશ્રીએ સ્પેશિયાલિસ્ટ તબીબોની સંખ્યા ૨૩૫૦ વધારી ૪૦૦૦ એમ.બી.બી.એસ. તબીબની સંખ્યા ૫૨૦૦થી વધારી ૧૦,૦૦૦ નર્સની સંખ્યા ૧૨ હજારથી વધારી ૨૨,૦૦૦ વર્ગ-૪ના કર્મચારીઓની સંખ્યા ૮ હજારથી વધારે ૧૫ હજાર અને અટેન્ડન્ટની સંખ્યા ૪૦૦૦થી વધારે ૧૦ હજાર કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે આરોગ્ય વિભાગમાં ખાલી-વેકેન્ટ તમામ જગ્યાઓને ભરવામાં આવશે.
મુખ્યમંત્રીએ સંભવિત ત્રીજી લહેર માટે ટેસ્ટીંગ, ટ્રેસિંગ, ટ્રિટમેન્ટની ટ્રીપલ ટી સ્ટ્રેટેજી રૂપે સર્વેલન્સ યુનિટની સંખ્યામાં ૧૪ હજારથી વધારો કરી ૨૧ હજાર અને સર્વેલન્સની ટિમની સંખ્યામાં ૨૧ હજારથી વધારો કરી ૬૦ હજાર કરવાનો નિર્ધાર કર્યો છે.
 આ સાથે રાજ્યમાં RTPCR ટેસ્ટની સંખ્યા રોજના ૭૫ હજારથી વધારી ૧.૨૫ લાખ કરાશે અને કુલ ટેસ્ટની સંખ્યા જે દરરોજ ૧.૭૫ લાખથી વધારી ૨.૫ લાખ કરવામાં આવશે. RTPCR લેબની સંખ્યા ૧૦૪ થી વધારી ૧૫૫ તથા RTPCR ટેસ્ટ મશીનની સંખ્યા ૨૩૪થી વધારી ૨૮૫ અને સિટી સ્કેન મશીનની સંખ્યા ૧૮થી વધારી ૪૪ કરવામાં આવશે.
 દેશમાં ગુજરાત માત્ર એક રાજ્ય છે જે રાજ્ય સ્તરે જીનોમ સીકવંસીંગ કરે છે. ૧૭ એપ્રિલ ૨૦૨૦ના રોજ સૌપ્રથમ જીનોમ સીકવંસીંગ ગુજરાતમાં આપણે કર્યુ  હતું. રાજ્યની જીબીઆરસી-ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ કાઉન્સીલ સંસ્થા અન્ય ખાનગી સંસ્થાઓ સાથે જોડાણ કરી આગામી મહિના ૧૦૦૦ જેટલા સેમ્પલનું એક મહીનામાં જીનોમ સીકવંસીંગ કરવાની ક્ષમતા કેળવાશે. તેવું પણ આ એકશન પ્લાનમાં સૂચવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ ધનવંતરી રથની સંખ્યા ૧૫૦૦થી વધારી ૩૦૦૦ અને સંજીવની રથની સંખ્યા ૧૪૦૦થી વધારી ૩૦૦૦ કરવાનું પણ આ રણનીતિ કાર્યયોજનામાં સૂચવ્યું છે. ધનવંતરી રથ અત્યારના રોજના ૧.૧૦ લાખ કેસની સાપેક્ષે ૨.૨૫ લાખ કેસ હેન્ડલ કરશે તથા સંજીવની રથ ૨૮ હજારની સાપેક્ષે ૬૦ હજાર કેસ ટ્રીટ કરશે.
કોવિડ-19 કેસોનું તેમજ સારવારનું સીધું નિયંત્રણ અને મોનિટરીંગ મુખ્યમંત્રી કક્ષાએથી થઇ શકે તે હેતુસર જિલ્લા સ્તરે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરાશે.
આ સેન્ટર્સ મુખ્યમંત્રીના નિવાસસ્થાને સી.એમ ડેશબોર્ડ સાથે રિયલ ટાઇમ અપડેટથી જોડાયેલા રહેશે.
 રાજ્યની દરેક હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની માહિતી માટે એક નોડેલ ઓફિસર પણ નિમણુંક કરાશે.
 કોરોનાની સંભવિત ત્રીજી શહેર સામે લડવાનું અમોઘ શસ્ત્ર રસીકરણ છે ત્યારે સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં રાજ્યમાં વધુને વધુ વેક્સિનના ડોઝ લોકોને આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
 ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨ કરોડ થી વધુ વેક્સિનના ડોઝ લોકોને આપી દેવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતે રસીકરણના દરેક તબક્કે ‘પર મિલિયન’ રસીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. રાજ્યમાં દૈનિક 3 લાખ વ્યક્તિઓને ૧૨૦૦ કેન્દ્રો પરથી કોરોનાની રસીની ડોઝ આપવામાં આવી રહ્યા છે.
 ૪૫થી વધુની ઉંમરના ૫૪ ટકાથી વધુ લોકોને તથા ૧૮-૪૪ વયના ૧૨ ટકા લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.
ત્રીજી લહેરમાં ખાસ બાળકોને ધ્યાને રાખી સરકારી હોસ્પિટલોમાં બાળકો માટેના ૨ હજાર બેડ છે તે વધારીને ૪ હજાર કરવામાં આવશે, અહીં ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ ઉભા કરવામાં આવશે જેમાં બાળકોના માતા-પિતા, વાલીઓ માટે સુવિધાઓ, રંગીન કાર્ટૂન ચિત્રો સાથેની દીવાલો, ટેલિવિઝન અને રમકડાં સાથેના વોર્ડ ઉભા કરવામાં આવશે. બાળકો માટેના વેન્ટિલેટરની સંખ્યા ૫૦૦થી વધારે ૧૦૦૦ કરવામાં આવશે.
 કોવિડના કેસો વધે તો તે કયા વિસ્તારમાં વધ્યા છે, સંક્રમણની સ્થિતી, પોઝિટીવીટી રેટ, હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાને આધારે જે-તે જિલ્લા અને શહેરોમાં શૈક્ષણિક સંસ્થા, એર, રોડ, ટ્રાન્સર્પોટેશન સર્વિસ, શોપીંગ મોલ, દુકાનો, જાહેર સ્થળોને ગ્રીન- બ્લુ -યલો -બ્રાઉન અને રેડ કલરના કોડ આપી તે મુજબ નિયંત્રણ લાદવામાં અને છૂટછાટ આપવામાં આવશે.
રાજયમાં જનભાગીદારી સાથે મારુ ગામ-વોર્ડ કોરોના મુક્ત ગામ-વોર્ડનું અભીયાન શરૂં કરલે છે. જે અંતર્ગત એ અભિયાન ૧૫૦૦૦થી વધારે કોમ્યુનીટી કોવીડ કમીટી અને કોમ્યુનીટી કોવીડ આઇસોલેશન સેન્ટર તૈયાર કરવમાં આવ્યા છે તે ચાલુ રાખવામાં આવશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સહયોગથી રાજ્યમાં એપિડેમિક ઇન્ટેલિજન્સ યુનિટની સ્થાપના કરવામાં આવશે જે રાજ્યના વિવિધ જિલ્લાના વિસ્તારોમાં કોવિડ કેસિસમાં વધારા-ઘટાડાનું પૂર્વાનુમાન કરવામાં મદદરૂપ થશે. હોમ આઇસોલેશનમાં રહેલા દર્દી માટે ટેલી મેડિસિન વ્યવસ્થા ઉભી કરી નિવૃત તબીબો દ્વારા ઇ-સંજીવની એપ થકી માર્ગદર્શન આપવામાં આવશે.
મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, રાજ્ય સરકારે આ સંભવિત ત્રીજી લહેરમાં જો બીજી લહેર કરતાં બે ગણા કેસીસ વધી જાય તો તેને ધ્યાનમાં લઇને સમગ્ર રણનીતિ કાર્યયોજના હાલના તબક્કે ઘડેલા છે.
 વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, જો કેસોની સંખ્યા વધે તો તેને પહોચી વળવાની સઘન સારવાર વ્યવસ્થાઓ અને તૈયારીઓનું પણ રાજ્ય સરકારે પ્લાનીંગ કરેલું છે.
મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને અપિલ પણ કરી કે, આ સંભવિત ત્રીજી લહેરથી બચવા સૌ કોરોના વેક્સિનેશન અવશ્ય કરાવે સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનીટાઇઝરનો ઉપયોગ અને કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનું પાલન પણ ચુસ્તપણે કરે તે જરૂરી છે.

 

(6:12 pm IST)