Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ભગવાન જગન્નાથજીનું મોસાળમાં હરખભેર સ્વાગત :મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત

વિવિધ ઉત્સવોની જળયાત્રાથી શરૂઆત: મોસાળવાસીઓ ડીજે અને ઢોલના તાલે ઝૂમ્યા

અમદાવાદમા ભગવાન જગન્નાથની આગામી 145મી રથયાત્રાને લઈને વિવિધ ઉત્સવોની આજે જળયાત્રાથી શરૂઆત થઈ છે. જળયાત્રાના સમાપન સાથે હવે ભગવાન જગન્નાથનું મોસાળમાં આગમન થયું છે. ભગવાનનું સ્વાગત કરવા માટે સરસપુરના મોસાળવાસીઓએ ભગવાનનું હરખભેર સ્વાગત કર્યું. મોસાળવાસીઓ ડીજે અને ઢોલના તાલે ઝૂમ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદમા ભગવાન જગન્નાથની આગામી 145મી રથયાત્રાને લઈને વિવિધ ઉત્સવોની આજે જળયાત્રાથી શરૂઆત થઈ છે. અમદાવાદમાં જગન્નાથ મંદિરથી લઈને સોમનાથ ભૂદરના આરા સુધી ભગવાનની જળયાત્રા યોજી હતી. સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન વિધિ થઈ હતી. જે બાદ 108 કળશમાં ભરીને લાવવામાં આવેલા જળ સાથે નાથની જળયાત્રા નિજ મંદિર પરત ફરી જ્યાં પવિત્ર મંત્રોચ્ચાર સાથે જળાભિષેક વિધિ થઈ. જે બાદ જગન્નાથજીના ગજવેશમાં દર્શન થયા હતા.

બપોરના સમયે સાધુ સંતો અને ભક્તોનો ભંડારો યોજાયો. જેમાં કાલી રોટી, ધોળી દાળનો પ્રસાદ અને સાધુઓને મહંત દિલિપ દાસજીએ દાન અર્પણ કર્યુ હતુ. મંદિરની જળયાત્રાથી લઈને ગંગાપૂજન અને નાથને જળાભિષેકની વિધિ સમયે ગૃહરાજય પ્રધાન હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા, પ્રદિપ પરમાર અને મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

(9:36 pm IST)