Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

યુવતીએ વારંવાર રૂપિયાની માંગ કરતા યુવકનો આપઘાત

યુવકના મૃત્યુ પછી ગાંધીનગરની યુવતી ગાયબ : યુવતીની સતત રૂપિયાની માગણીને સંતોષવા માટે પટેલ યુવકે દેવું પણ કર્યું હતું, અંતિમ ચિઠ્ઠીમાં ખુલાસો કર્યો હતો

ગાંધીનગર,તા.૧૪ : વાવોલના વિપુલ પટેલ નામના વેપારીએ આપઘાત કર્યાની ઘટનામાં મળેલી ચિઠ્ઠીના આધારે થયેલી તપાસમાં બહાર આવ્યું હતું કે યુવકનું પગલું ભરવા પાછળનું કારણ એક યુવતી છે. વિપુલના પરિવારજનોએ યુવતી સામે ગાંધીનગરમાં સેક્ટર- પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, વિપુરના મોત બાદ થયેલી પોલીસ ફરિયાદ પછી યુવતી ગુમ થઈ ગઈ છે.

નોંધનીય છે કે, મૃતક યુવકે ચિઠ્ઠીમાં યુવતીનો ઉલ્લેખ કરીને પોતાની પાસેથી નાણા પડાવવામાં આવી રહ્યા હોવાની વાત કરી હતી જેના આધારે યુવતી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગાંધીનગરમાં સેક્ટર-૪માં રહેતી રિંકુ રમેશભાઈ માલાણીના સંબંધ વિપુલ સાથે હોવાનું સામે આવ્યા પછી પોલીસે કેસમાં તપાસ કરી હતી.

જેમાં રિંકુના ઘરે જઈને પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છતાં તેનો કોઈ પત્તો લાગ્યો નથી. રિંકુ સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે સેક્ટર-/સીમાં રહેતી રિંકુની તપાસ માટે પોલીસ તેના ઘરે તપાસ કરવા માટે પહોંચી હતી જોકે, તેનો કોઈ પત્તો ના લગતા અલગ-અલગ ટીમો બનાવીને પોલીસ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. હવે ટીમોના આધારે રિંકની શોધખોળ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, મૃત્યુ પામેલા યુવક વિપુલના ભાઈ નવનીતકુમાર ભોગીલાલ પટેલ કે જેઓ વાવોલમાં રહે છે તેમણે પોતાના ભાઈના આપઘાત અંગે ફરિયાદ નોંધાવી હતી. મૃતક અને ફરિયાદી બન્ને ભાઈઓ સાતેક વર્ષથી વાવોલમાં રહીને શાકભાજીની દુકાન ચલાવીને ગુજરાન ચલાવતા હતા. આવામાં ૭મી જૂનના રોજ સવારે નવનીતકુમારને તેમના માસીનો સવારે સાડા ૧૦ વાગ્યે ફોન આવ્યો કે તેમને તેમના ભાઈ વિપુલની ચિઠ્ઠી મળી આવી છે.

આપઘાત પહેલા વિપુલે લખેલી ચિઠ્ઠીમાં રિંકુ (રિના)નો ઉલ્લેખ કર્યો છે. જેમાં વિપુલે ઉલ્લેખ કર્યો છે કે કઈ રીતે રીનાએ પોતાનું જીવન નર્ક બનાવી દીધું. ચિઠ્ઠી મળ્યા પછી તપાસ કરતા વિપુલનું બાઈક ઝુંડાલ બ્રિજ નીચેથી બાઈક મળી આવ્યું હતું અને પછી બપોરે ખોરજ નજીકથી લાશ મળી આવી હતી. વિપુલની અંતિમ ક્રિયા બાદ ચિઠ્ઠીના આધારે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં રિંકુ દ્વારા અવાર-નવાર માગણી કરાઈ હતી.

(9:36 pm IST)