Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રાજ્‍ય સરકારની નિષ્‍ક્રિયતાને કારણે વધુ એક હડતાળની શરૂઆત ! : એન.એમ.સી.નાં નિયમોનો પાલન ન થતો હોવાનાં આરોપ સાથે મેડિકલ કોલેજમાં ઇન્‍ટર્નશીપ કરતા ડોક્‍ટરો હડતાળ પર

વિદેશથી એમ.બી.બી.એસ. કરી દેશમા આવતા ડોક્‍ટરોએ ફરી રાજ્‍યની મેડિકલ કોલેજમાં ઇન્‍ટર્નશીપ કરવી ફરજિયાત : વિદેશથી એમ.બી.બી.એસ. કરી આવેલ ડોકટરોને સ્‍ટાઈપેન્‍ડ ન અપાતા રોષ

અમદાવાદઃ વિદેશથી એમ.બી.બી.એસ. કરીને આવતા ડોક્‍ટરર્સને પોતાના રાજ્‍યની મેડિકલ કોલેજમાં ફરી ઇન્‍ટર્નશીપ કરવી ફરજીયાત છે. ત્‍યારે આ ડોકટર્સ પાસેથી ફી પેટે 1 લાખ રૂપીયા વસુલવામા આવે છે. તેમજ એન.એમ.સી.એ આ ડોક્‍ટર્સને પણ સ્‍ટાઈપેન્‍ડ આપવા ગત 4 માર્ચનાં રોજ આદેશ કર્યા છતા હજૂ સુધી આદેશોનુ પાલન ન થતા વિદેશથી એમ.બી.બી.એસ કરી આવેલ ડોક્‍ટરોએ સરકાર સામે બાંયો ચડાવી છે.

વિદેશથી MBBS કરીને આવેલા રાજ્યની મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરી રહેલા ડોક્ટરોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજ ખાતે સતત ચોથા દિવસે 137 ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. NMC નાં નવા નિયમોનું પાલન રાજ્ય સરકાર કરે તેવી માગ સાથે વિદેશથી MBBS કરીને રાજ્યની મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતા ડોકટરો હડતાળ પર ઉતર્યા છે.

તમને જણાવી દઈએ કે વિદેશમાંથી MBBS કરીને દેશમાં આવતા ડોક્ટરોએ રાજ્યની કોલેજમાં ઇન્ટર્નશીપ ફરજિયાત કરવાની રહે છે. વિદેશથી MBBS કરીને આવેલા ડોક્ટરો પાસેથી 1 લાખ રૂપિયા ફી પેટે ઇન્ટર્નશીપ માટે વસૂલવામાં આવે છે. આવા MBBS ડોક્ટરોને કોઈ પ્રકારનું સ્ટાઇપેન્ડ પણ અત્યાર સુધી અપાતું ન હતું. જો કે NMC નાં નવા નિયમ મુજબ રાજ્ય સરકારોએ વિદેશથી MBBS કરીને આવેલા રાજ્યમાં ઇન્ટર્નશીપ કરતા ડોકટરો પાસેથી 1 લાખ રૂપિયા ફીના લેવા આદેશ કર્યો છે.

રાજ્યમાં સામાન્ય રીતે ઇન્ટર્નશીપ કરતા ડોકટરોની જેમ વિદેશથી MBBS કરીને આવેલા અને રાજ્યની મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતા ડોક્ટરોને પણ સમાન સ્ટાઈપેન્ડ આપવા NMC એ આદેશ કર્યા છે. NMC નાં પરિપત્ર બાદ પણ રાજ્ય સરકાર દ્વારા ફી લેવાનું યથાવત રાખી, કોઈપણ પ્રકારનું સ્ટાઇપેન્ડ નાં ચૂકવવામાં આવતા ડોક્ટરોમાં નારાજગી વ્યાપી ગઈ છે. રાજસ્થાન, જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાં NMC નાં નવા નિયમોનું પાલન શરૂ કરાયાનો દાવો ડોક્ટરોએ કર્યો છે, ગુજરાત રાજ્યમાં હજુ પણ જુના નિયમો યથાવત રહેતા NMC નાં નવા નિયમો લાગુ કરવાની માગ કરાઈ રહી છે.

4 માર્ચના રોજ NMC એ ગાઈડલાઈન જાહેર કરી હોવાને 3 મહિના કરતા વધુ સમય વીતવા છતાં રાજ્ય સરકારની નિષ્ક્રિયતાને કારણે વધુ એક હડતાળની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડોક્ટર જયેશ સચદે એ જણાવ્યું કે, NMC એ જે ગાઇડલાઈન જાહેર કરી છે એ મુજબ રાજ્ય સરકાર નિર્ણય લેશે. અમે સમગ્ર ગાઇડલાઈન અંગે રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું છે, ગાઈડલાઇન મુજબ વિદેશથી MBBS કરીને આવેલા રાજ્યમાં ઇન્ટર્નશીપ કરતા ડોકટરો પાસેથી ફી લીધા વગર સામાન્ય ડોક્ટરોને જે સ્ટાઇપેન્ડ મળે છે એ આપવાનો રહે છે. 

નોંધનીય છે કે, નિયમ મુજબ ઇન્ટર્નશીપની કુલ બેઠકોમાંથી 7 ટકા બેઠકો પર વિદેશથી MBBS કરીને ભારતમાં પરત ફરતા ડોક્ટરોને ઇન્ટર્નશીપ કરવાની પરવાનગી આપવામાં આવતી હોય છે. NMCની નવી ગાઇડલાઇનનાં પાલન કરવા અંગે સરકાર અંતિમ નિર્ણય ટુંક સમયમાં લેશે. આ તમામ હડતાળ પર રહેલા ડોક્ટરોએ MBBS અન્ય દેશ એટલે કે યુક્રેન, રશિયા, ફિલિપાઇન્સ, કઝાકિસ્તાન, ચીનમાંથી કર્યું છે અને નિયમ મુજબ ઇન્ટર્નશીપ કરી રહ્યા છે.

(5:32 pm IST)