Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત આવક મર્યાદા ૬ લાખથી વધારીને ૮ લાખ રૂપિયા કરવા વિચારણા

નવા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ યોજનાઓમાં સુધારા માટે બેઠક યોજી હતી : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની આવક મર્યાદા વધારવાથી મધ્યમ વર્ગને લાભ થશેઃ પર્સન્ટાઈલ કટઓફ ઘટાડવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે

નવી દિલ્હી, તા.૧૪: આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે જનરલ કેટેગરીના મતદારોને વિશ્વાસમાં લેવા ભાજપ સરકારે કમર કસી છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત આવક મર્યાદા ૬ લાખથી વધારીને ૮ લાખ રૂપિયા કરવા અંગે ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર વિચારવિમર્શ કરી રહી છે. MYSY યોજનાનો લાભ જનરલ કેટેગરી (જે લોકો એસસી, એસટી અને ઓબીસીનું આરક્ષણ નથી મેળવતા)ના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મળે છે ત્યારે રાજય સરકારનું આ કદમ આ લોકોને ધ્યાનમાં રાખીને જ છે.
૨૦૧૫-૧૬માં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં મૂકવામાં આવી હતી. અનામતની માગ સાથે પાટીદારોએ ઉગ્ર આંદોલન ચલાવ્યું હતું ત્યારે તેને શાંત પાડવા માટે સરકારે આ યોજના લાગુ કરી હતી. આ યોજનાનો લાભ કુલ ૨,૭૬,૧૭૨ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો છે અને તેમને ૧,૧૫૩ કરોડ રૂપિયા ચૂકવાયા છે. ૨૦૧૯-૨૦માં ૬૩,૫૪૬ વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો છે અને તેમને કુલ ૨૮૧ કરોડ રૂપિયા ચૂકવાયા છે. ૨૦૨૦-૨૧માં જનરલ કેટેગરીના ૬૦,૦૪૯ વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો છે અને તેમને ૨૭૮ કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ રાજય સરકાર સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ગ્રેજયુએટ ડિગ્રી તેમજ મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, આર્કિટેકચર, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, આર્ટ્સ, કોમર્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને કોમ્પ્યુટર એપ્લિકેશનના કોર્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી ભરપાઈ કરી આપે છે.
નવી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારની રચના પછી નવા શિક્ષણમંત્રી જીતુ વાદ્યાણીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને જાણીતી યોજનાઓમાં સુધારા કેવી રીત કરી શકાય તેના સૂચનો માગ્યા હતા. મીટિંગ દરમિયાન માહિતી આપવામાં આવી કે, જો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની આવક મર્યાદા વધારીને ૮ લાખ રૂપિયા કરવામાં આવે તો મધ્યમ વર્ગને લાભ થશે.
જોકે, આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં ૮૦ પર્સન્ટાઈલ અથવા તેનાથી વધુ સારું પરિણામ મેળવવું જરૂરી છે. ત્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓ આ માપદંડ ઘટાડીને ૬૦ પર્સન્ટાઈલ કરવા પણ વિચાર કરી રહ્યા છે.
ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટે કેંદ્ર સરકારને પૂછ્યું હતું કે, એસસી, એસટી, ઓબીસી અનામત ના મેળવતા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે વાર્ષિક ૮ લાખ રૂપિયાની આવક મર્યાદા નક્કી કરવાનો તર્ક શું છે. ગુજરાતમાં EWS અનામત મેળવા માટે રાજય સરકારે વાર્ષિક આવક મર્યાદા ૬ લાખ રૂપિયા નક્કી કરી છે.
ફી ઉપરાંત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ફી ઉપરાંત વિદ્યાર્થીઓનો રહેવાનો, બોર્ડિંગનો અને પુસ્તકોનો ખર્ચ પણ આવરી લે છે. આ યોજના હેઠળ ચૂકવાયેલી કુલ ૧૯૮ કરોડની રકમમાં મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાંથી ૮૦૪ વિદ્યાર્થિનીઓને પણ વધારાની સહાય ચૂકવવામાં આવી હતી.
શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા સૂત્રએ જણાવ્યું, 'આવક મર્યાદા વધારવાનો અને પર્સન્ટાઈલ કટઓફ ઘટાડવાનો પ્રસ્તાવ સરકાર સમક્ષ મૂકવામાં આવ્યો છે. હવે આગળ વધવા માટે નાણામંત્રાલયનો નિર્ણય જાણવો જરૂરી છે. જોકે, રાજકીય નેતૃત્વ આ પ્રસ્તાવના અમલ માટે તત્પર હોવાનું જાણવા મળ્યું છે.'(


 

(10:24 am IST)