Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

મગફળીની ટેકાના ભાવે ખરીદી દરમિયાન બારદાનમાં ૩૫ કિલોના બદલે ૨૫ કિલો મગફળી ભરવામાં આવશે : ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણય બાદ અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાની જાહેરાત

મગફળીની ટેકાના ભાવે ખરીદીનો આગામી ૨૧મી ઓકટોબરથી શુભારંભ : અત્યારસુધીમાં સવા ચાર લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું : બારદાનનો ખર્ચ, મજૂરી ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ખેડૂતો વતી રાજ્ય સરકાર ભોગવશે

ધોરાજી:  ગાંધીનગર ખાતે થી રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી ૨૧મી ઓકટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં બારદાનમાં ૩૫ કિલોના બદલે ૨૫ કિલો મગફળી ભરવાનો રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે.

મંત્રીશ્રી રાદડિયાએ ઉમેર્યું કે આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે ધારાસભ્યો અને ખેડૂત આગેવાનો દ્વારા મળેલ રજૂઆતો સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ આ મહત્વનો નિર્ણય કરાયો છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાલ ચાલુ છે અત્યાર સુધીમાં સવા ચાર લાખ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આ પ્રક્રિયા આગામી તા.૨૦મી ઓકટોબર સુધી ચાલશે અને તા.૨૧મી ઓકટોબરથી રાજ્યભરમાં નાફેડના સંકલનમાં રહીને ખરીદી પ્રક્રિયા શરૂ કરાશે. ગત વર્ષે રાજ્ય સરકારે ૪.૭૦ લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદી કરી હતી અને આ વર્ષે પણ ૪.૭૦ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી ખરીદવામાં આવે તેવો અંદાજ છે. 

મંત્રીશ્રી રાદડિયાએ ઉમેર્યું કે મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર સરકારના એફએકયુ અને નાફેડ દ્વારા કરાશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે મગફળીની ખરીદી દરમિયાન બારદાનમાં ૩૫ કિલોમાં ભરાવો કરવાનો નિર્ણય કર્યો હતો અને આ વર્ષે પણ ખેડૂતોના હિતમાં બારદાનમાં ૨૫ કિલો મગફળી ભરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી ખેડૂતોની મુશ્કેલી ઘટશે અને સાથેસાથે બારદાનનો ખર્ચ, મજૂરીનો ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ખેડૂતો વતી રાજ્ય સરકાર ભોગવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

(3:49 pm IST)