Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

નર્મદામાં CSR પ્રોજેક્ટ હેઠળ આવરી લીધેલ ૨૧૫ સુપોષણ સંગિની બહેનોનો જિલ્લાને સાંપડેલો સહયોગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અદાણી ફાઉન્ડેશન CSR પ્રોજેક્ટના વડા અને નિવૃત્ત સનદી અધિકારી વી.એસ ગઢવી તેમજ આઇ.સી. ડીએસના પ્રોગ્રામ ઓફીસર ક્રિષ્નાકુમારી, એપેડેમીક મેડીકલ ઓફિસર ડૉ. આર.એસ કશ્યપ, જિલ્લા આયોજન કચેરીના રીસર્ચ ઓફિસર એ.આર.શેખ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં અદાણી ફાઉન્ડેશન ધ્વારા નર્મદા જિલ્લામાં હાલમાં કાર્યરત સુપોષણ પ્રોજેક્ટની યોજાયેલી સમીક્ષા બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા સાથે સંબંધિતોને જરૂરી માર્ગદર્શન પુરૂં પડાયું હતું.
બેઠકમાં ચર્ચા દરમિયાન નર્મદા જિલ્લામાં આ CSR પ્રોજેક્ટ સુચારૂરૂપે ચાલે તે માટે જિલ્લા વહિવટીતંત્ર તરફથી શક્ય તે તમામ રીતે મદદરૂપ થવાની તત્પરતા દર્શાવતા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જિલ્લામાં થઇ રહેલી CSR પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન સાથે સુપોષણ પ્રોજેક્ટના ઘનિષ્ઠ અને સુદ્રઢ અમલીકરણ સાથે સતત આગળ ધપાવવા યોજનાકીય અધિકારીઓને ખાસ અનૂરોધ કર્યો હતો.
બેઠકમાં ચર્ચા દરમિયાન સુપોષણ પ્રોજેક્ટની સાથોસાથ જિલ્લામાં પોષણ અને આરોગ્યને લગતા શરૂ થયેલા અન્ય પ્રોજેક્ટસ અંગે પણ  જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ ધ્વારા જરૂરી ચર્ચા-વિચારણા કરાઇ હતી. નીતિ આયોગ દ્વારા નર્મદા જિલ્લાને પોષણ તરફ આગળ ધપાવવા માટે ૯૨ જેટલા અર્લી ચાઈલ્ડહુડ કેર પ્રોજેક્ટ માટે કાઉન્સેલરની નિમણૂંકની મંજૂરી અપાઈ હોવાની જાણકારી અપાઈ હતી. તથા એનિમિયા અને કુપોષણ નાબૂદી માટે ગુજરાત CSR ઓથોરિટીના સહયોગથી તથા ICICI ફંડનો ઉપયોગ કરીને મોરિંગા પાવડર સાગબારા અને દેડિયાપાડા તાલુકામાં ઓછા વજનવાળા બાળકો, સગર્ભા અને ધાત્રી માતા માટે ઉપયોગ કરાશે તેમ જણાવ્યું હતું.
અદાણી ફાઉન્ડેશનના CSR પ્રવૃત્તિના સંચાલક અને નિવૃત્ત સનદી અધિકારી વી.એસ. ગઢવીએ CSR પ્રવૃત્તિને જિલ્લા પ્રશાસન દ્વારા મળેલા પૂરતા સહયોગ અને સહકારની પ્રશંસા કરી પ્રોજેક્ટની કામગીરી વધુ ઘનિષ્ઠ અને અસરકારક બનાવવા રચનાત્મક સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. દેડીયાપાડા અને સાગબારા જેવા તાલુકાઓના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય અને પોષણ જેવા વિષયો પર વધુ કામ કરવાની જરૂરીયાત હોવાનું ઉમેરી ગઢવીએ ક્ષેત્રીય કામગીરીની સમીક્ષાની સાથોસાથ આ વિસ્તારમાં લોકજાગૃત્તિ કેળવવાની પણ હિમાયત કરી હતી.  
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં સુપોષણ સંગિની બહેનો દ્વારા આરોગ્ય અને આઈ.સી.ડી.એસના કાર્યકર્તાઓ સાથે સંકલન કરી મમતા દિવસ, ૪ મંગળ દિવસની ઉજવણી, સગર્ભા, ધાત્રી માતાઓ સાથે કાઉન્સેલિંગની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત વજન અને ઉંચાઈની કામગીરી કરીને પોષણ સ્તરમાં અતિ કુપોષિત આવતા બાળકોને નજીકના CMTC/NRC ખાતે મોકલવા માટે માતાઓને પ્રોત્સાહિત કરવા, CMTC/NRC માં ૧૪ દિવસ બાળકને લઈને રહેનાર માતાઓને પ્રોત્સાહન રૂપે અદાણી ફાઉન્ડેશન દ્વારા વોશ કીટ આપવામાં આવે છે. સ્નેહ શિબિર, કિચન ગાર્ડન, વૃક્ષારોપણ વગેરે પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. આમ, CSR પ્રોજેક્ટ હેઠળ આવરી લીધેલ ૨૧૫ સુપોષણ સંગિની બહેનોનો સહયોગ જિલ્લાને સાપડ્યો છે, જે એસ્પીરેશનલ જિલ્લામાંથી કુપોષણ નાબૂદીમાં સહાયરૂપ નિવડે તેમ છે.

(10:22 pm IST)